તા.17 સપ્ટેમ્બર-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 75 હજાર લોકોનું રજિસ્ટ્રેશન થઈ જાય તેવો લક્ષ્યાંક
મૃત્યુ પછી અંગદાનનું ગુજરાતના સરપંચનું અનોખું અભિયાન
6 મહિનામાં 65 હજાર ગ્રામજનનું અંગદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોટી પીંગડી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીની સેવાકીય પ્રવુતિ અને વિચારો જોઈ તમને પણ ઇચ્છ થશે હું પણ અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવી લઉં. કોરોનાકાળમાં સામાજિક પ્રવૃત્તિઓ કરતાં કરતાં આ સેવાભાવી સરપંચને અંગદાન કરવા અને કરાવવા માટેનો વિચાર આવ્યો. માત્ર 6 માસના ટૂંકાગાળામાં કાલોલ તાલુકાના ગામો સહિત મધ્ય ગુજરાતના વિવિધ ગામોમાં જાગૃતિ અભિયાન ચલાવીને 65 હજાર લોકોને "અંગદાન મહાદાન" અંગે જાગૃત કરી રજિસ્ટ્રેશન કરાવી મોટી સિદ્ધી હાંસલ કરી છે.
75 હજાર લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનું લક્ષ્ય
આ કામ અંગે VTV ગુજરાતીએ મોટી પીંગડી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં હું પણ સહભાગી થયો છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિનના દિવસ આવે ત્યાં સુધીમાં 75 હજાર અંગદાન માટેના રજિસ્ટ્રેશન કરાવવાનો લક્ષ્યાંક છે.
કેવી રીતે આવ્યો આ વિચાર
વિજયસિંહ સોલંકીએ આ વિચાર કેવી રીતે આવ્યો તેના જવાબમાં કહ્યું કે હું કાલોલ તાલુકા , ગોધરા તાલુકા , ઘોઘંબા તાલુકામાં તેમજ વડોદરામાં મિત્રોને અંગદાનનું મહત્વ સમજાવું છું. વધુમાં તેઓએ કહ્યું કે કોરોનાની મહામારી દરમિયાન મૈ ઘણા સામાજિક કાર્ય કર્યા હતા. ઘણા લોકોને મારી આંખ સામે મરતા જોયા છે ઘણાના સેવા ભાગ રૂપે અંતિમ સંસ્કાર પણ કર્યા છે. આ વખતે મને વિચાર આવ્યો કે માણસનું શરીર મૃત્યુ પામ્યા બાદ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પણ તેમના અંગો જેવા કે, આંખ, કીડની, લીવર તેમજ અન્ય જરૂરી એવા અંગો જો કોઈને દાન સ્વરૂપે આપી દે તો કોઈનું જીવન સુધરી શકે છે.
પત્ની સમક્ષ વિચાર રજૂ કર્યો તો જવાબ મળ્યો પહેલા તમારું નહીં મારુ રજીસ્ટ્રેશન કરો
આથી મૈ પહેલા મને આવેલો વિચાર મારી પત્ની હિનાને રજૂ કર્યો તેણે પણ મારી વાતમાં સાથ પૂર્યો અને મને કહ્યું કે અંગદાન માટેનું પહેલું રજીસ્ટ્રેશન તમારૂ નહીં માંરૂ કરો. આ પછી જ્યારે મને સમય મળે ત્યારે હું આસપાસના તાલુકાના ગામડામાં અંગદાનનું મહત્વ સમજાવવા નીકળી પડતો. મિત્રો સંબંધીઓને પણ વ્યવસ્થિત રીતે બધુ સમજાવી તેમણે રજીસ્ટ્રેશન માટે રાજી કર્યા. મને એ વાતની ખુશી છે કે આજ સુધી આ સેવાના કાર્યમાં મને કોઈ કડવો અનુભવ થયો નથી. જ્યાં વાત મૂકી ત્યાં લોકોએ બસ સમર્થન કર્યું. અને 6 મહિના જેવા ટુંકા ગાળામાં જ 65 રજીસ્ટ્રેશન કર્યા. હવે 17 સપ્ટેમ્બર-22ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 75 હજાર લોકોનું રજિસ્ટ્રેશન કરી આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થઈશ.
ઑનલાઇન અંગદાન માટે રજિસ્ટ્રેશન થઈ શકે તે માટે કામ શરૂ કર્યું
વધુમાં વિજયસિંહ સોલંકીએ જણાવ્યું કે અંગદાન કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે સામેથી ફોન આવી રહ્યા છે. અમે લોકોની જાગૃતિ માટે પોસ્ટર,પેમ્પલેટ, અને બેનરો પણ રાખ્યા છે. ગામના ડોક્ટોરોને પણ મળી રહયા છે. આવનાર દિવસમાં અમે લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની સુવિધા ઊભી કરવા પુરજોશમાં કામ થઈ રહ્યું છે. સરકાર તરફથી પણ આ કામ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું વિજયસિંહે જણાવ્યું હતું.