સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (ઓઆઇસી)ની કાશ્મીર મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવવાની પાકિસ્તાનની વિનંતી ફગાવી દેવામાં આવી છે. સાઉદી અરેબિયાએ કાશ્મીર મુદ્દે ઓઆઇસીની તાત્કાલિક બેઠક બોલાવવા માટે કોઇ પણ પગલું ભરવાની અનિચ્છા વ્યકત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સાઉદી અરેબિયા દ્વારા કાશ્મીર પર ઓઆઇસી દેશોના વિદેશ પ્રધાનોની બેઠક બોલાવવાનો પ્લાન હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે તે યોજના સાઉદી અરેબિયા દ્વારા પાકિસ્તાનને ખુશ કરવા માટે હતી. કારણ કે પાકિસ્તાને પ૭ મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીની સામે એક નવું સંગઠન ઊભું કરવાની કોશિશ માટે મલેશિયામાં યોજાનારા સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને પાછળથી મલેશિયાના યજમાનપદે યોજાનારા સંમેલનમાં સામેલ થવા સંમતિ આપી હતી, પરંતુ સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમિરાતના દબાણમાં છેલ્લી ઘડીએ આ સંમેલનમાં પાકિસ્તાન સામેલ થયું નહોતું.
સાઉદી અરેબિયા અને યુએઇ કેશ કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના સૌથી મોટા મદદગાર દેશ રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર સંગઠનના વરિષ્ઠ અધિકારી ૯ ફેબ્રુઆરીએ વિદેશ પ્રધાનોની પરિષદ (સીએફએમ) માટે તૈયારીઓ કરવા બેઠક યોજશે.
તાજેતરમાં મલેશિયાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન ના વડા પ્રધાન ઇમરાન ખાન એ કાશ્મીર મુદ્દે ઓઆઇસીના મૌન પર નારાજગી વ્યકત કરી હતી. ઇમરાન ખાને જણાવ્યું હતું કે અમારો અવાજ સાંભળવામાં આવતો નથી, કારણ કે અમે વિભાજિત છીએ. એટલે સુધી કે કાશ્મીર પર ઓઆઇસીના વિદેશ પ્રધાનોની બેઠક પર પણ એકતા સધાઇ નથી.
ગઇ સાલ ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીર નો વિશિષ્ટ દરજ્જો ભારત સરકાર દ્વારા નાબૂદ કરાયો છે ત્યારથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ઓઆઇસીના વિદેશ પ્રધાનોની બેઠક બોલાવવા સતત દબાણ કરી રહ્યું છે.
પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાથી કાશ્મીરને લઇને દુનિયાભરમાં અપપ્રચાર ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેને દરેક જગ્યાએ લપડાક પડી રહી છે. ગઇ સાલ માર્ચ મહિનામાં અબુધાબીમાં યોજાયેલ ઓઆઇસીની બેઠકને પ્રથમવાર સંબોધિત કરવું એ ભારત માટે મોટી રાજદ્વારી સિદ્ધિ હતી, કારણ કે પાકિસ્તાનના વિરોધ છતાં ઓઆઇસીએ તત્કાલીન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને આપવામાં આવેલ આમંત્રણને વળગી રહ્યું હતું અને તેના કારણે પાકિસ્તાનના વિદેશ પ્રધાનને આ સંમેલનનો બહિષ્કાર કરવો પડયો હતો.