રાજ્ય તેમજ દેશમાં પાણીની આવકને જાળવી રાખવા સરકારે ઘણા ઉપાયો કર્યા છે. સરકાર દ્વારા જે તે સમયે ડેમના નિર્માણ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાણી બારેમાસ આસપાસના ગામોમાં પીવાની સાથે સિંચાય જેવી સુખાકારી માટે વપરાતું હતું પરંતુ હવે પાણીની બહુ અછત છે.
પાટણ શહેરના છેવાડે માતરવાડી પાસેના પાટણથી ડીસા રોડ પર 'સરસ્વતી બરેજ' ડેમ આવેલો છે. આ ડેમની વાત કરવામાં આવેતો આ ડેમનું નિર્માણ 1965માં શરૂ થયું હતું અને 1972માં કામ પૂર્ણ થયું હતું. આ ડેમ 50 મીટર ઘન ફૂટ 141 મીટર ઘન મીટરની છે અને તેની લંબાઈ 975 ફૂટ છે. બેરેજના કુલ 27 દરવાજા છે. પુલની પહોળાઈ 2200 - 6.70 મીટર છે.
તેમાંના પાણીના સંગ્રહની ક્ષમતાની વાત કરવામાં આવેતો 1.42 મિલિયન ક્યુબીકની છે.જ્યારે આ ડેમ નિર્માણ પામ્યો તે સમયે પાટણ પંથકના આસપાસ ના 23 ગામોને પીવાનું પાણી પૂરું પાડતો હતો અને 6.721 હેક્ટર જમીનમાં સિંચાયનું પાણી પૂરું પાડતો હતો. જોકે આ તમામ વાતો હવે ભૂતકાળ બનીને રહી ગઈ છે કારણ કે અત્યારે ડેમ તો છે પરંતુ તે પોતેજ વર્ષોથી તરસ્યો છે.
સરસ્વતી ડેમની દશા કેમ અને કોને કરી તેના પર નજર કરીયે તો જેતે વખતે 1971માં ઉપરવાસમાં મુક્તેશ્વર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી પાટણના આ સરસ્વતી ડેમમાં પાણી નથી રહ્યું કારણકે મુક્તેશ્વરમાં પાણીને રોકી રખાતા પાટણના ડેમમાં પાણી સમસ્યા સર્જાઈ હતી. આ સૂકા પ્રદેશમાં રેતાળ જમીન પર હોવાના લીધે અહિયાં આવતું વરસાદી પાણી કલાકોમા સુકાઈ જાય છે.
આ ડેમમાં લોકોને વર્ષમાં એકાદ વાર પાણીનાં દર્શન થાય છે તે પણ ચોમાસામાં મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે આ ડેમમાં ફક્ત પાટણ વાસીઓ માટે સેલ્ફી લેવા પુરતું પાણી રહે છે જે બીજા દિવસે અદ્રશ્ય થઈ જાય છે. પાટણ સીંચાય વિભાગ દ્વારા પાણીનો સંગ્રહ કરવા ડેમમાં ફલોરિંગનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાની કામગીરીના લીધે ફલોરિંગના પથ્થર પણ ઉખડી જવા પામ્યા છે. જ્યાં નજર પડે ત્યાં ડેમમાં બાવળિયાની ઝાડી અને રેત ઉડતી નજરે પડે છે.
પાટણના જવાબદારવ્યક્તિઓના જણાવ્યા પ્રમાણે મુક્તેશ્વર ડેમ બનાવવામાં આવતા બધું પાણી સ્ટોર થઇ જતા પાટણનો આ સરસ્વતી ડેમ મૃત પાયે બનવા પામ્યો છે. હાલ આ ડેમનો ઉપયોગ પાટણ વાસીઓ ગણપતિ દશામાં તેમજ કાનુડાની મૂર્તિ વિસર્જન માટે ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં જોવો ત્યાં ગંદકી અને મૂર્તિ વિશર્જનના કારણે ગંધકી જોવા મળી રહી છે.
ઉનાળાના દિવસોમાં પાટણ પંથકમાં પીવાના પાણીની ખુબજ તકલીફ પડતી હોય છે પરંતુ એક ટીપું પાણી પણ આ સરસ્વતી ડેમમાં નથી. આ ઉપરાંત ડેમને 50 વર્ષ જેટલો સમય થઇ જતા તે જર્જરીત થઇ ગયો છે.
2004માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સરસ્વતી નદીમાં સુજલામ સુફલામ યોજના થકી નર્મદાના પાણી સરસ્વતીમાં લઇ જય તેને નવપલ્લિત કરવાનું કામ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે સરસ્વતી ડેમ પાસે એક વિશાળ નર્મદાની પાઈપ પણ નાખવામાં આવી હતી પરંતુ આ તમામ બાબતો સમય જતા પાટણ વાસીઓ માટે નર્યું નાટક સાબિત થવા પામી છે. આ વિશાળ પાઈપ પણ પાણીની વાટ જોતી હોય તેવું લાગી રહ્યું છે.