ગુજરાતની આર્થિક રાજધાની એટલે સુરત. દક્ષિણ ગુજરાતનું કેન્દ્ર સમુ સુરત રાજ્ય અને દેશમાં આગવું રાજકિય મહત્વ ધરાવે છે. લોકસભા ચૂંટણી માટે સુરત બેઠક મહત્વની છે. 2014માં સુરત લોકસભાથી ચૂંટાયેલા દર્શનાબેન જરદોસની પાંચ વર્ષની કામગીરીનો આ છે રિપોર્ટ.
સાંસદનું સરવૈયુ: એક સાંસદ તરીકે દર્શનાબેન જરદોસે તેમના પાંચ વર્ષમાં શું કામગીરી કરી?
1989થી સુરત લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો
સુરત લોકસભા બેઠક એ ભાજપનો ગઢ છે. 1989થી સુરત લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે. એટલે જ સુરતના રાજકિય મહત્વને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો પણ 2014 પછી વધી છે. 2014માં સુરત બેઠકથી દર્શનાબેન જરદોસે કોંગ્રેસના નૈષદ દેસાઇને 5 લાખ 33 હજાર મતોથી હાર આપી હતી. સુરત બેઠક પર 2014માં કુલ મતદાનના 75 ટકા મત દર્શનાબેન જરદોસને પ્રાપ્ત થયા હતા. મૂળ કાશીરામ રાણા સુરત બેઠક ઉપરથી સતત જીતતા આવતા હતા. 2009માં પાતળી બહુમતી મેળવનાર દર્શનાબેન જરદોસને 2014માં સુરતના મતદારોએ જંગી મતોથી જીતાડ્યા હતા. 2014માં ચૂંટણી સમયે દર્શનાબેન જરદોસે પોતાની કુલ મિલકત રૂપિયા એક કરોડ 80 લાખ જાહેર કરી હતી.
છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવતા દર્શનાબેન જરદોસ માટે ક્યાંક આવકાર તો ક્યાંક આક્રોશ દેખાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકે સુરત સંસદીય મતક્ષેત્રમાં કેવાં કામ કર્યા છે તેનો ચિતાર સાંસદ દર્શનાબેન ખૂદ આપે છે. સાંસદ દર્શનાબેન જરદોસના કહેવા પ્રમાણે સુરત સંસદીય મતક્ષેત્રનો વિકાસ 2014 પછી તેજ ગતિએ થયો છે. પણ તેમના આ વિકાસના દાવાને તેમના કોંગ્રેસના નેતા કેવી રીતે આલેખે છે.
છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવતા દર્શનાબેન જરદોસે કુલ 94 ટકા હાજરી આપી
2014થી 2019 દરમિયાન સુરતના સાંસદ દર્શનાબેન જરદોસે કરેલા કામ અંગે કોંગ્રેસ રાજનીતી કરી રહી છે, પણ છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવતા સાંસદ તરીકે દર્શનાબેન જરદોસે સંસદીય કાર્યવાહિ ઉત્તમ કહી શકાય તેવી કરી છે. સંસદમાં દર્શનાબેન જરદોસે કુલ 94 ટકા હાજરી આપી છે. સંસદમાં સુરત મતક્ષેત્ર, ગુજરાત રાજ્ય અને દેશના સળગતી સમસ્યાઓ અંગે કુલ 371 પ્રશ્નો ઉઠાવ્યાં છે. જ્યારે ઝીરો અવર્સથી લઇને 377ની ચર્ચાઓ મળીને કુલ 75 ડીબેટમાં સહભાગી થયાં છે.
સુરતને દેશના મહત્વના કેન્દ્રો સાથે જોડાવા દર્શનાબેને સક્રિયતા દાખવી
સતત બે ટર્મથી સુરત લોકસભા બેઠક ઉપરથી ચૂંટાતા આવતા દર્શનાબેન જરદોસે સંસદમાં પોતાના મતક્ષેત્રની સમસ્યાઓ, લોકોની માંગ અને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યાં છે. દર્શનાબેન જરદોસે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવીનીકરણ અને તેના વિસ્તૃતીકરણ અંગે પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં છે, જેના માટે સ્થાનિકોની ઘણાં સમયથી માંગ છે. સુરત એટલે મીની ઇન્ડિયા. સુરતને દેશના મહત્વના કેન્દ્રો સાથે જોડાવા અંગે દર્શનાબેને સંસદમાં સક્રિયતા દાખવી છે. સુરત રેલ્વે સ્ટેશનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા અંગે સંસદમાં પ્રશ્ન પુછ્યો છે. સુરત-મુંબઇ વચ્ચેના ટ્રેનનો વ્યવહાર સરળતાથી ચાલી રહે તે હેતુથી સુરત-દહિંસર સેકશનને ટેકનીકલ સજ્જ કરવા અંગે પ્રશ્ન ઉઠાવ્યાં છે. દર્શનાબેને સુરત જિલ્લાની મહત્વની દમણગંગા નદીના પ્રદૂષણ અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. અમદાવાદથી દાંડીના હેરીટેજ રૂટના વિકાસ મામલે સુરતમાંથી પસાર થતા હેરીટેજ રૂટના વિકાસ બાબતે પણ દર્શનાબેને સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યાં છે. તો ગુજરાતના લાંબા દરિયા કિનારાને જોડી રાખતા કોસ્ટલ નેશનલ હાઇ-વે અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછ્યા છે. સુરતથી અપડાઉન કરતાં સિઝન ટિકિટ હોલ્ડરના પ્રશ્નો પણ સંસદમાં ઉઠાવી અપ-ડાઉન કરતાં રેલ્વે યાત્રીઓની સમસ્યાને વાચા આપી છે.
