સરખેજ ભારતી આશ્રમના ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં અલગ કરોડોની આશ્રમની જમીનોને લઈ વિવાદ સપાટી પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે. બીજી તરફ પોલીસે પણ આ મામલે રજુઆત સાંભળી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
યદુનંદન મહારાજે કર્યો મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ
ભરાતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ તકે બાપુએ જણાવ્યું હતું કે અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. જેથી રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ. જે પણ લોકો આમાં ઇનવોલ હોય તેમની સામે કાર્યવાહી કરવાની અમારી માંગ છે. આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો ધગધગતો આક્ષેપ કર્યોં છે. એટલું જ નહી રાજકોટના વકિલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો પણ ધડાકો કર્યો છે. ભારતી બાપુના બ્રહ્મલિન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હોવાનું તેમને જણાવ્યું છે. સાથે તેઓએ બે લેગ અલગ વીલ રજૂ કર્યા છે. બંનેમાં ભારતી બાપુની અલગ અલગ સહી હોવાનો આરોપ લગાવ્યો છે.
1500 કરોડની સંપતી પચાવી લેવા કારસો રચાયો
મહત્વનુ છે કે ગુજરાત ભરના આશ્રમોની કુલ 1500 કરોડની સંપતી પચાવી લેવા કારસો રચાયો છે. બીજી તરફ એમ ડિવિઝનના એસીપી એસ ડી પટેલએ જણાવ્યું કે આશ્રમ વિવાદ મામલે રજુઆત મળી છે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન બાદ તપાસ હાથ ધરી કસૂરવાસો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતી બાપુના બ્રહ્મલીન થયાની ઘટના બાદ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર આવેલ આશ્રમોની જમીનને લઈ જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ અને ૠષિ ભારતી મહારાજ સામ સામે આવ્યા છે. અગાઉ હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
રુષીભારતી વિરુધ્ધ કાવતરા રચાતા હોવાની રાવ
સમગ્ર મામલે રુષીભારતીજીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓની પાસે જે વીલ છે તે સાચી છે અને તેઓને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તેવુ જણાવ્યુ હતું. સરખેજ આશ્રમના ટ્રસ્ટીઓ પણ રુષીભારતી વિરુધ્ધ કાવતરા રચી રહ્યા છે છતાં અત્યાર સુધી આશ્રમનું નામ ખરાબ ન થાય તે માટે તેઓ ચુપ હતા પરંતુ હવે વધુ પડતો મામલો બીચકતા રુષીભારતીજી મીડીયા સમક્ષ આવીને તેઓ સાચા છે તેમજ જગ્યાનો કેસ કોર્ટમાં છે જો કોર્ટ કહેશે તો તેઓ આશ્રમ છોડી ચાલ્યા જશે તેવી વાત કરી હતી.
વીલના મામલે બંને પક્ષ આમને-સામને
નોંધનીય છે કે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ ગઈ તા. 11- 4 -2021ના રોજ દેવલોક પામ્યા હતા. તેમના બ્રહ્મલીન બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક-જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઇ હતી. ત્યારે ભારતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દેવલોક પામેલા વિશ્વંભર ભારતીજી મહારાજે 2019માં કરેલા વિલ મુજબ ચાલવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યાં વળી ઋષિભારતી મહારાજે વિશ્વંભર ભારતીજી બ્રહ્મલીન થયા પહેલાં તેમને કરી આપેલા હસ્તલેખિત નોટરી રૂબરૂનું વિલ રજૂ કરતાં જ વિવાદનો મધપૂડો છેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિલ કરાવવા માટે વિલ કરનાર તથા બે સાક્ષી કે જેમને વિલ સાથે કોઇ લેવાદેવા ના હોય તેવી વ્યક્તિઓએ નોટરી માટે રૂબરૂ આવવું પડે. નોટરીના ચોપડામાં સહી અને અગૂંઠાનું નિશાન લેવામાં આવે છે. 2021ના વીલના મામલે બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા. છેવટે બ્રહ્મલીન વિશ્વંભર ભારતીજી મહારાજે કરેલું 2019નું વિલ સાચું કે પછી 2021માં કરેલું વિલ સાચું એ મામલે વિવાદ વણસ્યો છે. હાલ આ મેટર કોર્ટમાં પડતર છે.