સામાન્ય રીતે કોઇપણ ગુનામાં પકડાયેલા મુદ્દામાલને પોલીસ સ્ટેશનમાં કબાડીની જેમ મુકી દેવામાં આવતો હોય છે. જ્યા લોકો પાનની પીચકારી મારતા હોય છે અને કચરો પણ નાખતાં અચકાતા નથી. અમદાવાદ જીલ્લામાં આવેલા સાણંદ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ ઉપર પાનની પીચકારી કે પછી કચરાનો ઠગલો નહીં પરંતુ ફુલોના હાર ચઢાવીને તેની પુજા કરવામાં આવે છે.
વહેલી સવારે કે બપોરે જ્યારે પોલીસ સ્ટેશનનો કોઇપણ પોલીસ કર્મચારી ફરજ ઉપર આવે છે ત્યારે સૌપ્રથમ તે પોલીસ સ્ટેશનમાં પડેલા મુદ્દામાલની પુજા કરીને પોતાની ફરજ ઉપર જાય છે. પોલીસ કર્મચારીઓની આવી અનોખી શ્રધ્ધાના કારણે પોલીસ સ્ટેશનમાં શાંતી જણાવતી હોવાનુ પોલીસ કર્મચારીઓ અનુમાન કરી રહ્યા છે.
કહેવાય છે કે પહેલાના સમયમાં ડાકુ કે ધાડ પાડુ લુંટ કરવા માટે આવતા હોય તો તેમનો સામનો કરી રહેલા ગામના વ્યકિતઓ મૃત્યુ પામે તો તેના માનમાં પથ્થરોથી કોતરીને પાળીયા મુકવામાં આવતા હતા. વર્ષ 1988માં સાંણદ તાલુકાના આસપાસમાં આવેલા ગામોમાં પાળીયાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી. જેમાં પોલીસે આ ગેંગની ધરપકડ કરી હતી. આ ગેંગ પાસેથી પોલીસને 16 પાળીયા મળ્યા હતા.
આ કેસ હજુ ગ્રામ્ય કોર્ટમાં પેન્ડીગ હોવાના કારણે મુદ્દામાલ હજુય પોલીસ સ્ટેશનમાં પડ્યો છે. પોલીસનું માનવુ છે કે સાંણદ પોલીસ સ્ટેશનમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો રહ્યો હતો, એક પોલીસકર્મીએ તેનીજ પિસ્તોલથી આત્મહત્યા કરી નાંખી હતી.
તે સમયે એક ઉચ્ચ અધિકરીએ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે પડેલા આ પાળીયાને સાફસફાઇ કરીને તેની પુજા શરુ કરી હતી. ઉચ્ચઅધિકારીની આ શ્રધ્ધા બાદ આજે પણ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ પોલીસ કર્મચારીઓ પાળીયાની પુજા કરીને નોકરી ઉપર જાય છે.