દર્શનાબેને અનેક પ્રશ્નો સુરત સંસદીય મતક્ષેત્ર બહારના ઉઠાવ્યા
દર્શનાબેન જરદોસે પોતાના સંસદીય મતક્ષેત્રને સીધી રીતે અસર કરતાં અનેક પ્રશ્નો સંસદમાં ઉઠાવીને તેનો ઉકેલ લાવ્યાં છે. સાથે દેશ અને રાજ્યને સીધી રીતે અસર કરતાં પ્રશ્નો પણ પુછ્યા છે. રાજ્યના જાગૃત સાંસદ તરીકે દર્શનાબેન જરદોસે ગુજરાતની ઓળખ સમા એશીયાટીક સિંહોની ચિંતા કરી છે. સાથે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને સિંચાઇ માટેની સૌની યોજના અંગે પણ સંસદમાં પ્રશ્ન કર્યો છે. દેવભૂમિ-દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરના વિકાસ માટે પણ દર્શનાબેને સંસદમાં પોતાની રજુઆત કરી છે. દેશમાં પ્રસિદ્ધ સંતનગરી કે જે સાબરકાંઠા જિલ્લામાં આકાર લઇ રહી છે તે બાબતે પણ દર્શનાબેને સંસદમાં પ્રશ્ન પુછ્યો છે. સાથે હિન્દુઓ માટે પવિત્ર નદી સરસ્વતિના અસિત્વ અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછી દેશનું ધ્યાન ખેંચ્યું છે. સંસદમાં અમદાવાદ-સરખેજ હાઇ-વે અંગે પણ દર્શનાબેને સંસદમાં પ્રશ્ન પુછ્યો સાથે અમદાવાદમાં મેડીકલ કોલેજ બાબતે પણ સંસદમાં પોતાની લાગણી પ્રશ્ન તરીકે વ્યક્ત કરી છે. આમ દર્શનાબેન જરદોસે અનેક પ્રશ્નો સુરત સંસદીય મતક્ષેત્ર બહારના પુછ્યા છે.
સુરતમાં બેરોજગારી અને ગુનેગારી સતત વધતી રહી છે
સાંસદ તરીકે દર્શનાબેનની સક્રિયતા અને તેમની સંસદીય કાર્યવાહિ અન્ય સાંસદો કરતાં પ્રેરક રહી છે. છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે રહેલા દર્શનાબેન જરદોસ પણ સુરત સંસદીય મતક્ષેત્રના કેટલાંક પ્રશ્નો ઉકેલી શક્યા નથી, જે બાબતે લોકોની માંગ રહી છે. સુરતને દેશના તમામ મોટા શહેરો સાથે રેલ્વેથી જોડવાનું કામ હજી પણ પુરૂં થયું નથી. વર્ષોથી રેલ્વે નેટવર્કને વિસ્તારવાની માંગ છે. સુરતમાં હિરા, જરી અને ટેક્ષ્ટાઇલ્સ ઉઘોગ હોવાં છતાં બેરોજગારી વધી રહી છે. ગુણવત્તાસભર રોજગારી સર્જન એ વિસ્તારની મોટી સમસ્યા તરીકે વિકસતી જાય છે. આર્થિક વિકાસની સાથે-સાથે સુરતમાં ગુનાખોરી વધતી જાય છે, જે મોટી સમસ્યા તરીકે વિકસે છે. જીએસટીના અમલ બાદ સુરતના વેપાર-ધંધાને માઠી અસર નડી છે. બંધ મીલો ચાલું થતી નથી જે સમસ્યા હજી પણ વણ ઉકલી રહી છે. તાપીની સફાઇ અને તેનો વિકાસ એ પણ મોટો પડકાર છે અને વર્ષોથી વણ ઉકલી સમસ્યા રહી છે. તો સુરત શહેરનો આધુનિક વિકાસ થવાં છતાં ચોમાસામાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી લોકોને પજવે છે.
દર્શનાબેનને VTVએ આપ્યાં 10માંથી 10 માર્ક્સ
સ્થાનિક સ્તરે દર્શનાબેન જરદોસે લોક વિકાસના કાર્યો કરવાની સાથે લોકચાહના પણ મેળવી છે જે સ્થાનિકોના પ્રતિભાવથી જાણી શકાય છે. દર્શનાબેન જરદોસની સંસદીય કાર્યપ્રવૃતિમાં ત્રણ માર્કસ માંથી ત્રણ માર્કસ પ્રાપ્ત થાય છે અને સ્થાનિકોએ પણ દર્શનાબેન જરદોસને પૂરાં માર્કસ આપ્યાં છે. આમ સુરતના સાંસદ તરીકે દર્શનાબેનને તેમની સાંસદ તરીકેની કાર્યવાહિ અને લોકચાહનાના કારણે વીટીવી આપે છે 10માંથી 10 માર્કસ. છેલ્લી બે ટર્મથી સુરત લોકસભા બેઠક ઉપર કાર્યરત દર્શનાબેન જરદોસે સુરતના વિકાસમાં અહંમ ભૂમિકા ભજવી છે. સંસદમાં સુરતના પ્રશ્નો ઉઠાવ્યાં છે. રાજ્યની આર્થિક રાજધાની સમા સુરત શહેરના હિરા, જરી અને ટેક્ષ્ટાઇલ ઉઘોગની રજૂઆત કરી તેને પ્રોત્સાહન અને રાહત સરકારમાંથી અપાઇ છે. દર્શનાબેન જરદોસે બે ટર્મથી સાંસદ તરીકે પોતાની લોકચાહના પણ કામ થકી બરકરાર રાખી છે. 2019માં પક્ષ તેમને ટિકિટ આપી સાંસદ તરીકે હેટ્રીક મારવાની તક આપે તો નવાઇ નહીં.