સાઉદી પ્રિન્સે હાલમાં એક પત્રકારની હત્યાની કબૂલાત કરી હોવાના સમાચાર બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે એ એ જાણવું જરૂરી છે કે એ પત્રકાર કોણ હતો અને તેની હત્યાના આક્ષેપમાં શા માટે સાઉદીના શાહી પરિવાર ઉપર મુકાયો?
PBS મીડિયા દ્વારા નિર્મિત એક ડોકયુમેન્ટરીમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સ સલામને ચોકાવનારું નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે સાઉદીના પત્રકાર જમાલ ખાશોજીની હત્યા તેમના હાથ નીચે જ કરવામાં આવી હતી. આ ડોકયુમેન્ટરી ૧ ઓક્ટોબરે ખાશોજીની હત્યાની પહેલી વરસીએ રીલીઝ થશે.
કોણ હતા જમાલ ખાશોજી?
જમાલ ખાશોજી સાઉદી અરેબિયાના પત્રકાર હતા. તેઓ સાઉદી શાહી પરિવાર અને તેમની વહાબી માનસિકતાના પ્રખર વિરોધી હતા. તેઓ માનતા હતા કે સાઉદીમાં પુરુષો અને મહિલાઓને સરખા હકો મળવા જોઈએ. તેમનું માનવું હતું કે સાઉદીએ ઇસ્લામ અને સેક્યુલરિઝમ બંનેને સમાવી લેવા જોઈએ. સાઉદીના પ્રખર અખબાર અલ વતનના તેઓ બે વખત ચીફ એડિટર હતા પરંતુ તેમના સ્વતંત્ર અભિપ્રાયોના કારણે તેમણે બંને વખત રાજીનામું આપી દેવું પડ્યું. તેઓ આરબ દેશોમાં પત્રકારોની સ્વતંત્રતાના હિમાયતી હતા. તેમના મતે સાઉદીના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન દુનિયા સામે પોતે લિબરલ હોવાનો દેખાવ કરે છે જયારે વાસ્તવમાં તે ધાર્મિક કટ્ટરવાદના સહારે પોતાના વિરોધીઓ હંમેશ માટે ચુપ કરી દેવા માંગે છે.
ઓસામા બિન લાદેન સાથે સંબંધો
ખાશોજીને ઓસામા બિન લાદેન સાથે ભૂતકાળમાં ખુબ સારા સંબંધો હતા અને તેમણે લાદેનનો ઘણી વાર ઇન્ટરવ્યુ લીધો હતો. જાણકારોના મતે ખાશોજી ખુદ એક સમયે ઇસ્લામિક કટ્ટરવાદી જૂથોની વિચારધારાથી પ્રભાવિત હતા. જો કે સમય જતા તેમણે લિબરલ સ્ટેન્ડ લઇને આ જૂથોના વિરોધ કર્યો. તેમણે સાઉદીના પ્રિન્સ સલમાનનો સલાફી આતંકી જૂથોને ભંડોળ પૂરું પાડવા બદલ ખુબ વિરોધ કર્યો હતો. બિન લાદેનને જયારે પાકિસ્તાનમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો ત્યારે તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે લાદેન તેના જુના દિવસોમાં એક બહાદુર વ્યક્તિ હતો પરંતુ નફરતની જ્વાળાઓએ તેને બરબાદ કરી દીધો.
સ્વતંત્ર પત્રકાર તરીકે કામગીરી
સાઉદીથી નીકળીને ખાશોજીએ અલ જઝીરા, વૉશિંગ્ટન પોસ્ટ, bbc, દુબઈ ટીવી વગેરે ચેનલ્સમાં રાજકીય વિશ્લેષક તરીકે પોતાના અભિપ્રાયો આપ્યા. તેમની કોલમો અલ અરેબિયામાં નિયમિત રીતે પબ્લીશ થતી હતી.
