નર્મદાના કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રતિમાનું કામ હાલ 85 ટકા પૂર્ણ થયું છે. આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાત મુહૂર્ત 5 એપ્રિલ 1961ના દિવસે જવાહરલાલ નેહરુએ કર્યું હતું. પણ નર્મદા ડેમ બનાવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયુ હતું.
જેથી સરદારની પટેલના સન્માનમાં રૂપિયા 2989 કરોડના ખર્ચે 182 મીટરની સરદારની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે જ સ્ટેચ્યુના 2000 મીટરમાં વનવિભાગ દ્વારા વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવી છે જેમાં બારેમાસ ફૂલ આપતા છોડ ઉગાડવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તે સમયના મુખ્યપ્રધાન અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જેનું કામકાજ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં તે કામ પૂર્ણ થવાનું હોવાથી 31 ઓક્ટોબરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે.
આપને જણાવી દઇએ કે બ્રોન્ઝ દ્વારા નિર્માણ પામનારી સરદાર પટેલની 182 મીટરની આ ઉંચી પ્રતિમાં ધ્યાનાકર્ષક થશે. આ બ્રોન્ઝમાં 90 ટકા જેટલું તાંબુ અને બાકીનું ઝીંક ધાતુ વપરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય પુલનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. મુખ્ય સ્ટેચ્યુ સિવાય અન્ય ભવનોનું પણ નિર્માણ કાર્ય પૂર્ણ થવાનાં આરે છે.
'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નામે ઓળખ પામેલ સરદાર પટેલની આ પ્રતિમાને લઇ કેટલીય ચર્ચાઓ ભૂતકાળમાં બની છે. અનેક લોકોની નજર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર છે ત્યારે આગામી 31 ઓક્ટોબરના રોજ આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.