પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યાં બાદ હવે AAPની નજર ગુજરાત પર છે. ત્યારે ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 દિગ્ગજોને મહત્વની જવાબદારી સોંપી છે.
ગુજરાતમાં AAPમાં મોટા ફેરફાર
સંદિપ પાઠકને સોંપાઇ ગુજરાતની તમામ જવાબદારી
9 રાજ્યોમાં લોકોને સોંપાઇ અલગ-અલગ જવાબદારી
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પ્રો.સંદિપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યાં છે. સંદિપ પાઠકને ગુજરાતની તમામ જવાબદારી સોંપાઇ છે. સંદિપ પાઠક પંજાબમાં AAPની જીતના આર્કિટેક છે. સંદિપ પાઠક પંજાબથી AAPના રાજ્યસભાના ઉમેદવાર પણ છે. આ સાથે સહ પ્રભારી ગુલાબસિંહ યાદવને ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યાં છે. આ અંગે આમ આદમી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી છે.
દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ બાકીના રાજ્યોમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી લીધી છે. ત્યારે 9 રાજ્યોમાં AAPએ સંગઠનને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. હવે 9 રાજ્યોમાં લોકોને અલગ-અલગ જવાબદારી આપવામાં આવી છે. AAP હવે આસામથી લઇને તેલંગાણા સુધી ચૂંટણી લડશે. ગુજરાતની જવાબદારી સંદીપ પાઠકને સોંપવામાં આવી છે. તેઓને પાર્ટી પંજાબમાંથી રાજ્યસભામાં મોકલી રહી છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત દાખલ કરીને સરકાર બનાવી દીધી છે. આ જીતનો શ્રેય સંદિપ પાઠકને આપવામાં આવી રહ્યો છે. સંદિપ પાઠક IIT-દિલ્હીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે પણ ઓળખાય છે. આ સાથે અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે પાર્ટીમાં સામેલ થયા હતાં.
પાઠકે પીએચ.ડી. 2011 માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે) માંથી કરી હતી. તેઓ ઘણાં વર્ષોથી પડદા પાછળ રહીને કામ કરી રહ્યાં છે અને તેઓએ પંજાબમાં સમગ્ર સંગઠન કેડરનું નિર્માણ કર્યું છે. રાજ્યમાં સચોટ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણો હાથ ધરવા, ઉમેદવારોની પસંદગી કરવા તેમજ પંજાબમાં પાર્ટીની શાનદાર જીત માટે સમગ્ર વ્યૂહરચના ઘડવામાં તે વ્યક્તિ સામેલ હતાં.
We are all set to increase our footprint throughout India! 🇮🇳
And to achieve that, we are announcing new Office Bearers for 9 states -
આમ આદમી પાર્ટીએ તેના રાષ્ટ્રીય વિસ્તરણ માટે 9 રાજ્યોમાં સંગઠનની જાહેરાત કરી છે. ગુજરાતમાં કેજરીવાલે તેમના સૌથી વિશ્વાસુ લડાયક સંદીપ પાઠકને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે હિમાચલમાં પણ તેમણે સંગઠનની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પટિયાલાના ધારાસભ્ય ગુલાબસિંહને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા હતાં કે જેઓ 2016થી ગુજરાતમાં પાર્ટીના સંગઠન માટે કામ કરી રહ્યાં છે, જ્યારે પંજાબના આમ આદમી પાર્ટીના 'ચાણક્ય' ગણાતા અને તાજેતરમાં જ રાજ્યસભામાં મોકલવામાં આવેલા ડૉ. સંદીપ પાઠકને ગુજરાતમાં પણ પ્રભારી
બનાવવામાં આવ્યાં છે.
છત્તીસગઢમાં પાર્ટીએ દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયને પ્રભારી બનાવ્યા છે. બુરારીના ધારાસભ્ય સંજીવ ઝાને પણ છત્તીસગઢના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. સંતોષ શ્રીવાસ્તવને સંગઠન મંત્રી બનાવવામાં આવ્યાં.
હરિયાણાના પ્રભારી સૌરભ ભારદ્વાજ
પાર્ટીના દક્ષિણ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને હરિયાણાના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તાને હરિયાણાના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે પાર્ટીના સંગઠન નેતા દુર્ગેશ પાઠકને પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાના નજીકના ગણાતા રત્નેશ ગુપ્તા પહેલાથી જ હિમાચલમાં પાર્ટીના પ્રભારી છે, તેમની સાથે અન્ય બે નેતાઓને પણ હિમાચલમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતની સાથે આ વર્ષે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીએ ત્યાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
કેરળમાં પણ આમ આદમી પાર્ટીનો વિસ્તાર થઈ રહ્યો છે, એ માટે એ રાજાને ત્યાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહ અને ડૉ.સંદીપ પાઠક પંજાબના પ્રભારી રહેશે. પાર્ટીએ રાજસ્થાનની કમાન દ્વારકાના ધારાસભ્ય વિનય મિશ્રાને સોંપાઇ છે, જ્યારે માલવિયા નગરના ધારાસભ્ય સોમનાથ ભારતીને તેલંગાણાના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. સોમનાથ ભારતી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પાર્ટીના સંગઠનનું કામ જોઈ ચૂક્યાં છે.
AAP માટે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી ખૂબ જ મહત્વની
પ્રભારી અને ચૂંટણી પ્રભારીની નિમણૂંકથી આમ આદમી પાર્ટીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ દેશના અનેક રાજ્યોમાં એક્ટિવ થશે. પરંતુ તેમની માટે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી ખૂબ જ મહત્વની છે.
ગુજરાતમાં પંજાબના CM ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ 2 એપ્રિલે કરશે રોડ શો
અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં AAPએ ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. આથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2જી એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. આમ આદમી પાર્ટી દ્વારા બન્ને નેતાઓના રોડ શોને લઈને પોલીસ પરમિશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઇ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2જી એપ્રિલના રોજ બપોરનાં 3 વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી લઇને નિકોલ ખોડિયાર મંદિર સુધી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.