ગુજરાત માટે સારા સમાચાર છે. રાજ્યની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 88 ટકા ભરાતા સરકાર સહિત લોકોને રાહત થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
આજે નર્મદા ડેમ સપાટી 135 ને પાર થઇ ગઈ છે. જે ઐતિહાસિક સપાટી એ પહોંચી જતા તંત્ર અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
આજે નર્મદા ડેમએ તેની ઐતહાસિક સપાટી વટાવી છે. આજે સરદાર સરોવર ડેમની સપાટી 135.02 મીટર થઈ. જેને પગલે નર્મદા ડેમના 10 દરવાજામાંથી 1.5 મીટર ખોલી દરવાજામાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું.
જેને લઇને નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાનો ગોરા બ્રીજ પુનઃ ડૂબી ગયો છે. નર્મદા ડેમમાં હાલ 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદનો આ સૌથી વધુ જળ સંગ્રહ છે.
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઇ માટે પાણીનો લાભ મળશે. હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા એ પણ ખુશી વ્યક્ત કરી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ કેનાલમાં 20 હજાર ક્યૂસેક પાણી છોડી રાજ્યના તમામ તળાવો તેમજ મહત્વના જે ડેમો નર્મદા કેનાલ સાથે જોડાયેલા છે તે અને સાબરમતી સહિત 4 જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે.
નર્મદા ડેમની સપાટી 135 મીટર પાર પહોંચી ગઇ હતી. ઉપરવાસમાંથી 1 લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. જેના કારણે ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો થયો હતો.
નર્મદા ડેમના 15 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા હતા અને ડેમમાંથી નર્મદા નદીમાં 1 લાખ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ અગાઉ ઊંચાઇ વધાર્યા બાદ પહેલીવખત ડેમ 84 ટકા જેટલો ભરાયો હતો. નર્મદા ડેમમાં હાલ 4720 MCM લાઇ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ RBPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે.