સત્તાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા છે. તેઓએ 93 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. વિશ્વવિભૂતિ સંત શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ હતાં. છેલ્લા ઘણા સમયથી બિમારીથી જીવરાજ બાપુ પીડાઈ રહ્યા હતાં.
જુનાગઢના વિસાવદર નજીક સતાધારની આપાગીગાની જગ્યા છે. આ જગ્યાના મહંત જીવરાજ બાપુની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી. ત્યારે સતાધારની પવિત્ર ગાદીના ગાદીપતિ મહંત પૂજ્ય જીવરાજ બાપુને આવતીકાલે 20 ઓગસ્ટને મંગળવાર બપોરે પાલખીયાત્રા યોજાશે, બાપુને સતાધાર ખાતે સમાધી અપાશે. આ પાલખીયાત્રામાં સાધુ સંતો જોડાશે.
મહંત જીવરાજ બાપુનું નિધન થતા સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સતાધાર તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે મંગળવારે સમાજના આગેવાનો, શ્રદ્ધાળુઓ અને રાજકીય આગેવાનો સતાધાર પહોંચશે.
સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં છે સત્તાધાર મહંતના અનુયાયીઓ છે. ગાયોની સેવા માટે ગૌશાળામાં જ બાપુ રહેતા હતાં. 1982થી જીવરાજ બાપુને મહંત બનાવવામાં આવ્યા હતાં.
મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ટ્વિટ
ટ્વિટમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ...!!!
મહત્વનું છે કે, ગઈકાલે CM રૂપાણીએ જીવરાજ બાપુના ખબર અંતર પૂછ્યાં હતાં.