ટેલિવિઝન અને ફિલ્મી દુનિયાના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ ઘણા બધા લોકો આઘાતમાં છે. રવિવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને તેમણે મોત વહાલું કર્યું. પરિવાર તેના નિધનથી તૂટી ગયો છે અને સૌથી વધુ દુઃખી તેના પિતા છે. ત્યારે ગઈકાલે સુશાંતની મોતના સમાચાર સાંભળીને બિહારનાં નેતા પપ્પૂ યાદવ તરત જ સુશાંતના પરિવારને મળવા પહોંચી ગયા બાદ તેમણે કહ્યું હતું કે સુશાંત સિંહ આત્મહત્યા કરી જ ન શકે. સંજય નિરુપમે પણ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે સુશાંતથી 7 ફિલ્મો છીનવી લેવામાં આવી હતી. જે બાદ પપ્પૂ યાદવે કહ્યું કે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.
છ જ મહિનામાં બધી જ ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ, આખરે કેમ ? : નિરુપમ
ગ્લેમરની દુનિયા ગંદગી અને વંશીય ભેદભાવને પ્રદર્શિત કરે છે : પપ્પૂ યાદવ
સુશાંત સિંહને બધાએ બોયકોટ કર્યા હોવાની ચર્ચા
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને બોલિવૂડ જગત પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે છીછોરે હિટ થઇ ગયા બાદ સુશાંત સિંહે સાત ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ છ જ મહિનામાં બધી જ ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ, આખરે કેમ ? ફિલ્મ જગત નિષ્ઠુરતાના અલગ જ લેવલ પર કામ કરી રહ્યું છે અને આ જ નિષ્ઠુરતાએ કલાકારને મારી નાખ્યો. જે બાદ આજે પણ પપ્પૂ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે ગ્લેમરની દુનિયા ગંદગી, bully માનસિકતા અને વંશીય ભેદભાવને પ્રદર્શિત કરે છે. આવા લોકો પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.
નોંધનીય છે કે કમલ આર ખાને પણ ફેબ્રુઆરી મહિનામાં એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યુ હતુ કે અમુક પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બોયકોટ કર્યો છે. માટે હવે સુશાંત ટેલિવિઝન તેમજ વૅબ સિરિઝમાં જ કામ કરી શકશે. ધર્મા પ્રોડક્શન, સાજીદ નડીયાદવાલા, વાય આર એફ, ટી સિરીઝ, સલમાન ખાન પ્રોડક્શન, બાલાજી વગેરે પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બૅન કર્યો છે. આ ટ્વિટ KRK boxoffice ના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી ફેબ્રુઆરીના મહિનામાં કરવામાં આવી હતી. આ મુદ્દા બાદ નેપોટીઝમનો ટૉપિક ફરીથી બહાર આવ્યો હતો. નેપોટીઝમને કારણે લાખો યુવાનો પોતાના સપના પૂરા કરતા ડરે છે.
જનઅધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવે સુશાંત સિંહના આપઘાત બાદ આ મામલે CBI તપાસની માંગણી કરી હતી. તેમણે સોમવારે પટનામાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે તે આત્મહત્યા કરી જ ન શકે. હું આ મામલે સીબીઆઈ તપાસની માગ કરું છું.નોંધનીય છે કે પરિવારજનોમાં પણ સુશાંત આપઘાત કરે તે વાત સ્વીકારવા તૈયાર નથી. અભિનેતાના મામાએ પણ કહ્યું હતું કે મને નથી લાગતું કે તે સુસાઈડ કરી શકે છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરવી જોઈએ. સુશાંતની મોત પાછળ કોઈ કાવતરું લાગી રહ્યું છે અને તેનું મર્ડર પણ હોઈ શકે છે.