કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યાના એક દિવસ પછી, શિવસેનાના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ભાજપને હટાવવાથી ભાવ 50 રૂપિયાથી પણ ઓછો થઈ જશે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યાના એક દિવસ પછી, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ગુરુવારે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, જો પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત 50 રૂપિયાથી નીચે લાવવાની હોય તો ભાજપને જ હરાવવું જ પડશે.
રાજ્યસભાના સભ્ય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ઈંધણની કિંમત 100 રૂપિયાથી ઉપર વધારવા માટે ખૂબ જ કઠોર બનવું પડે છે. જો કે, મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર છે અને ત્યાં પણ પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે.
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે
રાઉતે કહ્યું, “પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જો ભાવને 50 રૂપિયાથી નીચે લાવવો હોય તો ભાજપને સંપૂર્ણપણે હારવું પડશે.
શિવસેનાના નેતાએ દાવો કર્યો હતો કે લોકોને દિવાળી ઉજવવા માટે લોન લેવી પડે છે અને મોંઘવારીને કારણે તહેવારોનું વાતાવરણ નથી. ઉલ્લેખનીય છે કે, સરકારે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત આપવા માટે બુધવારે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઈંધણના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કર્યો હતો. જો કે કેન્દ્રના ઘટાડા બાદ લોકોએ એવી સલાહ આપી હતી કે પહેલા શિવસેના શાસીત રાજ્ય મહારાષ્ટ્રમાં તો ભાવ ઘટાડો.
મહારાષ્ટ્રમાં વેટ ઘટાડો નથી થયો
ભાજપ શાસિત ઘણા રાજ્યોએ વેટ ઘટાડ્યો છે, પણ મહારાષ્ટ્રે વેટમાં ઘટાડો નથી કર્યો
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 110.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.53 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે અને તે કેટલાક એડિશનલ ટેક્સ સિવાય પેટ્રોલ પર 25% અને ડીઝલ પર 21% વેટ વસૂલે છે.
VAT દરો દરેક રાજ્યમાં બદલાય છે, જે બળતણના દરોમાં તફાવત દર્શાવે છે. કેન્દ્રની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત પછી, ભાજપ શાસિત ઘણા રાજ્યોએ વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે આગામી દિવસોમાં ઘણી વસ્તુ પણ સસ્તી થવાની ધારણા છે.