ગૌણ સેવાની પરીક્ષા રદ થવા મામલે હવે વિદ્યાર્થીઓમાં તો આક્રોશ છે જ પણ હવે જાણીતા પ્રેરણાદાયી વક્તા સંજય રાવલે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સંજય રાવલે ગુજરાત સરકાર પર રોષ વ્યક્ત કરતાં કહ્યું સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો અને વિદ્યાર્થીઓ મામલે CM રૂપાણીએ વિચારવું જોઈએ તેમ કહ્યું હતું.
આ સાથે જ સંજય રાવલે યુવાનોને પણ ગાંધીનગરમાં શક્તિપ્રદર્શન કરવા માટે આહવાન કર્યું છે. સંજય રાવલે કહ્યું કે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને એક સપ્તાહમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય.
ગાંધીનગરમાં આંદોલનની ચીમકી
જો આમ નહીં થાય તો ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા હાલ નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ -12 પાસની લાયકાત યથાવત રાખવામાં આવેલ છે.
આખરે ઝૂકી સરકાર
વિદ્યાર્થીઓના વિરોધની આગળ આખરે ગુજરાત સરકારે ઝૂકવું પડ્યું છે. 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધા બાદ હવે સરકારે નવી તારીખ જાહેર કરી છે.
નાયબ મુખ્યમંત્રીની જાહેરાત
બિન સચિવાલયની પરીક્ષાને લઇને ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. આ પરીક્ષા આગામી 17 નવેમ્બરે લેવામાં આવશે. ફોર્મ ભર્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ -12 પાસની લાયકાત યથાવત રાખવામાં આવી છે. જ્યારે ગ્રેજ્યુએશન પણ માન્ય રખાયું છે.
પરીક્ષા કરવામાં રદ્દ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે 20 ઓક્ટોબરે યોજાનાર પરીક્ષા રદ્દ કરી હતી. આ સાથે જ શૈક્ષણિક લાયકાતમાં પણ ફેરફાર કર્યો હતો. જેના કારણે રાજ્યભરમાં ભારે વિરોધ શરૂ થયો હતો. જેને લઇને ગાંધીનગર સચિવાલય સુધી પ્રદર્શન થયું હતું.