સાણંદ, ગીર-સોમનાથ, નવસારી, ઊંઝા, ડીસાના ખેડૂતો છે વિજકાપથી પરેશાન, 8ના બદલે 6 કલાક જ ખેત વીજળી મળતી હોવાનો દાવો
ખેડૂતોની વીજળીની પારાયણ
વીજળીને લઈ ખેડૂતો ઠેર ઠેર પરેશાન
પુરતી વીજળીની માગ સાથે પ્રદર્શન
ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેથી ઠેર ઠેર ખેડૂતો આંદોલીત જોવા મળી રહ્યા છે. સમયસર પાણી અને વીજળી ન મળી રહેતા ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદ સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોઓ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં મહેસાણા, નવસારી, સાબરકાંઠા, સાણંદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ સરકાર સામે રોષ પ્રગટ કરી પુરતી વીજળીની માગ કરી રહ્યા છે. તો આ સાથે વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા મુદ્દે હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર વિધાનસભામાં ખોટા આંકડા રજૂ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.
સાણંદના ખેડૂતો વીજળી અને પાણીને લઇને પરેશાન
ખેડૂતોને ખેતી માટે ઓછી વીજળી મળતા પરેશાન થઇ ગયા છે.સાણંદના ખેડૂતો વીજળી અને પાણીને લઇને પરેશાન થઇ ગયા છે.દિવસે વીજળી આપવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.છેવાડાના ગામોમાં પાણી ન મળવાથી ખેડૂતો પરેશાન છે.ખેડૂતોએ કહ્યું કે, સિંચાઇ માટે પાણી જોઇએ ત્યારે પાણી મળતું નથી.દિવસે ક્યારેય વીજળી અમે જોઈ નથી.પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે.તો ડીઝલના ભાવ વધતા પાકને પાણી આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ગીર-સોમનાથમાં ખેડૂતોની વ્યથા
ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને પણ સમયસર વીજળી ન મળતી હોવાથી ભારે હાલાકી પડી રહી છે.. ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સળંગ 8 કલાક વીજળી નથી મળી રહી.. જેના કારણે સિંચાઈ પુરતા પ્રમાણમાં નથી થઈ શકતી.. ખેતરમાં પાણી વાળતા સમયે વીજળી જતી રહેતા તમામ પાક સુધી પાણી નથી પહોંચી શકતું.. ક્યારેક વીજળી 2 કલાક આપે તો ક્યારે એક કલાક તો ક્યારેક 3 કલાક બાદ વીજળીમાં કાપ મૂકવામાં આવે છે.. જેના કારણે ખેડૂતોના પાકને સીધી અસર થાય છે.. ખેડૂતોની માગ છે કે સળંગ 8 કલાકથી 10 કલાક સુધી વીજળી આપવામાં આવે. જેથી પાકને પુરતુ પાણી આપી શકાય.
નવસારીમાં ખેડૂતોને પુરતી વીજળી ન મળતાં સિંચાઈ અશક્ય
ખેડૂતોની આર્થિક સ્થિતિ ખેતી પર નિર્ભર છે.. અને ખેતી વીજળી અને પાણી પર.. પણ ખેડૂતોને પુરતી વીજળી અને પાણી ન મળતાં સારી માત્રામાં ઉપજ નથી થઈ શકતી.. આ સમસ્યા હાલ ગુજરાતના મોટાભાગના ખેડૂતોને સતાવી રહી છે.. નવસારી જિલ્લાના અનેક ખેડૂતોએ શેરડી અને ઉનાળુ ડાંગરની રોપણી કરી છે.. પણ ખેડૂતોને પુરતુ પાણી ન મળી રહેતા રોષની લાગણી ફેલાઈ છે.. ખેડૂતોની માગ છે કે વીજળી 8 કલાક આપવામાં આવે છે. પણ આ 8 કલાકની વીજળીમાં અનેક કાપ મુકવામાં આવે છે. 8 કલાક સળંગ વીજળી આપવા ખેડૂતો માગ કરી રહ્યા છે.. પાવર અનિયમિત સપ્લાય થતો હોવાથી વાવેતર થઈ શકતું નથી. સિંચાઈ માટે પાણી ખેંચી શકાતું નથી.. જ્યારે આ મુદ્દે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વીજળી મળી રહેતી હોવાનો દાવો કર્યો છે.
ઊંઝા તાલુકાના કરણપુર ગામમાં ખેડૂતો હેરાન
ઊંઝા તાલુકાના કરણપુર ગામમાં ખેડૂતો પરેશાન થઇ ગયા છે...ખેડૂતોને માત્ર 6 કલાક વીજળી અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે...6 કલાક પણ અનિયમિતપણે વીજળી અપાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે...ખેડૂતોએ કહ્યું કે, ખેડૂતોને હાલમાં 8 થી 10 કલાક વીજળીની જરૂરિયાત છે...વીજ કંપનીના અણઘડ વહીવટથી મોટર ખરાબ થાય છે...3 દિવસમાં 7 પાણીના બોરની મોટર બગડી છે...એક મોટર ખરાબ થાય તો 30 હજારનું નુકસાન થાય છે.
ડીસામાં ખેડૂતોના ધરણા
ડીસામાં ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે અનિયમિત વીજળી હોવાની ફરિયાદ ઉઠી છે. આ સમસ્યાને મુદ્દે ખેડૂતોએ ગઈકાલે ભારતીય કિસાન સંઘ સાથે મળી ધરણા યોજ્યા હતા. જેમાં ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપી માગ કરવામાં આવી હતી કે, ખેડૂતોને આઠ કલાક સુધી થ્રિ ફેઝ વીજળી આપવામાં આવે. અપૂરતી વીજળી મળતી હોવાના કારણે ખેડૂતો સિંચાઇ કરી શકતા નથી તેના કારણે ખેતીમાં પણ વારંવાર નુકશાન સહન કરવું પડે છે તેમ ધરણા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી
સરકાર 'કરંટ' જુઓ ભૂતકાળ નહીં
રાજ્યભરમાં ખેડૂતો વીજળીને લઈ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ખેડૂતોને પુરતી વીજળી મળી રહે તે મુદ્દો ઉઠાવી રહી છે. એવામાં રાજ્ય સરકારના પ્રવક્તાએ વીજળી સહીતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યુ છે કે, ભૂતકાળમાં વીજળી ક્યારેક જ આવતી હતી. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે તંગી ઉભી હતી પરંતુ હવે સરકાર વીજળીની સમસ્યાની બહાર નીકળી રહી છે. ક્યારેક ખેડૂતોને વીજલક્ષી સમસ્યાઓ રહી છે પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસ ક્યારેય ખેડૂતો માટે આયોજન કર્યા નથી. આ સીવાય તેમને ખેડૂતોના સિંચાઈના પાણી માટે નિવેદન કરતા જણાવ્યુ હતુ કે, સિંચાઈ માટે પણ અનેક યોજાનાઓ છે. પાણીની સમસ્યા ન રહે તો માટે સિંચાઈ વિભાગ પાણીનો અનામત જથ્થો રાખવાનુ આયોજન કરી રહ્યુ છે. કોંગ્રેસ ખેડુતોના નામે માત્ર વાતો કરે છે.
ગુજરાતમાં કેટલું વીજ ઉત્પાદન?
વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યુ છે કે, રાજ્યમાં, સ્થાપિત વીજ ઉત્પાદનની ક્ષમતા 36,384 મેગા વોટ સુધી પહોંચી છે. જેમાં વર્ષ 2020માં 842.4 મેગા વોટનો વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. તો વર્ષ 2021માં 2423.5 મેગા વોટ વીજળી ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. આ સાથે આગમી બે વર્ષમાં 2049.7 મેગા વોટ વી5જ ઉત્પાદન ક્ષમતા વધારવાનુ આયોજન હોવાનુ સરકાર દ્વારા જણાવાયુ છે.