સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.147ને સિક્સલેઈન કરવામાં આવશે. ત્યારે SG હાઇવેના આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.
સોલા ભાગવતથી થલતેજ અંડરપાસ સુધી 4.18 કિમીનો બનશે કોરીડોર
થલેતજથી ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા ઓવરબ્રિજ ઉપર આવેલા સાયન્સ સિટી તરફના રેમ્પ(પુલ)થી ડાબી સાઇડ નીચે ઉતારી, શુકન મોલ ક્રોસ રોડથી જમણી સાઇડ ટર્ન આપી કારગીલ ચાર રસ્તાથી ગુજરાત હાઈકોર્ટ પાસેથી એસજી હાઈવે ઉપર લઈ જવાશે.
2થી અઢી મહિના માટે આવનારા આ ડાયવર્ઝનની પૂર્વ તૈયારીઓ માટે સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. તેમણે માર્ગ મકાન વિભાગના ઈજનેરો અને પોલીસ અધિકારીઓ સાથે સવા કલાક સુધી આ અંગે ચર્ચા કરી હતી. આ ડાયવર્ઝન એક અઠવાડિયામાં અમલમાં આવી શકે છે. આ અંગે અગાઉથી જ અમદાવાદ પોલીસ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેશે. આ ડાયવર્ઝનને કારણે 400 મીટરનું અંતર એકથી સવા કિલોમીટર જેવુ વધશે.
ડાયવર્ઝન અંગે DyCM નીતિન પટેલે કહ્યું- નવો અંડરપાસ બનાવવામાં આવશે
ફોરલેઈન સોલા રેલ્વે ઓવરબ્રિજ આઠ માર્ગીય થઈ રહ્યો છે. જે બંન્ને તરફે સિક્સલેઈન એલિવેટેડ હાઈવેથી જોડાયેલો રહેશે. 2 રેલવે ઓવરબ્રીજ પણ 7-8 લેન પહોળા કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સોલા રેલ્વે ઓવર બ્રિજ નીચે ભૂયંગદેવ તરફથી સાયન્સ સિટી વચ્ચે આવાગમન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો ટુ લેઈન અંડરપાસ છે.
4.18 કિ.મી.ના એલિવેટેડ હાઈવેનું કામ ક્યારે પૂર્ણ થશે ?
રૂ.870 કરોડના એસજી હાઈવે વિસ્તૃતિકરણમાં 70 ટકા કામ પૂર્ણ થયુ છે. તો થલતેજ અંડરપાસથી ઝાયડ્સ હોસ્પિટલ ક્રોસ રોડ ઉપરથી સીધા જ ગોતા ઓવરબ્રિજ પહેલા ભાગવત વિદ્યાપીઠે પૂર્ણ થતા 4.18 કિલોમીટરના એલિવેટેડ હાઈવેનું કામ ઓગસ્ટ-2021 સુધીમાં પૂર્ણ થઇ જશે. જેમાં એલિવેટેડ હાઈવેથી નીચે ઉતરતા પુલો સાથે આઠ માર્ગીય સોલા રેલ્વે ઓવરબ્રીજનો પણ સમાવેશ થાય છે.