કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાની સામે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
મોદી સરકાર સામે ફરી આક્રમક થયા ખેડૂતો
27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન
દેશભરનાં અલગ અલગ સંગઠનોને પણ જોડાઈ જવા માટે આહવાહન
ભારત બંધનું એલાન
દેશમાં મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાની સામે મહિનાઓથી ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આઠથી નવ મહિનાથી દિલ્હીની ઘણી બધી બોર્ડર બંધ છે અને રાકેશ ટિકૈતની આગેવાનીમાં ખેડૂત આંદોલન હવે જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યું છે. એવામાં ફરી વાર આંદોલનને ધાર આપવા માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર સામે 27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. લખનૌમાં ખેડૂતો દ્વારા યોજવામાં આવેલ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આંદોલન ધાર દેવા માટે ખેડૂત સંગઠનો તલપાપડ
આટલું જ નહીં આંદોલનને મોટું કરવા માટે ખેડૂતો હવે ટ્રેડ યુનિયન, યુવા સંગઠનો અને ટ્રાન્સપોર્ટ એસોશિયેશન અને વેપારી સંગઠનો સાથે પણ બેઠક કરવા જઈ રહ્યા છે. ભારત બંધ માટે શહેરી વિસ્તારોમાં પણ પ્રાઇવેટ સંગઠનમાં કામ કરતાં કર્મચારીઓના સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવશે.
ભારત બંધ માટે તડામાર તૈયારીઓ
ખેડૂતોએ કહ્યું કે લાંબા સમય બાદ ખેડૂતો આ પ્રકારે આંદોલન કરી રહ્યા છે અને ભારત બંધ તો ઐતિહાસિક હશે. સંયુક્ત કિસાન મોરચાએ દેશનાં તમામ સંગઠનોને સહયોગ કરવા માટે અપીલ કરી છે. ખેડૂતોએ કહ્યું કે અમે લોકો ગામડે ગામડે જઈશું અને ભારત બંધ માટે રણનીતિ બનાવીશું.
હાલમાં જ કરનાલમાં ખેડૂતોએ કર્યું હતું શક્તિ પ્રદર્શન
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા હરિયાણામાં ખેડૂતો પર કરવામાં આવેલ લાઠીચાર્જનાં વિરોધમાં કરનાલમાં ખેડૂતો દ્વારા મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મિનિ સેક્રેટરીયટને પણ ઘેરી લેવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ હતી કે કરનાલનાં SDMને હટાવી દેવામાં આવે, જોકે આવું કરવા માટે હરિયાણા સરકાર તૈયાર નથી.