રાજ્ય સરકારની કૃષિ રાહત/સહાય મુદ્દે હવે ભારતીય કિસાન સંઘ સાથે કોંગ્રેસે પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે.કોંગ્રેસના બે ધારાસભ્યો ખેડૂત લક્ષી માંગણીઓ, સરકાર માટે દુવિધા કરી ઉભી
કૃષિ સહાય; સર્વે માટે સરકાર સામે
કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ માંગ
ઉતર ગુજરાતમાં વરસાદ નથી,આપો સહાય
રાજ્ય સરકારની કૃષિ રાહત/સહાય મુદ્દે હવે ભારતીય કિસાન સંઘ સાથે કોંગ્રેસે પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે.ભારતીય કિસાન સંઘે રાજકોટ કલેકટરને આવેદન પત્ર આપી, કૃષિ સહાયનો વિરોધ નોંધાવ્યો તો કોંગ્રેસના બે ધારાસભ્યો લલિત વસોયા અને કિરીટ પટેલે ખેડૂત લક્ષી માંગણીઓ કરી, સરકાર માટે દુવિધા ઉભી કરી છે. વસોયાએ ધોરાજી-ઉપલેટામાં સહાય અંગે યોગ્ય સર્વેની માંગ કરી તો ધારાસભ્ય કિરીટ પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ સર્વે કરી ઉત્તર ગુજરાતના ખેડૂતોને સહાય આપવા માંગણી કરી છે
કિસાન સંઘનો સર્વે સામે વિરોધ
સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં રાજ્ય સરકારે કૃષિ રાહત/સહાયની ઘોષણા બાદ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે રિ-સર્વેની માંગણી કરી ,તો ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપી કૃષિ રાહત પેકેજને લઈને વિરોધ કર્યો છે. ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપ સખિયાએ માંગણી કરતા કહ્યું કે, ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ સહાય આપવી જોઈએ. સખીયાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, સરકારની સહાય આવકારદાયક પણ પ્રમાણમાં ખૂબજ ઓછી છે સાથે સરકારે નિશ્વિત જિલ્લાઓને જ મદદ કરી છે. કેદૂતોની વાત હોય ત્યારે સરકારે આફતના સમયે ખેડૂતોના પડખે રહેવું જોઈએ.
કોંગી ધારાસભ્ય વસોયા પણ મેદાનમાં
આ તરફ, કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્ય સરકારને રાહત/સહાય માટે ધોરાજી-ઉપલેટામાં યોગ્ય રીતે સર્વે કરવા માંગણી કરી છે. વસોયાએ કહ્યું કે, આખુ ઉપલેટા અસરગ્રસ્ત છે ત્યારે ઉપલેટામાં માત્ર 4600 જેટલા ખેડૂતોને સહાયની જાહેર કરાઇ છે. વસોયાએ સર્વે કામગીરી પર આરોપ લગાવતા ઉમેર્યું કે, કેટલાક ખેડૂતોના ખેતરો જ સર્વેમાં બાકાત રાખવામાં આવ્યા છે. આવા સંજોગોમાં જો યોગ્ય સર્વે અને સહાય નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
પાટણ ધારાસભ્યની માંગ અલગ પ્રકારની
બીજી તરફ ઉત્તર ગુજરાતના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજ્યના મુખ્યમંત્રીને અલગ પ્રકારે સહાય ફાળવવા માગણી કરતો એક પત્ર પાઠવ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમા પુરતો વરસાદ ન થતા પાક નિષ્ફળ ગયો છે ઉપરાંત ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી પણ ઉપલબ્ધ નથી. જેમ રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોનો સર્વે કર્યો,તેમ ઉત્તર ગુજરાતના ખેડૂતોનાં સર્વે કરી સહાય આપવા માગણી કરી છે.
રાજકોટમાં સર્વે સામે અસંતોષ
ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા અન્ય જીલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે.હાલમાં રાજ્ય સરકારે જામનગર,જૂનાગઢ,ગીર-સોમનાથ અમરેલી જેવા જિલ્લાઓમાં તૌક્તે વાવાઝોડા અને ત્યાર બાદ ભારે વરસાદથી પૂર પરિસ્થિતિથી થયેલા નુકસાનનો સર્વે કર્યો અને સહાય પણ ચૂકવવા જાહેરાત કરી છે. આ વચ્ચે રાજકોટમાં DDOએ પણ જાહેર કયું કે, ભારે વરસાદથી થયેલ નુકશાનનો સર્વે પૂર્ણ થયો છે અને રાજકોટ જિલ્લાના 445 ગામોમાંથી 156 ગામોનો જ નુકશાન થયું છે. ત્યારે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે મુખ્યમંત્રીને પત્ર લખી રિ-સર્વેની માગણી કરી હતી.