નર્મદાના અનેક નામ છે. તેમાનું એક નામ છે રેવા. રેવા એટલે ખળ ખળ વહેતી નદી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃતઃપાય અવસ્થામાં હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નદી તેના રેવા સ્વરૂપમાં મૂળ સ્વરૂપે જોવા મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ફરી ખોલાયા છે.
નર્મદામાં સતત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ત્યારે ફરી એકવાર નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. હાલમાં ડેમમાં 1 લાખ 89 હજાર 244 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધીને 131.65 મીટરે પહોંચી છે. પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા છે. જેને લઇને નર્મદા કાંઠાના 23 ગામને એલર્ટ કરાયા છે.
ગોરા બ્રિજ ડૂબી જતા વાહનવ્યવહાર બંધ
નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે ગોરા બ્રિજ પણ ડૂબી જતા વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદી 28 ફુટે પહોંચી છે. ગઇકાલે 29 ફુટે પહોંચી હતી ત્યારબાદ હવે 28 ફુટની સપાટી વટાવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી બન્યું સરોવર
તીર્થધામ ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર નિર્માણાધિન 32 મીટર ઉંચા વિયર ડેમ પરથી જળ છલકાઈ ઉઠ્યું છે. નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાતા જ સુંદર અને મનમોહક દ્રશ્યો સર્જાયા છે. પ્રવાસીઓ ઓવરફ્લો ડેમનાં દિવાના છે પણ નર્મદા ડેમ પર ગેટ લાગી જતા કેટલાક સમયથી ઓવરફ્લો દેખાતો બંધ થયો છે. તો પ્રવાસીઓએ હવે નિરાશ થવાની જરૂર નથી. કેવડીયા જતા માર્ગ પર ગરુડેશ્વર યાત્રાધામ આવેલ છે. ત્યાં જઈને મીની ઓવરફ્લો જોઈ શકાશે. આ વિયર ડેમ સ્ટેટ્યૂ ઓફ યુનિટીથી 12 કિલોમીટર દૂર છે અને આ વિયર ડેમ બનાવવા પાછળનું કારણ એ છે કે અહીંથી સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી 12 કિલોમીટરનું એક સરોવર બને અને ત્યાં પ્રવાસીઓ માટે નૌકાવિહાર પણ ચાલુ કરી શકાય. હવે વધુ એક સુવિધા નૌકાવિહાર પણ શરુ થઇ શકે છે.
સોળે કળાએ ખીલી ઉઠ્યું નર્મદા
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે અને નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં વધારો થાય છે. હાલ ડેમ વિસ્તારમાં પવન સાથે ઝરમર વરસાદના કારણે સાતપુડા અને વિધ્યાંચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે. જેના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ત્યારે નર્મદા જિલ્લાના આ કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અને હાલ સિઝનમાં રોજના 6 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે ડેમમાં પાણી છોડ્યા બાદ 25 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે.