પંજાબના રાજ્યમંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને મોદી સરકાર પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ચૂંટણી પંચે પણ નોટિસ ફટકારી છે. નવજોતસિંહ સિદ્ધુએ પીએમ મોદીને અને ભાજપને લઈને ટિપ્પણી કરી હતી કે દેશને કાળા અંગ્રેજોથી છૂટકારો અપાવો.
ત્યારે આ વિવાદિત ટિપ્પણીને લઈને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કર્યો કે, મોદી કાળા અંગ્રેજ છે તો શું સોનિયા હિન્દુસ્તાની છે. સિદ્ધુએ ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. 23 મે ના રોજ ઈટાલિયન રંગ ઉતરી જશે. ઈટાલિયન રંગ પર કોંગ્રેસ અભિમાન ના કરે. તો ટાઈમ મેગેઝિનમાં પીએમ મોદીની છપાયેલી કવર સ્ટોરી અંગે કહ્યું કે, ભારતનો ટાઈમ બદલાતા કેટલાક લોકોને મુશ્કેલી થાય છે. પાકિસ્તાની લેખક મોદીની છબી ખરાબ કરી રહ્યા છે.
શું કહ્યું હતું સિદ્ધુએ?
કોંગ્રેસના નેતા અને પંજાબ રાજ્યમંત્રી નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ઈન્દોરમાં એક રેલીને સંબોધન દરમિયાન સિદ્ધુએ ભાજપ અને મોદીને આડા હાથ લીધા હતા. નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, કોંગ્રેસે દેશને ગોરા અંગ્રેજોથી આઝાદી અપાવી. ઈન્દોરવાળા આ દેશને કાળા અંગ્રેજોથી છૂટકરો અપાવે. કોંગ્રેસ જ એ પાર્ટી છે કે જેણે દેશને આઝાદી અપાવી. કોંગ્રેસ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે.
તો પીએમ મોદી પર કટાક્ષ કરતા નવજોતસિંહ સિદ્ધુને ચૂંટણી પંચે નોટિસ પણ ફટાકરી છે અને 24 કલાકમાં જવાબ રજૂ કરવા કહ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી કે, તમે 2014માં ગંગાના લાલ બનીને આવ્યા હતા પણ હવે 2019માં તમે રાફેલના દલાલ બનીને જશો. નરેન્દ્ર મોદી તમે શું વાત કરો છો, તમારાથી મોટા રાષ્ટ્રદ્રોહી કોઈ નથી જોયા. આ ટિપ્પણી બાદ ચૂંટણી પંચે સિદ્ધુને નોટિસ ફટકારી છે.