ગુજરાતમાં પ્રથમ DGCA માન્ય ડ્રોન સ્કૂલ ખોલવામાં આવી છે. અમદાવાદમાં આવેલા સંસ્કારધામ ડ્રોન એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પ્રથમ DGCA માન્ય ડ્રોન સ્કૂલ ખોલવામાં આવી
સંસ્કારધામ ડ્રોન એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ઉદ્ઘાટનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજર
સંસ્કારધામ કેમ્પસ કે જે સામાજિક સાહસિકતાના ક્ષેત્રમાં સામેલ શૈક્ષણિક હબ છે. આધુનિક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા સર્વાંગી વિકાસ પ્રદાન કરે છે તે DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય ગુજરાતની પ્રથમ રિમોટ પાયલટ તાલીમ સંસ્થા કે જેને ડ્રોન ટ્રેનિંગ એકેડમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત કરવામાં આવી છે. 7 એપ્રિલે અમદાવાદમાં સંસ્કારધામ ડ્રોન એકેડેમીનું ઉદ્ઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ એસ.જે. હૈદર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ડ્રોન એકેડેમી ગુજરાત પોલીસ વિભાગને સૌથી વધુ મદદરૂપ થશેઃ હર્ષ સંઘવી
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "પોલીસની ઘણી સર્વેલન્સ કામગીરીમાં અમારે ડ્રોન ચલાવવા માટે સિનેમેટોગ્રાફર્સ લાવવાની ફરજ પડી હતી. ત્યારે અમને અનુભવ થયો કે આપણા પોલીસ વિભાગને પણ ટ્રેનિંગ આપવાની જરૂર છે. આ DGCA માન્ય ડ્રોન ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત પોલીસ વિભાગને સૌથી વધુ મદદરૂપ થશે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસ વિભાગમાંથી પસંદગી પામેલા અધિકારીઓ એકેડેમીમાંથી ટ્રેનિંગનો લાભ લેશે."
આધુનિકીકરણને પ્રાથમિકતા આપતા સરકાર દ્વારા નવી ડ્રોન પોલીસીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભારતને ડ્રોન હબ બનાવવાના માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના વિઝનને સાકાર કરતા આજ રોજ સંસ્કારધામ ખાતે DGCA માન્ય ડ્રોન ટ્રેનિંગ સ્કૂલના ઉદ્દઘાટન પ્રસંગે હાજરી આપી. pic.twitter.com/QOegyKbMgn
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનો ગુજરાત સરકારે ખૂબ જ સારી રીતે અમલ કર્યો છે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતના ખેડૂતોએ તેમના ખેતરોમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
સંસ્થા દ્વારા લેવામાં આવેલા પગલાં અને આ પહેલ જોઈને મને ખૂબ ગર્વ થાય છેઃ એસ.જે. હૈદર
આ કાર્યક્રમમાં અગ્ર સચિવ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) એસ.જે. હૈદરે જણાવ્યું હતું કે, "હું સંસ્કારધામમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મૂલ્ય પ્રણાલીનો અનુભવ કરીને અને કેમ્પસ જોઈને રોમાંચિત છું તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણના વિઝનને સાકાર કરવા સંસ્થા દ્વારા લેવામાં આવેલા પગલાં અને આ પહેલ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગારી પર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. સંસ્કારધામ ખાતે DGCA માન્ય ડ્રોન એકેડમીનું ઉદ્ઘાટન આ પોલિસીના સિદ્ધાંતોનો પડઘો પાડે છે."
ભારત એક મોટી ડ્રોન ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. સરકારી પોલિસી NITI આયોગ અનુસાર આગામી 15 વર્ષમાં ડ્રોનનું ભારતીય બજાર $50 બિલિયનના આંકડે પહોંયશે, ડ્રોન ટેક્નોલોજીના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી ઉદારીકરણ નીતિ અને ઉત્પાદન પ્રોત્સાહન યોજના મોટાભાગે મદદરૂપ થશે. ડ્રોન સેક્ટરમાં ભારે તેજી સાથે આગામી મહિનાઓમાં સ્કિલ્ડ ડ્રોન ઓપરેટર્સની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થવાની આશા સેવાઈ રહી છે.
સંસ્કારધામ ભારત અને ગુજરાતને ડ્રોન હબ બનાવવાના પ્રતિબદ્ધઃ સંસ્કારધામના ટ્રસ્ટી મૌલિક ભગત
એકેડમીના વિઝનની વાત કરતાં સંસ્કારધામના ટ્રસ્ટી મૌલિક ભગતે જણાવ્યું હતું કે "નવા ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્કિલ ડેવલોપમેન્ટનું વિઝન તમામ સંસ્થાઓને પ્રેરણા આપે છે. તેમના વિઝનથી પ્રેરિત સંસ્કારધામે ન્યુ ઈન્ડિયાના સ્કિલ ડેવલોપમેન્ટની સફરમાં ભાગ લેવા માટે આવું જ એક પગલું ભર્યું છે. એકેડેમીમાં અત્યાધુનિક સિમ્યુલેશન લેબ, ક્લાસ રૂમ, વિશાળ ગ્રાઉન્ડ, DGCA સર્ટિફાઈડ ટ્રેનર્સ ભારત અને ગુજરાતને ડ્રોન હબ બનાવવાના સરકારના વિઝનને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે."
ડ્રોન એકેડમીએ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ITRAM સાથે કર્યા હસ્તાક્ષર
ટ્રેનિંગ અને નોલેજ સપોર્ટ આપવા માટે દિલ્હી સ્થિત ડ્રોન ડેસ્ટિનેશને સંસ્કારધામ ડ્રોન એકેડેમી સાથે ભાગીદારી કરી છે. સંસ્કારધામ ડ્રોન એકેડમીએ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા અને અમદાવાદ સ્થિત ITRAM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ) સાથે MoUs પર હસ્તાક્ષર પણ કર્યા છે.