સાઉદી અરબમાં ખૂબ મોટી સંખ્યામાં વિદેશી શ્રમિકો કામ કરે છે અને હવે આ શ્રમિકોને હિતને ધ્યાનમાં રાખીને ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાઉદી અરબમાં હવે કફાલા સિસ્ટમમાં સુધારા
સાઉદી અરબ શ્રમિકો પાસે હશે નોકરી બદલવાનો અધિકાર
કોઈ પણ માલિક પાસપોર્ટ જમા નહીં કરી શકે, વ્યક્તિ ગમે ત્યારે દેશ છોડીને જઈ શકે
સાઉદી અરબમાં વિદેશી શ્રમિકોને લઈને પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે જે હેઠળ હવે શ્રમિકોને પોતાની નોકરી બદલવાની આઝાદી મળી જશે. આ જાહેરાત સાઉદી અરબના માનવ સંસાધન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણય માર્ચ મહિનાથી લાગૂ થઇ જશે.
સાઉદી અરબની સરકાર તરફથી કહેવામાં આવ્યું કે હવે વિદેશી શ્રમિકો મંજૂરી વગર સાઉદી અરબ છોડીને જઈ શકે છે. નોકરી છોડવા માટે માલિકની મંજૂરી આવશ્યક રહેશે નહીં. મંત્રી નાસીરે કહ્યું કે આ નિર્ણય શ્રમ માર્કેટને વધુ આકર્ષક બનાવવા માટે લેવામાં આવ્યો છે જેથી વધુ શ્રમિકો આવી શકે.
આ સિવાય સરકાર તરફથી કહેવામાં આવ્યું કે શ્રમિક પોતાની નોકરી પણ બદલી શકે છે અને પોતાના હિસાબથી સાઉદીથી જઈ પણ શકે છે. માલિક કોઈના પણ વિઝાને જમા કરી શકશે નહીં.
નોંધનીય છે કે સાઉદી અરબમાં કફાલા સિસ્ટમ ચાલે છે જે હેઠળ માલિક પાસે અધિકાર છે કે તે વિદેશી શ્રમિકોને નોકરી બદલવા ન દે અને શ્રમિકે દેશ છોડીને જવું હોય તો પણ માલિકની મંજૂરી જરૂરી છે. કફાલા સિસ્ટમમાં હવે સુધારા કરવામાં આવી રહ્યા છે જેથી વિદેશથી આવેલા શ્રમિકોને તેનો ફાયદો થશે.
કફાલા સિસ્ટમના કારણે અત્યાર સુધી માલિકો વિવિધ શ્રમિકોનું શોષણ કરતા હતા અને તેમની પાસે કોઈ જ અધિકાર ન હતા. વધારે કલાક સુધી કામ કરાવવામાં આવતું અને મહેનતાણું આપવામાં પણ ખૂબ માથાકૂટ કરવામાં આવતી હતી.
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાના વિઝાન 2030 હેઠળ કામ કરી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો છે. સલમાનની ઈચ્છા છે કે સાઉદી અરબમાં ખૂબ રોકાણ થાય અને પ્રાઈવેટ સેક્ટરનો વિકાસ થાય. જેથી સાઉદીનું અર્થતંત્ર માત્ર તેલ પર જ નિર્ભર ન રહે.