ભાવનગર લોકસભા બેઠક છેલ્લી સાત ટર્મથી ભાજપ પાસે રહી છે. આમ જોવા જઇએ તો ભાવનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. 2014માં મોદી લહેરમાં ભાવનગર લોકસભા બેઠક પર ભારતીબેન શીયાળે જલવંત વિજય થયો હતો.
સાંસદનું સરવૈયુ: એક સાંસદ તરીકે ભારતીબેન શીયાળે તેમના પાંચ વર્ષમાં શું કામગીરી કરી?
1991થી ભાજપનો રહ્યો છે ભાવનગર બેઠક પર દબદબો
ગોહિલવાડ તરીકે ઓળખાતા ભાવનગર લોકસભા મતક્ષેત્રમાં 1991થી ભાજપનો દબદબો રહ્યો છે. ગોહિલવાડ તેના રાજવીઓ માટે જાણીતું છે, અને રાજાના પ્રજાલક્ષી વલણને કારણે પણ ભાવેણાના રાજવી નેતાઓ લોકોના દિલમાં વસતા રહ્યાં છે. સમય બદલાયો છે અને જનતાએ ચૂંટેલા નેતાઓ પ્રજા પર રાજ કરતા થયા છે, ત્યારે ભાવનગરના લોકો પાસેથી એ જાણવું પણ રસપ્રદ છે કે તેમના સાંસદને તેઓ કેવી રીતે મુલવે છે.
ભારતીબેન શિયાળને 2014માં પહેલીવાર ભાજપે ટિકિટ આપી
આ બેઠક ઉપરથી ભાજપના રાજેન્દ્રસિંહ રાણાએ પાંચ વાર વિજયી બની સાંસદ બન્યા હતા. 1991થી જ ભાવનગર બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. પણ 2014માં ભારતીબેન શીયાળને ભાજપે ટિકિટ આપતા, ભારતીબેન શીયાળે કોંગ્રેસના પ્રવિણ રાઠોડને 2 લાખ 95 હજાર મતે માત આપી સાંસદ બન્યાં હતા. ભારતીબેન મૂળે આર્યુવેદના ડૉક્ટર અને તળાજાના ધારાસભ્ય હતા.
2014માં ભારતીબેન શીયાળે જાહેર કરી હતી કુલ રૂ. 77 લાખની મિલકત
54 વર્ષીય ભારતીબેન શીયાળે 2014ની લોકસભાની ચૂંટણી સમયે પોતાની કુલ મિલકત રૂ. 77 લાખ જાહેર કરી હતી. સંસદની ઇન્ફેરમેશન ટેકનોલોજીની સ્ટેન્ડિંગ કમિટિના ભારતીબેન શીયાળ સભ્ય રહ્યાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીબેન શીયાળે સાંસદ તરીકે કેવી કાર્યવાહી કરી અને શું હતી મતદારોની માંગ ?
ભાવનગર મતક્ષેત્રના પ્રશ્નો
અલંગ શીપયાર્ડનો વિકાસ કરવો
આમ તો ભાવનગરના લોકોના ખૂબ પ્રશ્નો છે, પરંતુ મહત્વના પ્રશ્નોની વાત કરીએ તો દુનિયાના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ અલંગનો વિકાસ અપુરતો હોવાનું લોકો માને છે.
ભાવનગરને મુંબઇ સાથે એરકનેક્ટિવીટી વધારવી
હીરા ઉદ્યોગમાં અગ્રેસર એવા ભાવનગર અને મુંબઈ સાથે એરકનેક્ટિવીટી વધારવાનો પ્રશ્ન પણ પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે.
ટ્રેનની સુવિધા વધારવી અને નેશનલ હાઇ-વે વિકસાવવા
ભાવનગરના લોકોની ટ્રેનની સુવિધા વધારવાની પણ માંગ વર્ષો જુની છે, તેવી જ રીતે અમદાવાદથી ભાવનગર હાઈ-વે અને અન્ય શહેરોને ભાવનગરથી જોડતા હાઈ-વેની સુવિધા વધારવાની લોકોની માગ છે.
મીઠાના ઉદ્યોગ માટે ઓફિસ લાવવી
ભાવનગરને મળેલા દરિયા કિનારાને કારણ મીઠા ઉદ્યોગ પણ વિકસ્યો છે, લોકો માગ કરી રહ્યાં છે કે મીઠાઉદ્યોગને લગતી સરકારી કચેરી ભાવનગરમાં બને. સાંસદ તરીકે છેલ્લાં પાંચ વર્ષમાં પોતાની કામગીરીના લેખા ભારતીબેન શીયાળ કંઇક આ રીતે આપે છે.
ભાવનગર લોકસભા બેઠકના સાંસદ તરીકે ભારતીબેન શીયાળે કર્યા અનેક મસમોટા દાવા. પણ તેમના 2014ની ચૂંટણીના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી પ્રવિણ રાઠોડે તેમના વાયદા અને વાસ્તવિકતાને કંઇક આવી રીતે તુલના કરી.
ક્યા પ્રશ્નો વણઉકલ્યા
ભાવનગર સંસદીય મતક્ષેત્રના વિકાસ માટે છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ ભારતીબેન શીયાળે કરેલા દાવા અને તેમના પ્રતિસ્પર્ધી રહેલા પ્રવિણ રાઠોડે રજૂ કરેલ વાસ્તવિકતા સામે હજી પણ કેટલાંક પ્રશ્નો વણઉકલ્યા છે.
- ભાવનગરથી સુરત, હરિદ્વાર વચ્ચે નવી ટ્રેન સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે જે માંગ પૂરી થઇ શકી નથી.
- ભાવનગર-મુંબઇ વચ્ચે વિમાની સેવા પણ પ્રવાસીઓને અનુકૂળ નથી તો ભાવનગર-સોમનાથ હાઇ-વે મંથર ગતિએ કાર્ય ચાલે છે જેનાથી નાગરિકો પરેશાન છે.
- વિસ્તારમાં રોજગાર ક્ષેત્રે પણ લોકોની આશા પૂર્ણ થઇ નથી.
- ભાવનગર સંસદીય મતક્ષેત્રમાં શિક્ષણના વિકાસને વેગ આપતી નવી ગ્રાન્ટેબલ શાળા અને કોલેજ ખુલ્યા નથી.
- છેલ્લાં પાંચ વર્ષમાં જોઇએ તો મહુવા, સરતાનપર અને કતપર ખાતે ગ્રામજનોની સ્થિતિ બદત્તર બની છે.
- જિલ્લાના યશકલગી સમાન અલગ શીપ બ્રેકીંગ યાર્ડનો વિકાસ પણ અધૂરો છે. અલંગનો વિકાસ વર્ષોથી પા-પા પગલી ભરે છે .
- સાથે મેથાળા, સરતાનપર, મહુવા-કતપર અને નીચા કોટડા ગામે ખેડૂતો સરકારની સામે આંદોલન કરી રહ્યાં છે, પણ સાંસદ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના મામલે મૌન છે, જે એક સાંસદ તરીકે ભારતીબેન શીયાળની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.
હાજર કે ગેરહાજર કેટલી હાજરી - 94 ટકા
કેટલા પ્રશ્ન પુછ્યા - 179 પ્રશ્નો
કેટલી કરી ડિબેટ - 33
સાંસદ તરીકે ભારતીબેન શીયાળે સ્થાનિક પ્રશ્નોને સંસદમાં વાચા આપી છે તે બેમત નથી. રેલ્વેની સુવિધા હોય કે ભાવનગર-મુંબઇ એર કનેટીવીટી હોય કે સોલ્ટની કમિશ્નરેટની ઓફિસ હોય. કમનસીબે સાંસદ તરીકે ભારતીબેનની વાતને સરકારનું સમર્થન પ્રાપ્ત થયું નથી. સાંસદ તરીકે ભારતીબેનની કામગીરી અપેક્ષા કરતાં નબળી રહી છે. ભારતીબેન શીયાળે સંસદમાં કુલ 94 ટકા હાજરી આપી છે. ભારતીબેન શીયાળે પોતાના મતક્ષેત્ર, રાજ્ય અને દેશને અસર કરતાં વિવિધ 179 પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં છે. તો કુલ 33 સંસદીય ડીબેટમાં ભારતીબેન શીયાળે ભાગ લીધો છે.
