દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે. જેમાં AAPને બહુમત મળી રહ્યો છે. દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી પદને માટે કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત થઈ નથી. હવે ભાજપે માનવું રહ્યું કે નામની જાહેરાત ન કરવી એ પાર્ટીને માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે.
એક્ઝિટ પોલમાં AAPને મળ્યો બહુમત
મુખ્યમંત્રી પદ માટે ભાજપની જાહેરાત થઈ નથી
નામની જાહેરાત ન કરવી મુખ્ય કારણ
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, દિલ્હીમાં મુખ્યમંત્રીનો ચહેરો ન હોવાને કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. એવું નથી કે દિલ્હીમાં ભાજપના ચહેરાઓની અછત છે પરંતુ અમે નિર્ણય લીધો છે અને જો તેના કારણે આવું થયું હોય, તો અમે તેની સમીક્ષા કરીશું. પાત્રાએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં સૌથી વધુ લોકપ્રિય છે. લોકસભાની ચૂંટણીમાં અમારો 56 ટકા મત હતો. મોદીજીની લોકપ્રિયતા ચાલુ છે. મતનો હિસ્સો બદલાયો નથી. કોંગ્રેસની મતોની ટકાવારી સતત ઘટી રહી છે. આ વખતે તે છ ટકા સુધી મર્યાદિત છે.
કોંગ્રેસને 20 ટકાથી વધુ મત મળ્યાઃ સંબિત પાત્રા
પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 20 ટકાથી વધુ મતો મળ્યા હતા. સ્પષ્ટ છે કે કોંગ્રેસનો મત આપ પાર્ટીમાં ફેરવાઈ ગયો છે. સંબિતે કહ્યું હતું કે જો સ્થાનિક મુદ્દાઓને મહત્વ ન આપવાના કારણે ખોટ થાય તો આ બધી બાબતોની સમીક્ષા કરવામાં આવશે. ભાજપે પીએમ મોદીના ચહેરા સાથે દિલ્હીની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.
એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમતીથી વધારે બેઠકો મળી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાનના અંત સાથે બહાર આવેલા એક્ઝિટ પોલમાં અરવિંદ કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બનતા જોવા મળે છે. તમામ એક્ઝિટ પોલ્સમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે. જો કે, પાછલા સમયની તુલનામાં તેની બેઠકો ઓછી થઈ શકે છે. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 70 માંથી 67 બેઠકો પર મજબૂત પ્રદર્શનથી જીત મેળવી હતી. પરંતુ આ વખતે તેને 44-57 બેઠકો મળી શકે છે. જોકે બહુમતી માટે 36 બેઠકોની જરૂર છે.