રાજ્યની જીવા દોરી સમાન ગણાતા નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક વધતાં ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં 27159 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
જ્યારે ડેમમાંથી સિંચાઈ માટે 9207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની સપાટી વધીને 121.18 મીટરે પહોંચી છે. હાલમાં ડેમમાં 1320 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો નોંધાયો છે.
આમ હાલમાં જ્યારે રાજ્યમાં વરસાદને લઇને જગતનો તાત જ્યારે ચિંતામાં છે ત્યારે નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં થોડા રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં નર્મદા ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે.
રાજ્ય કેટલાક ડેમ તળિયા ઝાટક જોવા મળી રહ્યાં છે, લોકો માટે પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં થોડા રાહતના સમાચાર છે.