ગુજરાતના ઉત્તર પૂર્વીય પટ્ટામાં મોટા માથા સમાન લોકસભા બેઠક એટલે સાબરકાંઠા, આદિવાસી બહુવસ્તી ધરાવતી આ બેઠક ઉપર હાલ ભાજપના દીપસિંહ રાઠોડ સાંસદ છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકે દીપસિંહ રાઠોડની કામગીરીના લેખાજોખા તપાસીએ સાંસદનું સરવૈયુંમાં.
સાબરકાંઠા લોકસભા રાજ્યની ઐતિહાસિક બેઠક
સાબરકાંઠા લોકસભા બેઠકમાં એ રાજ્યની એક ઐતિહાસિક બેઠક છે. દેશના પૂર્વ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારલાલ નંદા આ બેઠર ઉપરથી ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. તો સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ પણ આ બેઠકથી 1974માં સાંસદ રહી ચૂક્યા છે. 2014માં મોદી લહેરમાં સાબરાકાંઠાથી ભાજપના દીપસિંહ રાઠોડે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને 84 હજાર મતે હાર આપી હતી. 2014માં ચૂંટણી સમયે દીપસિંહ રાઠોડે પોતાની મિલકત રૂપિયા બે કરોડ જાહેર કરી હતી.
દીપસિંહ રાઠોડે માત્ર 27 ડીબેટમાં ભાગ લીધો
સ્થાનિક સ્તરે સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડની સરેરાશ કામગીરીને સ્થાનિકોએ વર્ણવી છે. એક સાંસદ તરીકે દીપસિંહે કુલ 95 ટકા હાજરી આપી છે. સંસદમાં દીપસિંહ રાઠોડે દેશના સરેરાશ સાંસદે પુછેલા પ્રશ્નોની સરેરાશ જેટલાં 295 પ્રશ્નો પુછ્યા છે. જ્યારે સંસદીય ડીબેટની વાત કરીએ તો દેશના સાંસદોએ સરેરાશ 67 ડીબેટમાં હિસ્સો લીધો છે, તેની સામે દીપસિંહ રાઠોડે ફક્ત 27 ડીબેટમાં હિસ્સો લઇને નિક્રીયતા દાખવી છે.
દીપસિંહ રાઠોડે કેવા પ્રશ્નો ઉઠાવ્યા
દીપસિંહ રાઠોડ આમ ઓછા બોલકા સાંસદ રહ્યાં છે. સંસદમાં દીપસિંહ રાઠોડે જે પ્રશ્ન ઉઠાવ્યાં છે તેમાં સરકારના વિકાસ કાર્યો અને પ્રવર્તમાન સમસ્યા અંગેના વધુ પ્રશ્નો છે. દીપસિંહ રાઠોડે સાંસદ તરીકે સંસદમાં હિંમતનગર-શ્યામળાજી ટ્રેન રૂટનો પ્રશ્ન સ્થાનિક વિસ્તાર માટે ઉઠાવ્યો છે. સાથે અમદાવાદ-જયપુર રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તન કરવા અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછ્યો છે. તો સાબરકાંઠાના ટોલટેક્ષ ફીની નાબૂદી અંગે સંસદમાં રજૂઆત કરી છે. દીપસિંહ રાઠોડે આદિવાસી વિસ્તારમાં જંગલ જમીન અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાથે સર્વ શિક્ષણ અભિયાનની શિક્ષણ ઉપર અસર અંગે પણ સંસદમાં પ્રશ્ન કરી શિક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
દીપસિંહ રાઠોડે સ્થાનિક સ્મસ્યાઓ હોવાં છતાં અન્ય વિસ્તારોની ચિંતા કરી
સાંબરકાંઠા મતક્ષેત્રના સાંસદ દીપસિંહ રાઠોડે તેમના સમાવિષ્ઠ સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તાર ઉપરાંત વિવિધ વિસ્તારના અને વિવિધ મુદ્દે સંસદમાં પ્રશ્નો કરીને ચિંતા વ્યક્ત કરી છે. દીપસિંહ રાઠોડે અમદાવાદ એરોપોર્ટ ઉપર વસુલ થતી પાર્કિગ ફી અંગે પ્રશ્ન કર્યો છે. તો સરખેજ-ગાંધીનગર હાઇ-વે અંગે પણ સંસદમાં સવાલ ઉઠાવ્યો છે. અમદાવાદની અટીરા સંસ્થાના ફંડ અંગે સંસદમાં પ્રશ્ન પુછ્યો છે. સાથે ગીરનારના રોપ-વેની પણ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડે કરી છે. દીપસિંહ રાઠોડે સંસદમાં ગંગા સફાઇના ખર્ચ અંગે પ્રશ્ન કર્યો છે. સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડે પોતાના મતક્ષેત્રની અનક સમસ્યા હોવાં છતાં અન્ય વિસ્તારોની ચિંતા કરી છે અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.
અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો વણઉકલ્યાં
સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર આમ જોવા જઇએ તો વિકસતો વિસ્તાર છે. આદિવાસી વિસ્તાર હજી પણ પછાત છે. સાંસદ દીપસિંહ રાઠોડ પણ અપેક્ષા કરતાં ઓછા સક્રિય રહ્યાં છે. આ વિસ્તારમાં અનેક પ્રશ્નો વર્ષોથી વણઉલ્યા રહ્યાં છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન ઉઘોગોની ગેરહાજરીથી વધતી બેરોજગારીનો છે. ટ્રેનોના સ્ટોપેજ અને ગેજ પરિવર્તનનો વર્ષો જુનો પ્રશ્ન સ્થાનિકોને પરેશાન કરે છે. આદિવાસી વિસ્તારમાં પીવા અને સિંચાઇના પાણીનો પ્રશ્ન ઉકેલની રાહ જુએ છે. ખેડબ્રહ્મા ખાતે જીઆઇડીસી સ્થાપવાનો વાયદો હજી પણ વાયદો જ રહ્યો છે. જ્યારે નવા રચાયેલા અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો વણઉકલ્યાં રહ્યાં છે.
VTVએ કેટલાં ગુણ આપ્યાં
સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડના વિકાસ કાર્યો અંગે સ્થાનિકોને ફરિયાદ છે. સાંસદ તરીકે દીપસિંહ રાઠોડે 2014માં વિજય પ્રાપ્ત કર્યા બાદ લોકસંપર્ક ઓછો કર્યો હોય તેવી લોકફરિયાદ છે. દીપસિંહની સંસદીય કાર્યપ્રવૃતિ અને લોક પ્રતિભાવના આધારે વીટીવી આપે છે તેમને 10 માંથી 5 માર્કસ. સાબરકાંઠા બેઠક ઉપર ભાજપે દીપસિંહ રાઠોડને 2019માં ફરીથી રીપીટ કર્યા છે. દીપસિંહ રાઠોડની સ્વચ્છ છબી છે, પણ સ્થાનિકોની અપેક્ષાએ ઉણાં ઉતર્યા છે. 2019માં કોંગ્રેસ યોગ્ય ઉમેદવાર ઉતારે તો જંગ રોમાંચક બની શકે છે. ભાજપ માટે કપરાં ચઢાણ છે તે વાસ્તવિકતા છે.