અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની ગુજરાતના નવા DGP (પોલીસ વડા) તરીકે નિમણૂક બાદ હવે રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદાર શહેરના નવા પોલીસ કમિશ્નરની નિમણૂક માટે ઉચ્ચ અધિકારીઓની પસંદગી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આવામાં અંદરના સૂત્રો પાસેથી VTVGujarati.com પાસે એક્ઝક્લુઝિવ માહિતી તરીકે બંને શહેરના CP તરીકે બે મોટા અધિકારીઓ નામ સામે આવી રહ્યાં છે જેમની પસંદગી લગભગ નિશ્ચિત મનાય છે.
ઉલ્લેખનીય છે કે આજે શિવાનંદ ઝાનો કાર્યકાળ પૂરો થતાં રાજ્યના નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી. આ જ સંદર્ભે ગાંધીનગર DPG કચેરી ખાતે નાના સમારોહમાં શિવાનંદ ઝાએ ભાટિયાને ચાર્જ પણ સોંપી દીધો હતો. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ મામલે સત્તાવાર જાહેરાત આજે સાંજે કરી હતી જેમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરના નવા પોલીસ કમિશ્નરની જાહેરાત વિશે કહ્યું હતું કે આગામી એક-બે દિવસમાં આ મામલે જાહેરાત કરાશે.
સંજય શ્રીવાસ્તવનું નામ અમદાવાદ CP તરીકે નામ ફાઈનલ સમજો
આવામાં અંદરના ટોચના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આશિષ ભાટિયાની જગ્યાએ હવે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી સંજય શ્રીવાસ્તવનું નામ લગભગ નિશ્ચિત જણાય છે. ઉલ્લેખનીય છે કે નવા DGP તરીકે આશિષ ભાટિયાનું નામ અને સંજય શ્રીવાસ્તવને પોલીસ કમિશ્નર બની શકે છે તેવી સૌપ્રથમ ખબર VTVGujarati.comએ જ આપી હતી
સંજય શ્રીવાસ્તવ 1987 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે અને હાલમાં CID ક્રાઈમ અને ઈન્ટેલીજન્સના ચીફ છે. તેમની હાલમાં જ DG રૅન્ક પર પ્રમોશન થયું છે.
વડોદારના CP તરીકે અજય તોમર લગભગ નિશ્ચિત
બીજી બાજુ વડોદરા શહેરમાં પણ નવા પોલીસ કમિશ્નરનું નામ સામે આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશ્નર અજય તોમર જેમનું નામ પણ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરના નામોમાં ચર્ચાતુ હતું તેમને મોટા ભાગે વડોદાર શહેરમાં પોલીસ કમિશ્નર તરીકે મૂકી શકાય છે.
જ્યારે હાલમાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતને રાજ્યના ઈન્ટેલીજન્સ વિભાગના ચીફ બનાવી શકાય છે. હાલમાં આ પદે ગુજરાતમાં સંજય શ્રીવાસ્તવ ફરજ બજાવે છે.
રાજ્યમાં નવા DGPની વરણી સાથે પોલીસ બેડામાં મોટા પ્રમાણમાં બદલી થશે તેવું પહેલેથી જ માનવામાં આવતું હતું. ત્યારે હવેઅમદાવાદ અને વડોદરામાં પણ નવા પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવશે.