બનાસકાંઠા લોકસભા બેઠક પોતાની રીતે વિશિષ્ઠ છે. ઉત્તર ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે બનાસકાંઠા બેઠક. પહેલાં કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપના પ્રભુત્વ ધરાવતી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર હાલના સાંસદ હરિભાઇ ચૌધરી છે. છેલ્લાં પાંચ વર્ષમાં હરિભાઇ ચૌધરીએ એક સાંસદ તરીકે કેવાં કાર્યો કરીએ તપાસીએ સાંસદનું સરવૈયુંમાં.
સાંસદનું સરવૈયુ: એક સાંસદ તરીકે હરિભાઇ ચૌધરીએ તેમના પાંચ વર્ષમાં શું કામગીરી કરી?
હરિભાઇ ચૌધરી ચાર વખત સાંસદ બન્યાં
બનાસકાંઠા લોકસભા બેઠક ઉત્તર ગુજરાત માટે વિશેષ છે. સરહદી વિસ્તાર અને ઉત્તરમાં રાજસ્થાન બોર્ડરને લાગેલી બનાસકાંઠા બેઠક ઉપર ચૌધરી અને ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. બનાસકાંઠા બેઠક ઉપર ચૌધરી ઉમેદવારો સામાન્ય રીતે જીતતા આવ્યાં છે. હાલના સાંસદ હરિભાઇ ચૌધરી કુલ ચાર વખત બનાસકાંઠા બેઠક ઉપરથી વિજયી બની સાંસદ બન્યાં છે. હરિભાઇ ચૌધરી મોદી સરકારમાં કોલસો અને ખાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની ફરજ બજાવે છે. 2014માં મોદી લહેરમાં હરિભાઇ ચૌધરીએ કોંગ્રેસના જોઇતાભાઇ પટેલને બે લાખ બે હજાર મતે હાર આપી હતી. 2014ની લોકસભાની ચૂંટણી સમયે હરિભાઇ ચૌધરીએ પોતાની કુલ મિલકત રૂપિયા એક કરોડ 57 લાખ જાહેર કરી હતી.
સ્થાનિકોમાં હરિભાઇની બે છબી
હરિભાઇ ચૌધરીએ સિઝન રાજકારણી છે. ગુજરાતનો ચૌધરી સમાજનો ચહેરો છે. ચાર વખત સાંસદ બન્યા અને કેદ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ બન્યા છે. જ્યારે સ્થાનિકોમાં હરિભાઇ ચૌધરીની બે છબી છે. એક કામ નહીં કરનારા અને બીજુ કામ કરનારા. સાંસદ તરીકે હરિભાઇ ચૌધરીના અનેક વિકાસ દાવા છે બનાસકાંઠાના વિકાસ માટે પણ તેમના 2014ના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી જોઇતારામે હરિભાઇના વિકાસ કામને ફક્ત શબ્દોમાં વિકાસ થયો છે તેમ ગણાવ્યું છે..
હરિભાઇએ સસંદમાં 97 ટકા હાજરી આપી
હરિભાઇ ચૌધરી 2014માં સાંસદ બન્યા અને મંત્રી બન્યા. સંસદની કામગીરીની વાત કરીએ તો હરિભાઇ ચૌધરીએ સસંદમાં 97 ટકા હાજરી આપી છે. સાંસદ તરીકે સાત ડીબેટમાં હરિભાઇ સહભાગી બન્યાં હતા અને સાંસદ તરીકે કુલ 12 પ્રશ્નો પુછ્યા હતા. આ વિગતો તેઓ જ્યારે ફક્ત સાંસદ હતા ત્યારની જ છે. હરિભાઇ ચૌધરી કેદ્ર સરકારમાં મંત્રી હોવાથી તેમનો એક સાંસદ તરીકે સંસદીય કાર્યવાહિમાં રેકોર્ડ ઉભો કરાતો હોતો નથી.
બનાસકાંઠા મતક્ષેત્રના પ્રશ્નો
દિવ્યાંગ બાળકોના શિક્ષણની સ્થિતિ
હરિભાઇએ સંસદમાં 2014માં જે 12 પ્રશ્નો પુછ્યા હતા તેમાં મુખ્યત્વે વિકાસલક્ષી મુદ્દાઓને આવરી લીધા હતા. એક સાંસદ તરીકે હરિભાઇ ચૌધરીએ 2014માં દિવ્યાંગ બાળકોના શિક્ષણની ચિંતા વ્યક્ત કરી સંસદમાં આ બાબતે પ્રશ્ન પુછ્યો હતો.
ફળદ્રુપ જમીનના સંપાદનથી ખેતીને અસર
દેશમાં હસ્તકલાનો વિકાસ થાય તે મુદ્દે સરકાર કેવી રીતે નાણાંકીય સહાય આપે છે તે પ્રશ્ન હરિભાઇ ચૌધરીએ સંસદમાં પુછ્યો હતો. સાથે દેશમાં વિકાસ કરવા માટે સંપાદીત થતી ફળદ્રુપ જમીનોના કારણે ખેતી ઉપર કેવી અસર પડશે તે અંગે પણ હરિભાઇએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.
પછાત વિસ્તારોના વિકાસની યોજના
આ સાથે હરિભાઇએ પછાત વિસ્તારોના વિકાસની યોજનાની અસરકારતા અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછ્યો હતો. સરકારી વિકાસલક્ષી કાર્યક્રમો અંગે પણ હરિભાઇ ચૌધરીએ સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમાં પ્રસુતા અને નવજાત શીશુના આરોગ્યને લઇને જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ અંગે સંસદમાં પ્રશ્ન હરિભાઇએ ઉઠાવ્યો છે સાથે દેશમાં ભ્રષ્ટાચારના કેસોની સ્થિતિ અને તેની દેખરેખ ઉપર પણ સંસદમાં પ્રશ્ન પુછ્યા છે. હરિભાઇ ચૌધરીએ સંસદમાં કાયદાની મદદ કેવી રીતે એકલ નારીને મળી શકે તે અંગે પણ સંસદમાં ચિંતા વ્યક્ત કરી છે. મંત્રી હોવાથી હરિભાઇ ચૌધરી માટે સંસદમાં પ્રશ્ન પુછી શકાતા નથી.
કયા પ્રશ્નો વણઉકલ્યા
કાયમી પાણીની અછત
સ્થાનિકોએ હરિભાઇ ચૌધરીને વિસ્તાર વિકાસ માટે આપ્યાં છે અડધા ગુણ. વિશેષ તો હરિભાઇએ સાંસદ તરીકે ખેડૂતોની સમસ્યા, લોકોની માંગ અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો બાબતે અણદેખી કરી છે. જેના કારણે બનાસકાંઠા સંસદીય મતક્ષેત્રમાં હજી પણ અનેક પ્રશ્નો વણઉકલ્યાં રહ્યાં છે. વિશેષ તો બનાસકાંઠા સંસદીય મતક્ષેત્રમાં પાણીની સમસ્યા કાયમી બની ગઇ છે. અંતરિયાળ, આદિવાસી અને સરહદી ગામોમાં પાણીની સમસ્યા વકરી છે અને સમસ્યામાં વધારો થયો છે. કોણ જાણે કેમ પણ નર્મદા કેનાલમાં સૌથી વધુ ગાબડા બનાસકાંઠામાં પડે છે અને આ પ્રશ્ન વણઉકલ્યો રહ્યો છે.
ઉઘોગોના અભાવે સ્થાનિક રોજગારી મહત્વનો પ્રશ્ન
સ્થાનિક સ્તરે કોઇ મોટા ઉઘોગો નથી અને કાયમી રોજગારીના સ્રોત નથી એટલે બેરોજગારીએ વણઉકલ્યો પ્રશ્ન રહ્યો છે. સરહદી વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી અને ગામો હજી પણ વિકાસથી વંચિત છે. મતક્ષેત્રના ગ્રામીણ વિસ્તારમાં જાહેર આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નોએ માઝા મૂકી છે.
VTVએ કેટલાં ગુણ આપ્યાં?10 માંથી 6 માર્કસ
સાંસદ તરીકે હરિભાઇ ચૌધરીએ સ્થાનિક સ્તરે પ્રમાણમાં ઓછો સંપર્ક સાધ્યો હોય તેવું લાગે છે. ચાર ટર્મ સાંસદ રહ્યાં હોવાં છતાં મતક્ષેત્રની અનેક સમસ્યાઓ વર્ષો જુની છે. જે દર્શાવે છે કે હરિભાઇએ આ વણઉકલ્યા પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. આ સ્થિતિમાં હરિભાઇ ચૌધરીની સંસદીય કામગીરી અને સ્થાનિક વિકાસ બાબતે કામના વીટીવી આપે છે 10 માંથી 6 માર્કસ .
હરિભાઇ કુલ ચાર ટર્મથી સાંસદ છે, પણ છેલ્લાં બે વર્ષમાં હરિભાઇ ચૌધરી સામે અનેક રાજકીય પડકારો પણ આવ્યાં છે. વિશેષ તો બનાસકાંઠામાં 2017માં આવેલ પુરની હોનારતમાં સાંસદ તરીકે હરિભાઇની નિષ્ક્રીયતાથી લોકોમાં રોષ છે. સાથે હરિભાઇનું નામ લાંચ કાંડમાં ઉછળવાથી અપયશ મળ્યો છે. 2019માં પક્ષ હરિભાઇની લાંચકાંડમાં થયેલી બદનામી અને ઓછી થતી લોકપ્રિયતાના કારણે નવો ઉમેદવાર મૂકે તો નવાઇ નહીં.