રબારી, ગઢવી, કાઠી ક્ષત્રિયો સહિતના લોકોથી અને તેમના ગામઠી પહેરવેશથી ગીર સોહામણુ લાગે છે. દરેક નેસની એક અલગ ખાસિયત છે. પરંતુ નેસન સંસ્કૃતિને ઝાંખપ લાગી રહી છે અને તેનું કારણ છે. સરકારી તંત્રની ઉદાસીનતા અને ગેરકાયદેસર બાંધકામ કરતાં લોકો.
ગીરની નેસ સંસ્કૃતિને લાગી રહી છે ઝાંખપ
તંત્રની ઉદાસીનતા અને ગેરકાયદે બાંધકામ જવાબદાર
ગીરમાં નેસની એક અલગ સંસ્કૃતિ છે. સાવજ જોયા, ગીર જોયું, પણ જો ત્યાંના નેસ ન જોયા તો મુલાકાત અધૂરી ગણાય. હાલ ઈસ્ટ અને વેસ્ટ બંને સાઈડમાં 74 થી 100 જેટલી નેસ છે, પરંતુ ક્રમશઃ તેની સંસ્કૃતિને ઝાંખપ આવી રહી છે. સિંહ પરિવારો સાથે તો તેમને મિત્રતા છે, પરંતુ સરકારની જંગલ નીતિ અને સ્થાનિક અધિકારીઓથી તેમને અનેક સમસ્યાઓ છે. સાસણ ગામથી સતાધારના જંગલ રસ્તે પ્રથમ વસવાટ દાધિયા નેસનો છે. સાસણથી 3 કિલોમીટર હિરણ નદીને ઓળંગીને ત્યાં પહોંચાય છે.
રાત્રે ડી.જે. સંગાથે પાર્ટીઓ થઈ રહી છે
કનકાઈ ચેકપોસ્ટથી આગળ વધતા જ માનવ વસાહતનો અવાજ સંભળાવા લાગે છે. ત્યાં પહોંચ્યા પછી સમસ્યાનો કકળાટ સંભળાવા લાગે છે! કરણા લખમણ ચોપડા, પૂંજાભાઈ કરમટા, પીઠા રામા કરમટા, કરશનભાઈ, બાવનભાઈને મળવાનું થયું. તેઓએ જણાવ્યું કે, સરકારી ખાતાની નીતિ બિઝનેસમેનોને ગોળ અને અમને ખોળની નીતિ છે. 15 વર્ષ પૂર્વે અહીં આવ્યા હોત તો એક પણ ગેસ્ટહાઉસ જોવા ન મળે, જ્યારે હાલ આસપાસમાં જ 100થી વધુ હોટેલ્સ, ગેસ્ટહાઉસ, ફાર્મહાઉસ, રિસોર્ટની ભરમાર છે. બીજી તરફ અમે અહીં વર્ષોથી રહેતા હોવા છતાં મોબાઇલમાં ગીતો સાંભળવા હોય તો પણ ડરતાં-ડરતાં શરૃ કરવા પડે છે. મેંદરડાથી સાસણ થઈ તાલાળા સુધી બિઝનેસમેનો રૃપિયાની છોળો ઉડાવી રહ્યા છે, રાત્રે ડી.જે. સંગાથે પાર્ટીઓ થઈ રહી છે.
લોકસાહિત્યનાં લખાણોમાં પણ સાસણના નેસની વાતો આલેખાઇ છે
મેંદરડાથી સાસણ સુધી તો પાકો રસ્તો છે, પરંતુ જમણી તરફ જંગલના કાચા રસ્તે ગળકિયા નેસ છે. લોકસાહિત્યનાં લખાણોમાં તેનો જાજરમાન ઇતિહાસ લખાયેલો છે. ત્યાંની મુલાકાત વેળાએ ઢોર ચારતા દેવાભાઈ, નેસમાં લખમણભાઈ મકવાણા, મેરામણભાઈ, પરેશ કોડિયાતર સાથે વાતચીત કરી. કુવાડિયા છોડ જાનવરો માટે ખતરનાક છે, જે છેલ્લા દસકામાં ગીરમાં ઊગી નીકળ્યા તેવું જાણવા મળ્યું. 10 વર્ષ પૂર્વે ગીર ઘાસિયા મેદાનોથી સભર હતું. જેનું સ્થાન કુવાડિયાએ લઈ લીધું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેનો નિકાલ થાય તો સિંહ જેવા જાનવરોને બહાર નીકળી જવાની જરૃર રહેતી નથી.
