લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અમરેલી અને નવસારીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી લોકો રોષ ઠાલવી રહ્યા છે. ગામના જાહેર ચોકમાં મતદાતાઓ મતદાનના બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. લોકોની સમસ્યા છે કે, આપણા દેશમાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે તેમાં સૌથી વધારે ખેડૂતો હેરાન થાય છે. આ મામલે અમરેલી અને નવસારીના લોકોએ વિરોધ કર્યો છે.
લોકોને શું છે તંત્ર સામે રોષ?
આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ અમરેલીના પીઠવડી ગામના લોકો પ્રાથમિક સુવિધાની માગને લઈને ચૂંટણીના બહિષ્કારની ધમકી આપી રહ્યા છે. ત્યારે અન્ય વિન્ડોમાં નવસારીના અમલસાડ ગામના લોકો વિકાસના કામો વધારે કરાઈ રહ્યા છે અને તેનું નુકસાન ખેડૂતોને થાય છે તેવી ધમકી આપી રહ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું પીઠવડી ગામ
પીઠવડી ગામે પીવાના પાણીની માગને લઈને ગામના લોકો રોષે ભરાયા છે. પીઠવડીના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોએ ગામના જાહેર ચોકમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ ફૂંક્યું છે. હજુ ઉનાળો બાકી છે ત્યાં પીવાના પાણીનો પોકાર ઉઠતા ગ્રામજનોની સમસ્યા નિવારવા ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવવામાં આવ્યા છે. લોકોએ સ્થાનિક નેતાઓને ગામમાં ઘૂષવાની મનાઈ ફરમાવી છે. દરેક ચૂંટણી વખતે ભાજપ હોય કે, કોંગ્રેસ મત લેવા વચનોની લ્હાણી કરે છે. પંરતુ આખરે ગામના લોકોની સમસ્યા કોઈ સમજતું ન હોવાનો ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. લોકોનો આરોપ છે કે સરકાર કરોડોની જાહેરાતો કરીને ખર્ચ કરે છે પરંતુ ગામના લોકોની સમસ્યા સરકાર જોતી નથી. તેને લઈને તેમને મતદાનના બહિષ્કારનું હથિયાર ઉઠાવ્યું છે.
12 વર્ષથી રેલવે ફાટક 111 પર બનનારા ઓવરબ્રિજનો વિવાદ
નવસારી જિલ્લાના ખેડૂતોએ પણ સરકાર સામે બંડ પોકાર્યો છે. નેશનલ હાઇ-વે, એક્સપ્રેસ હાઇવે, હાઈસ્પીડ ટ્રેન અને બુલેટ ટ્રેન સાથે ગ્રામ્ય પંથકમાં બનતા ઓવરબ્રિજનો વિરોધ કરાઈ રહ્યો છે. છેલ્લા ૧૨ વર્ષથી રેલવે ફાટક 111 પર બનનારા ઓવરબ્રીજનું સ્થળ જેતે વખતના ધારાસભ્યના દબાણવશ થઈને બદલવામાં આવ્યું હતું. ત્યારથી નવા સ્થળને લઈને વિવાદો ચાલી રહ્યા છે. અમલસાડ ગામના સરપંચ ભાજપના આગેવાન હોવા છતાં આવનાર ૨૦૧૯ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમનો વિરોધ છે કે, નવા સ્થળને લઈને કુલ ૮ ગામના ૪૩ ખેડૂતોને કમાણી કરી આપતી જમીન અને ઘરો ઓવરબ્રિજ બનતા નુકસાન થશે. કેરી, ચીકુ અને અન્ય ખેતી કરતા ખેડૂતોની કફોડી હાલત થતા વિરોધના શૂર ઉઠ્યા છે. વિરોધ કરતા લોકોની વાત છે કે, કોઈ પણ સરકારી કામ હોય ભોગવવાનો વારો ખેડૂતોને વધારે આવે છે. જમીન કપાત હોય મકાત કપાત બ્રિજ બનતા મકાન ખેતરની કિંમતો પડી ભાંગે છે.
હાલ આ વિરોધને જોતા એક વાત સામે આવે છે કે શું નેતાઓને સ્થાનિકો જ આ પ્રકાની ટેવો પાડી રહ્યા છે. ચૂંટણી પહેલા જ કેમ લોકો અવાજ ઉઠાવીને નેતાને દબાવવાનો પ્રયાસ કરે છે. ખરેખર તે જનપ્રતિનિધિ છે. તો તેમને એક પણ દિવસ છોડવા જોઈએ નહીં અને પોતાની સમસ્યાનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ન કે ચૂંટણીના બહિષ્કારની ધમકી આપવી જોઈએ. હાલ આ બે ગામના લોકોએ તંત્રને ચીમકી આપી છે અને સમસ્યાનું સમાધાન કરવાની માગ કરી છે.