કેવી રીતે થઈ હતી હત્યા?
૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ખાશોજી તેમની પત્ની સાથે લગ્નના દસ્તાવેજો મેળવવા માટે ઈસ્તંબુલ સ્થિત સાઉદી અરેબિયાની કોન્સ્યુલેટ ઈમારતમાં દાખલ થયા. ન્યુ યોર્ક ટાઈમ્સ અખબારના એક સંશોધન લેખ મુજબ આ સમયે સાઉદી પ્રિન્સના ખાસ માણસો તેમની પાછલ દાખલ થયા (જે CCTV ફૂટેજમાં જોઈ શકાય છે) અને ઇલેક્ટ્રિક કરવત વડે તેમની હત્યા કરી દેવાઈ. એમના હાથ પગને છુટા પાડીને તેને એસીડ વડે ઓગાળી દેવામાં આવ્યા. ત્યારબાદ હત્યારાઓમાંના એક વ્યક્તિએ, જે દેખાવમાં ખાશોજી જેવો જ દેખાતો હતો, ખાશોજીની લાશમાંથી કપડા લઇને તે કપડા પહેરી લીધા અને શહેરમાં આખો દિવસ ફર્યો જેથી પોલીસને શક ન જાય કે ખાશોજીની હત્યા થઇ ગઈ છે.
ખાશોજીના ગુમ થયાના થોડા દિવસ સુધી સાઉદી અરેબિયાની સરકારે આ અંગે કઈ જ જાણતી નથી તેવું સ્ટેન્ડ જાળવી રાખ્યું. ત્યાર બાદ થોડા સમયમાં તેમણે સ્વીકાર્યું કે ખાશોજીની આયોજન બદ્ધ હત્યા કરાઈ છે પણ પોતાનો કોઈ હાથ હોવાનું નકાર્યું.
સાઉદીએ તપાસના નામે પુરાવા નષ્ટ કર્યાનો આક્ષેપ
ટર્કીની એન્જસીના મતે ટર્કીશ ઇન્ટેલીજન્સ પાસે સાઉદી પરિવારનો આમાં હાથ હોવાના પૂરતા પુરાવા હતા. આમ છતાં સાઉદીએ પોતાની અલગ તપાસની ટીમ મોકલી અને થોડા શકમંદોની ધરપકડ કરી. એવું માનવામાં આવે છે કે આ ટીમે સાઉદી પરિવાર સુધી લઇ જાય તેવા તમામ પુરાવા સ્થળ પર જ નષ્ટ કરી દીધા.
અમેરિકાનો રિસ્પોન્સ
અમેરિકાની ઈન્ટેલીજન્સ એજન્સી CIAએ સાઉદી પ્રિન્સ સલમાનને આ હત્યા માટે સીધા જવાબદાર ઠેરવ્યા. અમેરિકાની સંસદમાં આ હત્યાના પ્રત્યાઘાત સ્વરૂપે સાઉદી અરેબિયા સાથે વ્યાપાર અને અન્ય સહાય ઓછી કરી દેવાનો મત પણ મુકવામાં આવ્યો. જો કે ડોનાલ્ડ ટ્રમ્પને સાઉદી પ્રિન્સ સાથે ખુબ સારા સંબંધો છે આથી તેમણે CIAની તપાસને ફગાવી દીધી.
આવા સમયે સાઉદી પ્રિન્સ સલમાને જયારે પોતે સ્વીકાર્યું છે કે આ ઘટના તેમના હાથ નીચે જ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દુનિયામાં રાજકીય ભૂકંપ આવવાની સંભાવના છે. "આંખ ના બદલામાં આંખ"ના કડક કાયદાકીય માળખા માટે જાણીતી સાઉદી સરકાર હવે તેમના પોતાના પ્રિન્સે સ્વીકારેલા ગંભીર ગુના સામે શું પગલા ભરે છે તે હવે જોવું રહ્યું.