17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે સરદાર સરોવર ડેમે ઐતિહાસિક સપાટી પૂર્ણ કરતા ગુજરાતમાં ખુશીની ક્ષણ છે. 138.68ની સપાટી પુર્ણ કરી છે. આ સાથે 7 લાખ કયૂસેક પાણીની આવક થઈ છે. સાથે 5 હજાર 760 MCM પાણીનું સ્ટોરેજ થયું છે.
આ વખતે પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન હતું તે પૂર્ણ કરી ગુજરાત પ્રધાનમંત્રીને આ ઐતિહાસિક ભેટ આપવાની તૈયારીમાં છે. આ ભેટ છે નર્મદા ડેમને તેની 138 ફૂટની સપાટી સુધી પ્રથમ વખત સંપૂર્ણ ભરવો. ત્યારે નર્મદા ડેમ હાલ 138 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે. 17 સપ્ટેમ્બરે સોનામાં સુગંધ ભળી જાય તેવો માહોલ સર્જાશે. હાલ ડેમમાંથી નર્મદા નદીમાં 8.11 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે આ આહલાદક નજરો જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે.
17 સપ્ટેમ્બર 3થી 4 કલાકનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી મોદી નર્મદા પૂજન કરશે. વિકાસલક્ષી કામનું નિરીક્ષણ કરશે. તેમજ ડેમ કંટ્રોલ રૂમની મુલાકાત પણ કરશે. જાહેર કાર્યક્રમ અંગે પર્યટકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળી ઉત્પાદન સારુ થઈ રહ્યુ છે. પાણીના પ્રવાહ સામે ગામડાંઓમાં સુરક્ષિત પગલાં લેવામાં આવ્યાં છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભરતસિંહ પરમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નર્મદા પ્રવાસને લઈ નિવેદન આપ્યું હતું. પરમારે કહ્યું કે પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે નર્મદા આવશે અને નર્મદા ડેમમાં નવા નીરના વધામણા કરશે. 9 વાગ્યે નર્મદા નીરના વધામણા કરી જળઅભિયાન મુદ્દે વાતચીત કરશે. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેરો આનંદ છે. નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીએ પર પહોંચી ગયો છે. ડેમની જળસપાટી વધતા સરદાર પટેલનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. જેને લઈ તમામ જગ્યાએ ખુશીનું વાતાવરણ છે.
મહત્વનું છે કે 70 વર્ષ બાદ નર્મદા ડેમ છલકાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ઐતિહાસિક ક્ષણની ઉજાણી માટેની તક ઝડપી લેવા માંગે છે. રાજ્ય સરકાર આ ઐતિહાસિક ક્ષણની ભવ્ય રીતે ઉજવણી કરવા તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતભરમાં આ કાર્યક્રમની ઉજવણી કરવા ચાર મંત્રીઓની એક સમિતીની રચના પણ કરી છે. આ સમિતિમાં આર.સી.ફળદુ, બચુભાઈ ખાબડ, કુંવરજી બાવળિયા તથા પ્રદીપસિંહ જાડેજાનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદીના જન્મદિવસે રાજ્ય સરકાર આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા માગે છે.
સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબમાં જવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડુબી જશે. પરંતુ ગુજરાત સરકારનું કહેવું છે કે, આ વિરોધ કોંગ્રસ પ્રરિત છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર નર્મદામાં રોડાં નાખવાનો આક્ષેપ કર્યો છે.
5000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, ત્યારે ગુજરાત સરકાર તેની ઉજવણીની તૈયારી કરી રહી છે. જ્યારે નર્મદાના કાંઠે આવેલા મધ્ય પ્રદેશ અને ગુજરાતના 250 જેટલા ગામોમાં નર્મદાના પાણી ઘુસી જવાની ભીતિ સેવાઈ રહી છે, એટલું જ નહીં હાલ નર્મદા ડેમ 138 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના 40થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે. તેમજ ભરૂચ-નર્મદા જિલ્લાના 144 ગામોના 5000 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના પણ 100થી વધુ ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. આમ જો નર્મદા બંધ ઓવરફ્લો થાય તો ગુજરાત અને મધ્યપ્રદેશના નર્મદા કાંઠાના 250 જેટલા ગામોની સ્થિતિ વણસી શકે છે. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીનું નર્મદા ડેમ 138 મીટરની સપાટી સુધી ભરવા અંગે કહેવું છે કે, નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકાર છે, જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે.
જો ડેમ ઓવર ફ્લો થશે તો 40 હજાર ક્યૂસેક પાણી કેનાલમાં છોડાશે
જો ડેમ સંપૂર્ણપણે ભરાઇ જાય તો 40 હજાર ક્યૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે અને કેનાલ મારફતે સાબરમતી સહિતની નદીઓ, ડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવશે. દરવાજા કેટલો સમય ખુલ્લા રહે તેનો આધાર મધ્યપ્રદેશમાં પડનારા વરસાદ પર છે. હાલની પરિસ્થિતિમાં ચોમાસાની સિઝન પૂર્ણ થતા સુધી ડેમ ઓવરફ્લો થતો રહેશે.