સતનો ઓટલો એટલે સતાધાર. સંતોમાં સેવાની સરવાણી વહેવડાવનાર આપાગીગાનું નામ પહેલા આવે. તેઓએ 200 વર્ષ પહેલા સતનો આધાર એવા સતાધારમાં દિનદુખિયાના બેલી બની સેવા યજ્ઞ શરૂ કર્યો. ભુખ્યાને ભોજન આપવું, દુખિયાનું જતન કરવું અને અબોલ પશુઓનું પાલન કરવું આજ સતાધારનો મુખ્ય ધર્મ છે.
બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરો ને પણ પાણી સમસ્યા નું માનવીય ગ્રહણ લાગ્યું છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી, બગસરા સુધી પથરાયેલુ હતું. ઓઝતને આંબાઝર, શીંગવડોને સરસ્વતીના નિર્મળ નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત +આધાર =સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતુ જે આજેય અવિરત ચાલે છે.
પરદુખભજન આપગીગા
આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપા દાનાએ તેનુ નામ લાખુ રાખ્યું હતું જેથી તે એજ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું.
સગાઓએ મોં મચકોડ્યા
મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.
લોબાનની સુગંધ આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે
આમ આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપા વિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયે રાખતા હતા. એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પવિત્ર હાથ તેને માથે મુકો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો. ત્યાર બાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે, કે મને નોખો થવાનું કહો છો. ત્યારે આપા દાને હસતા હસતા કહ્યુ કે 'ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ એટલે કે જ્ઞાતિના લોકો તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભ્યાગતોને પાળજે. તારા ચુલામાં લોબાનની સુગંધ આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.'
આમ આપા ગીગા પોતાના ગુરૂ આપા દાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરી ભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી 108 ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ? એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે. આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર એટલે કે સતનો આધારના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર-સત્કારની પરંપરા એકધારી ચાલી આવે છે.