19 સપ્ટેમ્બરથી UAEમાં શરુ થતી IPLના 13માં સીઝનમાં સંજય માંજરેકર કોમેન્ટ્રી નહીં કરે. મુંબઈ મિરરના અહેવાલ મુજબ BCCIએ 7 ભારતીય કોમેન્ટેટર્સની પેનલ બનાવી છે જેમાં આ ભારતીય ક્રિકેટરનો સમાવેશ થતો નથી.
આ પ્રથમ વખત છે જયારે સંજય માંજરેકર IPLની કોમેન્ટ્રી પેનલમાં નહીં હોય. તેઓ વર્ષ 2008થી સતત કોમેન્ટ્રી કરી રહ્યા છે.
માંજરેકરથી નારાજ છે BCCI
ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક સમયથી સંજય માંજરેકરથી નારાજ છે. માંજરેકરને લોકડાઉન પહેલા માર્ચમાં હોમ સિરીઝ માટે કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે ઈ મેઇલ દ્વારા બોર્ડની એપેક્સ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તેઓને આઇપીએલ કોમેન્ટ્રી પેનલમાં મુકવામાં આવે. તેમણે મેલમાં લખ્યું કે મને તમારા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આનંદ થશે, કારણ કે આપણે બધા જે પ્રોડક્શન માટે સારું છે તે કરી રહ્યા છીએ.
ત્રણ જૂથમાં વહેંચાઈ જશે
કોરોના કાળમાં આયોજિત થઇ રહેલ 13મી સીઝન બાયો બબલની અંદર રમવામાં આવશે. દરેક ફ્રેન્ચાઇઝી ખૂબ સાવધાની રાખી રહી છે. IPL મેનેજમેન્ટ દ્વારા SoPનું પાલન કરાવવામાં આવશે. કોમેન્ટેટર્સને ત્રણ અલગ અલગ જૂથોમાં વહેંચીને બે અલગ અલગ બાયો બબલમાં રાખવામાં આવશે. આ કોમેન્ટેટર્સ 10 સપ્ટેમ્બરે UAE જવા નીકળશે. ટુર્નામેન્ટની ફાઇનલ 10 નવેમ્બરે રમાશે. શિડ્યુલ આજે આવવાની સંભાવના છે.
પેનલમાં આ 7 ભારતીય કોમેન્ટેટર્સને સ્થાન
સુનિલ ગાવસ્કર, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, મુરલી કાર્તિક, દીપ દાસગુપ્તા, રોહન ગાવસ્કર, હર્ષ ભોગલે અને અંજુમ ચોપરા આ 7 કોમેન્ટેટર્સને સ્થાન આપવામાં આવ્યું છે.
જ્યારે દાસગુપ્તા અને મુરલી કાર્તિક અબુધાબીથી મોરચો સંભાળશે, અન્ય કમેન્ટેટર્સ શારજાહ અને દુબઈની મેચોમાં કોમેન્ટ્રી આપશે. તમને જણાવી દઇએ કે દુબઈ અને અબુધાબીમાં 21 મેચ યોજાઈ રહી છે જયારે શારજાહ એકલામાં IPLની 14 મેચનું આયોજન કરશે.