સંસદીય ડીબેટમાં તેમની ઓછી સક્રિયતા
સંસદમાં ભારતીબેન શીયાળે પુરતી હાજરી આપી છે. સંસદીય ડીબેટમાં તેમની ઓછી સક્રિયતા જોવા મળી છે. આ સાથે વિસ્તારના પ્રશ્નોને ઓછી રજૂઆતના કારણે ભાવનગર સંસદીય મતક્ષેત્રના વર્ષો જુના પ્રશ્નોને તેઓ ઉકેલી શક્યા નથી. સંસદમાં ભારતીબેન શીયાળે પુછ્યા છે કુલ 179 પ્રશ્નો, જે દેશના સાંસદોએ પુછેલા સરેરાશ પ્રશ્નો કરતાં 106 પ્રશ્નો ઓછાં છે. ભારતીબેન શીયાળે ભાવનગર સંસદીય મતક્ષેત્રને સીધા અસર કરતાં પ્રશ્નો પ્રમાણમાં ઓછાં પૂછ્યા છે. ભાવનગરના નાગરિકોની માંગ હતી કે, ભાવનગર-હરિદ્વાર વચ્ચે નવી ટ્રેનનો આરંભ કરવો તે પ્રશ્ન ભારતીબેને પુછ્યો છે. તો ભાવનગરના બંદરોની સુરક્ષા અંગે સંસદમાં પ્રશ્ન કર્યો છે. ભાવનગર એરપોર્ટના આધુનિકરણની માંગ હંમેશાથી હતી તે અંગે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. ભારતીબેન શીયાળે ભાવનગર જિલ્લાં થતા ખનીજ ખનન બાબતે અને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની સુવિધા મુદ્દે સંસદમાં પ્રશ્ન કર્યા છે.
સાંસદ તરીકે દેશના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા -જાણો કેવા પ્રશ્નો પુછ્યા
સાંસદ તરીકે ભારતીબેન શીયાળે ભાવનગર સંસદીય મતક્ષેત્રના પ્રશ્નો પ્રમાણમાં ઓછાં પુછ્યા છે. તેઓએ સાંસદ તરીકે દેશના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. તો કેટલાંક ગુજરાત બહારના અન્ય રાજ્યોની ચિંતા કરી જે-તે રાજ્યોના પણ પ્રશ્નો ભારતીબેન શીયાળે પુછ્યા છે. વિશેષ તો ભારતીબેને સંસદમાં ઉત્તરપ્રદેશના પુરાતત્વ સ્થાપત્યના સંરક્ષણ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો સાથે બિહારના રેલ્વે પ્રોજેક્ટની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્ન કર્યો છે. ભારતીબેને મધ્યપ્રદેશના એરપોર્ટના નવિનીકરણ અંગે ચિંતા કરી છે, સાથે ભારતીય સરહદ પર ચાઇનીસ રેલ્વે લાઇનની સ્થિતિ અંગે સંસદમાં પૃચ્છા કરી છે. હિન્દીમાં મેડીકલ શિક્ષણને લઇને સંસદમાં તે બાબતે ચિંતા કરી હતી.
ભાવનગરના પ્રશ્નોના બદલે બીજા રાજ્યોના પ્રશ્નો પૂછ્યા
ભાવનગર સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો હોવાં છતાં સાંસદ ભારતીબેન શીયાળે તેની સામે આંખ આડા કાન કરી બીજા રાજ્યોના પ્રશ્નો પુછ્યા છે. જો ભારતીબેને પોતાના મતક્ષેત્રના પ્રશ્નો સંસદમાં વધુ ઉઠાવ્યા હોત જેવા કે, દરિયે વધતી ખારાશ, પાણીના પ્રશ્નો, ખેડૂતોમાં જમીન સંપાદન બાબતે અસંતોષ અને તેના કારણે સર્જાયેલ ખેડૂત આંદોલનો, પાલીતાણાના વિકાસ, પાણીના બંધ અને પાકવીમા તો સ્થાનિક વિકાસને વધુ વેગ મળત. છેલ્લાં પાંચ વર્ષમાં સંસદમાં હાજરી, ડિબેટમાં સહભાગીતા અને પૂછેલા પ્રશ્નોના ત્રણ માર્કસમાંથી ભારતીબેનને મળે છે, 2.1 માર્કસ.
વીટીવીએ જ્યારે સ્થાનિક નાગરિકોને સાંસદ તરીકે ભારતીબેન શીયાળને 10માંથી કેટલાં માર્કસ આપો ત્યારે આ હતા લોકપ્રતિભાવો...
એક સાંસદ તરીકે ભારતીબેન શીયાળને તેમના છેલ્લાં પાંચ વર્ષની સાંસદ તરીકેની કામગીરીના વીટીવી આપે છે 10 માંથી 6 માર્કસ
VTVએ કેટલાં ગુણ આપ્યાં? 10 માંથી 6 માર્કસ
ભારતીબેન શીયાળ ધારાસભ્યમાંથી સીધા સાંસદ બન્યા છે. પહેલીવાર લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બનનાર ભારતીબેન શીયાળે લોકો અને સ્થાનિક વેપારીઓની અપેક્ષાઓને પૂરી કરી નથી. 2019ની ચૂંટણી દસ્તક દઇ રહી છે ત્યારે ભાવનગર લોકસભા મતક્ષેત્રના મતદારો પાસે જવા માટે ભાજપને સ્થાનિક સ્તરે પડકાર રહેશે.