રાજકોટ સૌરાષ્ટ્રની મહત્વની લોકસભા બેઠક છે. રાજકોટ બેઠક ઉપર છેલ્લી આઠ ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. હાલ રાજકોટ લોકસભા બેઠકના સાંસદ છે, ભાજપના મોહન કુંડારિયા. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકે મોહન કુંડારિયાએ કેવી કામગીરી કરી તે તપાસીએ સાંસદનું સરવૈયુંમાં.
1989થી રાજકોટ બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે
રાજકોટને સૌરાષ્ટ્રની રાજધાની લોકો ગણે છે. સૌરાષ્ટ્રના મહત્વના કેદ્ર રાજકોટમાં વર્ષ 1989થી ભાજપનો દબદબો રહ્યો છે. છેલ્લી આઠ લોકસભા ચૂંટણીઓ પૈકી સાત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સાંસદ બન્યાં છે. 2014માં મોદી લહેરમાં મૂળ ટંકારાના ધારાસભ્ય મોહન કુંડારિયાએ કોંગ્રેસના કુંવરજી બાવળીયાને બે લાખ 46 હજાર મતે હરાવ્યાં હતા. 2014માં ચૂંટણી સમયે મોહનભાઇ કુંડારિયાએ પોતાની કુલ મિલકત રૂપિયા ત્રણ કરોડ 95 લાખ જાહેર કરી હતી. 2014માં પહેલી વાર સાંસદ બનતા મોહનભાઇ કુંડારિયાને મોદી સરકારમાં ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગમાં રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું હતુ. પણ 2016માં કેદ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થતાં મોહનભાઇ કુંડારિયાનું મંત્રી તરીકેનું પત્તુ કપાયું. છેલ્લાં પાંચ વર્ષથી સાંસદ મોહનભાઇ કુંડારિયા સંસદની જળ સંપત્તિ વિભાગની કમીટીના સભ્ય છે.
મોહનભાઇ કુંડારીયાએ કુલ 93 ટકા હાજરી આપી
રાજકોટમાં યુવાઓ માટે એઇમ્સ આવવાથી ખુશી છે. છેલ્લાં પાંચ વર્ષમાં એક સાંસદ તરીકે મોહનભાઇ કુંડારિયાની આ મોટી સિદ્ધિ તરીકે આલેખાઇ છે. રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા પોતાની પાંચ વર્ષની સાંસદની કામગીરીને બિરદાવે છે, પણ સ્થાનિક સ્તરે તેમના પ્રતિસ્પર્ધી મતક્ષેત્રના વિકાસ નહીં થવા મામલે તેમને જ જવાબદાર ગણાવે છે. એક સાંસદ તરીકે મોહનભાઇ કુંડારિયાએ સારી કાર્યવાહિ કરી હોય તેવું તેમની સંસદીય વિગતોથી કહી શકાય. સંસદમાં મોહનભાઇ કુંડારિયાએ કુલ 93 ટકા હાજરી આપી છે. સંસદમાં બે વર્ષ મંત્રી રહ્યાં હોવાથી તેમના પ્રશ્નો પુછવાની સંખ્યા સરેરાશ સાંસદો કરતાં ઓછી છે. છેલ્લાં પાંચ વર્ષમાં મોહનભાઇ કુંડારીયાએ સંસદમાં કુલ 261 પ્રશ્નો પુછ્યા છે જ્યારે કુલ 16 ડીબેટમાં હિસ્સો લીધો છે.
મોહનભાઇ કુંડારીયાએ કેવાં પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં
એકંદરે મોહનભાઇ કુંડારિયાએ મંત્રી રહ્યાં હોવાં છતાં સારી કામગીરી કરી છે. વિસ્તારના પ્રશ્નોને ઉજાગર કર્યા છે તો રાજ્યની સમસ્યાઓને સંસદથી વાચા આપી છે. સંસદમાં મોહનભાઇ કુંડારિયાએ પાતાના વિસ્તારના અનેક પ્રશ્નોને સંસદમાં ઉઠાવ્યાં છે. વિશેષ તો રાજકોટના એરપોર્ટના નિર્માણ અને નવીનીકરણનો મુદ્દે સંસદમાં બે થી ત્રણ વાર ઉપાડ્યો છે. રાજકોટને એઇમ્સ મળે તે માટે પણ મોહનભાઇ કુંડારિયાએ મહેનત કરી છે, સંસદમાં એઇમ્સ માટેનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. રાજકોટ સાથે સીધી રીતે જોડાતા રેલ્વેની સુવિધામાં વધારો કરવા, ગેજ પરિવર્તન કરવા અને રેલ્વેની આવકને લઇને પણ સંસદમાં મોહનભાઇ કુંડારિયાએ પ્રશ્ન કર્યો છે. રાજકોટ સંસદીય મતક્ષેત્રને અસર કરતી સિંચાઇ વ્યવસ્થા અંગે પણ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંસદમાં રજુઆતો કરી છે. તો સૌરાષ્ટ્રના કાચા સોના જેવી મગફળી પાકમાં ખેડૂતોને લાભ થાય તે માટે મગફળી પ્રોત્સાહન કોઉન્સીલમાં પણ રજુઆતો કરી છે. રાજકોટને નવી મેડીકલ કોલેજ મળે તે અંગે પણ સંસદમાં મોહનભાઇએ રજુઆત કરી છે તો સાથે મોહનભાઇ કુંડારિયાએ પોતાના મતક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનીજ ખનન અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યાં છે.
સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પોતાના સંસદીય મતક્ષેત્રના વિકાસના મુદ્દે સંસદમાં અનેક પ્રશ્નો તો ઉઠાવ્યાં છે સાથે-સાથે સંસદમાં રાજ્ય અને દેશના વિવિધ મુદ્દે અને પ્રશ્ન બાબતે પણ ધ્યાન દોર્યું છે. મોહનભાઇએ સંસદમાં ગંગા સફાઇના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે. સાંસદ તરકે મોહનભાઇએ આદિવાસી સમાજને લગતા બે મહત્વના પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં છે. જેમાં આદિવાસી યુવકોની રોજગારીની શક્યતા અંગેનો પ્રશ્ન અને આદિવાસી વિસ્તારમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન અંગેના પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં છે. ચા આમ તો પૂર્વ ભારતનો પાક છે છતાં મોહનભાઇ કુંડારીયાએ ચાના ઉત્પાદન અને નિકાસ માટે પ્રશ્ન કર્યો છે. સંસદમાં મોહનભાઇએ અમદાવાદ મેટ્રો રેલ્વે પ્રોજક્ટ અંગે પ્રશ્ન કર્યો છે. સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરના રેલ્વે સ્ટેશનના વિકાસ અંગે પણ સંસદમાં મોહનભાઇએ ચિંતા કરી હતી. ઉત્તર ગુજરાતના વડાલી ખાતે આકાર લઇ રહેલી સંત નગરી પ્રોજેક્ટ અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછ્યો છે. સાથે કચ્છમાં થતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અંગે પણ મોહનભાઇએ સંસદમાં ચિંતા વ્યક્ત કરતો પ્રશ્ન પૂછ્યો છે. આ સાથે સંસદમાં મોહનભાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાગર કિનારાનો વિકાસ કરતો પ્રોજેકટ સાગરમાલા અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછ્યો છે.
કયા પ્રશ્ન વણઉકલ્યા
રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંસદમાં લોકહિતના અને લોક વિકાસના મુદ્દે સક્રિયતા દાખવી હોય તેવું તેમણે સંસદમાં પુછેલા પ્રશ્નો ઉપરથી લાગે છે. મોહનભાઇના કામ અને સંસદમાં સક્રિયતા છતાં રાજકોટ મતક્ષેત્રના કેટલાંક પ્રાણપ્રશ્નો હજી પણ વણ ઉકલ્યાં રહ્યાં છે. વિશેષ તો રાજકોટમાં વર્ષો જુનો અને નાગરિકો પરેશાન છે તેવો પાણીનો પ્રાણ પ્રશ્ન હજી ઉકેલાયો નથી. રેલ્વેની પણ મુસાફરોની અપેક્ષા કરતાં ઓછી સુવિધા વિકસી છે. તો હાઇ-વે વિસ્તરણ અને સીક્સ-લેન હાઇ-વે મોડાં શરૂ થયાં છે. ખેડૂતોની માંગની વાત કરીએ તો મગફળી અને કપાસમાં ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોને હંમેશાથી અસંતોષ રહ્યો છે. તો પાકવીમામાં ખેડૂતોને અછતની સ્થિતિમાં પણ વીમા વળતર મળતું નથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે વિકસી રહ્યું છે પણ હજી પણ મહત્વના વિદેશી ડેસ્ટીનેશન સાથે તેનું સુયોગ જોડાણ થયું નથી.
VTVએ કેટલાં ગુણ આપ્યાં
સ્થાનિક નાગરિકોને ક્યાંક મોહનભાઇ માટે માન છે. તો ક્યાંક નાગરિકો પોતે જે પ્રશ્નને લઇને મુસીબત અનુભવે છે તેની ફરિયાદ છે. મોહનભાઇની સંસદીય કાર્યપ્રવૃતિ અને તેમના વિકાસ કાર્યોથી વીટીવી સંસદ તરીકે મોહનભાઇ કુંડારિયાને આપે છે 10 માંથી 7
રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંસદીય પ્રવૃતિમાં નોંધનીય કાર્ય કર્યું છે. પણ મતક્ષેત્રના વિકાસને લઇને લોકોમાં મતભેદ છે. કેદ્રમાં બે વર્ષ રાજ્યકક્ષાના મંત્રી રહ્યાં બાદ મંત્રીપદ ગુમાવ્યા બાદ મોહનભાઇ કુંડારિયાની છબિને ધક્કો વાગ્યો છે. 2019માં મોહનભાઇ કુંડારિયા માટે કપરાં ચઠાણ બની શકે છે, પણ તેઓ ટીકીટના મજબુત દાવેદાર છે તે પણ હકિકત છે.