મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, આવનારા થોડા દિવસોમાં ભાજપના સાડા ત્રણ લોકો જેલના સળીયા પાછળ હશે.
સંજય રાઉતે આપી દીધી સ્પષ્ટ ચેતવણી
આવતી કાલે 4 વાગ્યે કરશે મોટો ધડાકો
ભાજપના નેતાઓની ધમકીનો આપ્યો જવાબ
મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, આવનારા થોડા દિવસોમાં ભાજપના સાડા ત્રણ લોકો જેલના સળીયા પાછળ હશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી અમે બહું સહન કરી લીધું પણ હવે બરબાદ કરી દઈશું. તેમણે કહ્યું કે, કાલે શિવસેના ભવનમાં સાંજે 4 કલાકે આ સંદર્ભમાં એક મહત્વની પ્રેસ કોન્ફરંસ કરવામાં આવશે. જેમાં શિવસેનાના મોટા નેતા સાંસદ અને ધારાસભ્યો શામેલ થશે. હવે સવાલ એ છે કે, રાઉત ભાજપના નેતાઓને આ ધમકી શા માટે આપી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, ગત દિવસોમાં સંજય રાઉતનો પરિવાર અને તેના નજીકના સંબંધીઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ ભરડો લીધો હતો. ગત વર્ષે ઈડીએ તેમની પત્ની વર્ષા રાઉત પાસેથી 55 લાખ રૂપિયા સંદર્ભમાં પૂછપરછ કરી હતી. એટલુ જ નહીં પણ તેમની દિકરીના લગ્નમાં જે ડેકોરેટરે કામ કર્યું તેની પાસેથી ઈડીએ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત રાઉતને લાલૂ યાદવની માફક જેલમાં નાખવાની ધમકી પણ મળી રહી છે. શિવસેનાના કેટલાય નેતા ઈડીના દાયરામાં આવી ગયા છે.
NO HOLDS BARRED !
Will be addressing a Press Conference tomorrow 4 pm at Shivsena Bhawan.
સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓની ધમકીથી અમે ડરવાવાળા નથી. જે લોકો અમને ધમકી આપી રહ્યા છે કે અનિલ દેશમુખની બાજૂવાળી કોઠડીમાં નાખી દઈશું. તેમને હું કહેવા માગુ છુ કે, એ જ કોઠડીમાં ભાજપના નેતાઓને નાખવાની તૈયારી થઈ ચુકી છે. જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ થોડા દિવસમાં જ જેલમાંથી બહાર આવી જશે. સંજય રાઉતે એવું પણ કહ્યું કે, શિવસેના ભવન મહારાષ્ટ્રમાં પાવરનું કેન્દ્ર છે. અહીંથી બેસીને જ બાલા સાહેબ ઠાકરેએ રાજ્યને નવી દિશા આપી હતી.
જે કરવું હોય તે કરી લો
સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ એ સમજવાનું રહેશે કે, રાજ્યમાં શિવસેનાની સરકાર છે, જે ઉખાડવું હોય તે ઉખાડી લો. હું રિપીટ કરુ છું, દેશમુખ જેલમાંથી બહાર આવશે અને ભાજપવાળા જેલમાં જશે. સંજય રાઉતના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અવનવી વાતો શરૂ થઈ છે. સંજય રાઉતે કહ્યું કે, ઠાકરે પરિવાર અને શિવસેના પર જે કિચડ ઉડાવવામાં આવે છે, તેનો જવાબ આવતીકાલે મળી જશે. સંજય રાઉતે કહ્યું કે, એ બધાને ખબર છે કે, હું શું બોલી રહ્યો છું અને કોના વિશે બોલી રહ્યો છું. મારા નિવેદન બાદ તેમની ઊંઘ હરામ થઈ જવાની છે. અમને ધમકી ન આપો. અમે ધમકીઓથી ડરવાવાળા નથી. અને એમાંયે હું તો જરાંયે નથી ડરતો. એજન્સી અને સરકારને જે ઉખાડવું હોય તે ઉખાડી લે.