સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે ઘટનાની તપાસ કરતી ટીમ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. તપાસ દરમિયાન સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધમાં નારા લગાવ્યા અને મેયર સામે પગલા લેવાની માગ કરવામાં આવી. સ્થાનિકો તંત્ર સામે ધરણા પર બેસવાનો પ્રયાસ કર્યો.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોને ધરણા પર ન બેસવા દેતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઇ. ત્યારે બબાલ બાદ કોંગ્રેસે નેતા હાર્દિક પટેલે કહ્યું કે, જવાબદાર અધિકારીઓએ રાજીનામા આપી દેવા જોઇએ. સરકારે હજુ સુધી કોઇ પગલા નથી લીધા. ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે, 12 કલાકમાં મેયર જવાબદારી સ્વીકારી રાજીનામું આપે ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું.
મેયરનું નિવેદન
સુરતમાં અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે હવે આ મામલે સુરત મેયર ડૉક્ટર જગદીશ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, આ મામલે કોઈ પણ આરોપીઓને છોડવામાં આવશે નહી. પોલીસ દ્વારા તપાસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરમાં આ પ્રકારની કોઈ બીજી ઘટના ન બને તે માટે મનપાના અધિકારીઓ પણ એલર્ટ થયા છે. સાથે જ મનપાના અધિકારીઓ દ્વારા 80 ટીમ બનાવીને શહેરના જુદા-જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.
મનપાની ટીમો દ્વારા શોપિંગ મોલ, માર્કેટના વિસ્તાર, શાળાઓ અને સિનેમાં હોલમાં તપાસ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓએ ફાયર સેફ્ટીની પુરી પાડવા માટે કડકાઈથી આદેશ પણ આપ્યો છે.
હાર્દિક પટેલની ચીમકી
સુરતના અગ્નિકાંડ મામલે હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજ્ય સરકારને 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની માગ કરી છે. બિલ્ડિંગની મંજૂરી આપનાર અધિકારી સામે કાર્યવાહી અને ફાયર વિભાગના અધિકારી પર કેસ દાખલ કરવાની માગ કરી છે અને જો ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન પર બેસવાની હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા 20 થી વધુ વિદ્યાર્થીઓના મોત થતાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે
આગની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. દેશના વડાપ્રધાને પણ આ ઘટના અંગેની નોંધ લઇને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સુરત પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત લઇને તપાસના આદેશ આપ્યા હતા.