દેશના જાણીતા શેફ સંજીવ કપૂરે વિનામૂલ્યે અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને ભોજન આપવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વોરિયર્સ માટે આગળ આવ્યા સંજીવ કપૂર
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પૂરું પાડશે ભોજન
સંજીવ કપૂરે આ કામ માટે 12 શેફની કરી નિમણૂક
અમદાવાદના કોરોના વોરિયર્સની મદદે સંજીવ કપૂર
ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ત્યારે દેશના જાણીતા શેફ સંજીવ કપૂર કોરોના વોરિયર્સની મદદે આવ્યા છે.
આખા દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે પરંતુ દેશભરમાં ઘણા બધા લોકો એકબીજાની મદદે પણ આવ્યા છે. દેશના ઘણી બધી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આ મહામારી સામે લડવા માટે સમાજની મદદે આવી છે ત્યારે ભારતના જાણીતા શેફ સંજીવ કપૂરે અમદાવાદના કોરોના વોરિયર્સને ત્રણ ટાઈમ માટે વિનામૂલ્યે ભોજન આપવાની શરૂઆત કરી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલના કોરોના વોરિયર્સ અને તબીબો માટે સંજીવ કપૂર ભોજન પૂરું પાડશે.
12 શેફ કોરોના વોરિયર્સ માટે બનાવશે ભોજન
કોરોના વાયરસ મહામારી સામે સૌથી વધારે મહેનત કરી રહ્યા હોય તો તે છે આરોગ્ય કર્મચારીઓ. છેલ્લા એક વર્ષથી દેશના લોકોના જીવ બચાવવા માટે ડૉક્ટરો સહિતના કોરોના વોરિયર્સ કામે લાગ્યા છે ત્યારે તેમના ભોજનની વ્યવસ્થા માટે સંજીવ કપૂર આગળ આવ્યા છે. નોંધનીય છે કે આ કામ માટે સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીડું ઝડપ્યું છે.