ગીરમાં સાવજની સાથે માલધારીઓ અને નેસડાનું પણ છે
ગીરમાં જેટલું મહત્ત્વ એશિયાટિક લાયનનું છે, એટલું જ મહત્ત્વ માલધારીઓ અને નેસડાનું છે. સિંહના ઘરને ગ્રહણ લાગ્યું છે. મુખ્ય રોડના કિનારે એક વાવ છે. સાસણ ગામ પહેલાની આ વાવ વાણિયાઓએ બંધાવી હતી, તેવું કહેવાય છે અને પછી માલઢોર સાથે વસવાટ થયો એટલે નેસનું નામ વાણિયાવાવ. વાવમાં અત્યારે પાણી નહોતું. વરજાંગભાઈ કોડિયાતર, લાલાભાઈ રબારીએ નેસ સંસ્કૃતિને લાગેલી ઝાંખપ વિષે જણાવ્યું કે, પહેલાના સમયમાં અમારા વડવાઓ જે હેરાનગતિ આવતી તે વેઠી લેતા હતા. જ્યારે હવે નવી પેઢી શિક્ષિત થઈ છે. કાયદા-કાનૂન જાણે છે. માટે કોઈ ઊઠાં ભણાવીને અન્યાય કરે તો સામે બંડ પોકારે છે. હવે અમે પણ લડી લેવાના મૂડમાં છીએ. નેસ બચાવવા છે, ગીર બચાવવું છે, સાવજને બચાવવા છે.
કુવાડિયા વનસ્પતિ જેવી એક અન્ય વનસ્પતિને સ્થાનિકો બાપસી-એન્ટેના કહે છે. જેનાથી તેમના જાનવરો બીમાર પડે છે, મૃત્યુ પામે છે. સિંહને તો કૅન્સર થતું હોવાનો મત છે. માલઢોર બચે નહીં, તો નેસડા પણ બચશે નહીં. ફોરેસ્ટના માણસો આવી જંગલને નુકસાનકારક વનસ્પતિ રોડ કાંઠે-કાંઠેથી કાઢી જાય છે અને કાગળ ઉપર દર્શાવી દેવાય છે, જ્યારે ઊંડે જંગલમાં કંઈ કામ થતું નથી. એટલે ગીરનું હીર હણાઈ રહ્યું છે. અમૃતવેલ નેસના દુલાભાઈએ કહ્યું કે, વીજળીનો તો ઉપયોગ કરી શકાતો નથી તેમ જ બાંધકામની પણ મનાઈ હોવાથી ભગવાન-માતાજીની દેરી બનાવી હોય તો તે પણ તોડી પડાય છે. જોકે લાઈટ માટે તો હવે ગીરના દરેક નેસમાં સોલર પૅનલ જોઈ શકાય છે. આધુનિક જીવનશૈલીના કારણે અંધકારમય જીવનમાં થોડોઘણો પ્રકાશ જરૃર ફેલાયો છે.
સ્થાનિક લોકોના પહેરવેશથી ગીર સોહામણુ લાગે છે
રબારી, ગઢવી, કાઠી ક્ષત્રિયો સહિતના લોકોથી અને તેમના ગામઠી પહેરવેશથી ગીર સોહામણુ લાગે છે. દરેક નેસની એક અલગ ખાસિયત છે. પશુપાલન જ તેમનો મુખ્ય વ્યવસાય હોવાથી ત્યાંના માવાથી બનતા પેંડાની જિયાફત માણવા જેવી છે. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ગીરના જંગલમાં પ્રવેશની મનાઈ હોવાથી પરગામના કોઈ મહેમાન અંધારામાં આવી પડે તો નેસવાસીઓને ખરી તકલીફ પડે છે.
જંગલ ખાતાના કર્મચારીઓ અંદર જવા દેતા નથી. પરિણામે હવે મોબાઇલના કારણે મે'માન કૉલ કરી નેસમાંથી યજમાનને બોલાવે છે અને ત્યાર બાદ મહેમાન ઘર સુધી પહોંચી શકે છે. કેટલાક નિયમો જંગલના નીતિ-નિયમો માટે જરૃરી છે, તે વાત પણ સાચી છે, પરંતુ 'સમરથ કો નહીં દોષ ગોસાઈ' તેમ જે ધનાઢ્યો સમર્થ છે તે ફાર્મહાઉસ, રિસોર્ટવાળા ગેરકાયદેસરો માટે કોઈ નિયમો કેમ લાગુ પડતા નથી તેવો બળાપો કાઢી રહ્યા છે.