સાઉદી અરેબિયાએ 18 વર્ષથી નાના ગુનેગારોને માટે ફાંસીની સજા નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયામાં આ શનિવારે જાહેરમાં ચાબુક મારવાની સજા પણ રદ કરવામાં આવી છે. માનવાધિકાર અંગે સાઉદી અરેબિયાનો રેકોર્ડ અત્યંત નબળો રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) દેશની છબી સુધારવા માટે સતત સુધારાવાદી પગલા લઈ રહ્યા છે.
આ નિર્ણયથી શિયા સમુદાયના છ લોકોને રાહત મળશે
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ સુધારાવાદી પગલાઓ દ્વારા પોતાની છબી બદલવા માંગે છે
સાઉદી અરેબિયાના રોયલ ફરમાનનો ઉલ્લેખ કરતા માનવાધિકાર આયોગના અધ્યક્ષ અવાદ અલવદે એક નિવેદન બહાર પાડ્યું હતું કે સગીર વયના ગુનેગારોને મૃત્યુ દંડ આપવામાં આવશે નહીં. ફાંસીની સજાને બદલે કિશોર વયના અપરાધીઓને હવે જુવેનાઇલ ડિટેનશન સેન્ટરમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા આપવામાં આવશે.અવાદે સાઉદીના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી કે તે સાઉદી અરેબિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ શાહી હુકમ અમને દેશમાં આધુનિક કાયદો અને વ્યવસ્થાને લાગુ કરવામાં મદદ કરશે.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકરોએ સાઉદી અરેબિયાને અપીલ કરી હતી
સાઉદી અરેબિયાના આ નિર્ણયથી શિયા સમુદાયના છ લોકોને રાહત મળશે જેમને ફાંસીની સજા આપવામાં આવી છે. તેઓને આરબ સ્પ્રિંગ આંદોલન દરમિયાન સરકાર વિરોધી દેખાવોમાં સામેલ હોવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. તે સમયે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકરોએ ગયા વર્ષે સાઉદી અરેબિયાને તેમની ફાંસી અટકાવવા અપીલ કરી હતી.
ક્રાઉન પ્રિન્સ આ સુધારાવાદી પગલાઓ દ્વારા પોતાની છબી બદલવા માંગે છે
નોંધનીય છે કે સાઉદી અરેબિયામાં વહાબી ઇસ્લામનું વર્ચસ્વ છે અને અહીંનો સમાજ ખૂબ સંકુચિત માનસ ધરાવે છે. જો કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદી કિંગડમને આધુનિક રાજ્યમાં પરિવર્તિત કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તુર્કીના ઇસ્તંબુલમાં વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સાઉદીની કેટલી ભૂમિકા હતી પ્રશ્નાર્થમાં છે અને ક્રાઉન પ્રિન્સ આ સુધારાવાદી પગલાઓ દ્વારા પોતાની છબી બદલવા માંગે છે.
સજા કરવામાં સાઉદી અરેબિયા વિશ્વમાં અગ્રેસર
ગુનેગારોને સજા કરવામાં સાઉદી અરેબિયા વિશ્વમાં અગ્રેસર છે. આતંકવાદ, બળાત્કાર, લૂંટ, ડ્રગ હેરફેર સહિતના તમામ કેસોમાં ફાંસીની સજાની જોગવાઈ છે. સત્તાવાર માહિતી અનુસાર 2019 માં સાઉદી અરેબિયાએ 187 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. સત્તાવાર માહિતી અનુસાર જાન્યુઆરીથી કુલ 12 લોકોને મોતની સજા આપવામાં આવી છે.માનવાધિકાર સંગઠનોએ પણ સાઉદી અરેબિયામાં કેસમાં ટ્રાયલની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે કેમ કે ઇસ્લામિક કાયદા હેઠળ અહીં રાજાશાહી શાસન છે.
કોરડા ફટકારવાની સજા પણ રદ
સાઉદી અરેબિયાએ શનિવારે કોરડા ફટકારવાની સજા પણ રદ કરી દીધી છે. દુનિયાભરના દેશો તેને અમાનવીય ગણાવીને તેને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા હતા. વર્ષ 2014 માં સાઉદી બ્લૉગર રૈફ બદાવીને ચાબુક મારવાનો મામલો ચર્ચામાં રહ્યો હતો. આ બ્લૉગરને ઇસ્લામનું અપમાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 10 વર્ષની જેલ અને 1000 કોરડા ફટકારવાની સજા કરવામાં આવી હતી.
કયા કિસ્સામાં કડક સજા થાય છે?
સાઉદીના એક અધિકારીએ બ્રિટીશ અખબાર 'ધ ગાર્ડિયન'ને કહ્યું, 'ગંભીર પ્રકૃતિના ગુનાઓ માટે હુદુદ એટલે કે કડક સજા હજી પણ ચાલુ રહેશે. જો કે હુદુદ માટે મહત્વપૂર્ણ છે કે ગુનેગાર કાં તો પોતાનો ગુનો કબૂલ કરે અથવા મોટી સંખ્યામાં અનુભવી મુસ્લિમો તેના વિરુદ્ધમાં જુબાની આપે. આ કિસ્સામાં જ હુદુદની સજા આપવનો ઉલ્લેખ છે.