બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને સુપર સ્ટાર સંજય દત્તે બોલિવૂડમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયની જાણકારી તેમણે સોશ્યલ મીડિયા પર આપી હતી. હાલમાં જ સંજયને હોસ્પિટલમાંથી રજા મળી છે.
સંજય દત્તે કામમાંથી બ્રેક લીધો
ગભરાવવાની જરૂર નથી, અફવા પર વિશ્વાસ ન કરશો : સંજય
સડક-2, KGF અને શમશેરામાં દેખાશે સંજય દત્ત
બોલિવૂડ એક્ટર સંજય દત્તે એક નિવેદન આપ્યું અને કહ્યું કે, હાલમાં તબિયત અને મેડિકલ ટ્રીટમેન્ટના કારણે તે કામમાંથી બ્રેક લઇ રહ્યા છે. જોકે ગભરાવવાની જરૂર નથી. પરિવાર, મિત્રો અને ફેન્સનો પ્રેમ સાથે છે. ખોટી અફવાઓ વિશ્વાસ ન કરવી. હું જલ્દી પાછો આવીશ. નોંધનીય છે કે સંજયને શ્વાસ લેવામાં તકલીફના કારણે હાલમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તબીબો એ તેમને આરામ કરવાની સલાહ આપી છે.
સંજય દત્તની તબિયત સારી ન થવાના કારણે પીરીયડ ડ્રામા ફિલ્મ શમશેરાની શૂટિંગમાં અડચણ પેદા થઇ ગઈ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા છે કે શૂટિંગને ટાળી દેવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મમાં અમુક દિવસની શૂટિંગ બાકી છે જેમાં સંજય દત્તે ત્રણ દિવસનું કામ કરવાનું બાકી છે.
નોંધનીય છે કે રવિવારે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે જતી વખતે તે હાથ હલાવીને લોકોનો આભાર માનતા નજરે પડ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે આઠમી ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સંજય દત્તની અપકમિંગ ફિલ્મ સડક-2નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. 29 વર્ષ પહેલા સડકની આ સિકવલ છે. આ ફિલ્મમાં 21 વર્ષ બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે પરત ફર્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે અને આ સિવાય કેજીએફ 2 અને શમશેરામાં પણ સંજય દેખાશે.