દિવંગત ભૂપતભાઇ જન્મભૂમિજૂથ ફૂલછાબના તંત્રી રહી ચુક્યા છે
રાજકોટના હેમુ ગઢવી હોલમાં સમભાવ મીડિયા ગ્રૂપના સંસ્થાપક દિવંગત ભૂપતભાઇ વડોદરિયાના સાહિત્ય,લેખન અને પત્રકારત્વ પર વક્તવ્યનું આયોજન કરાયું હતું. જેમાં વિષ્ણુભાઇ પંડ્યા(પ્રમુખ ગુજરાત સાહિત્ય અકાદમી), દક્ષેશ પાઠક, કૌશિક મહેતા સહિત વક્તાના વિશેષ વક્તવ્ય. ખ્યાતનામ હાસ્ય લેખક હર્ષદ પંડ્યાએ ભૂપતભાઇની નવલ 'ખાલી ખિસ્સે મેળામાં'નું રસદર્શન કરાવ્યું હતું.
હેમુ ગઢવી મીની હોલમાં દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનો આરંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં સમભાવ ગ્રુપના કિરણભાઇ વડોદરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તો દિવંગત ભૂપતભાઇ જન્મભૂમિજૂથ ફૂલછાબના તંત્રી રહી ચુક્યા છે. અખબારોની કાશી એવા રાજકોટ... એ સમયે ફૂલછાબનું ભૂપતભાઇનું પત્રકારત્વ આજે ચીરંજીવી છે. ભૂપતભાઇ વડોદરિયા પંચામૃતથી ગુજરાતના ઘરે ઘરે જાણીતા બન્યા હતા
ભૂપત વડોદરિયાની 93મી જન્મજયંતિ પ્રસંગે 19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાયું હતું 'સિમ્પોઝિયમ'
19 ફેબ્રુઆરી, 2022ના રોજ સમભાવ મીડિયા લિમિટેડના સંસ્થાપક, નિર્ભિક પત્રકાર, લેખક અને સાહિત્યકાર શ્રી ભૂપત વડોદરિયાની 93મી જન્મજયંતિ નિમિત્તે 'સિમ્પોઝિયમઃ ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ' કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન એચ.ટી. પારેખ ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વિષ્ણુ પંડ્યા (પ્રમુખ ગુજરાત સાહિત્ય અકાદમી), દેવેન્દ્ર પટેલ (વરિષ્ઠ પત્રકાર), અજય ઉમટ (ગ્રુપ એડીટર-અમદાવાદ મિરર, નવગુજરાત સમય) અને કાજલ ઓઝા વૈધ (વરિષ્ઠ લેખક) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમભાવ ગ્રુપના CMD કિરણ વડોદરિયા, મનોજ વડોદરિયા, કાજલ વડોદરિયા ઉપસ્થિત રહ્યા હતા. સમભાવ ગ્રુપના CEO નીરજ અત્રિ VTV ન્યુઝના એડિટર હેમંત ગોલાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંત શ્રી મોરારી બાપુ અને ભ્રહ્મવિહારી સ્વામીએ ભૂપત વડોદરિયાને વિડીયો સંદેશથી કર્યા હતા યાદ
પત્રકારત્વ વિષય પર તેમની સાથે પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય રીતે સંકળાયેલા દિગ્ગજ પત્રકારો અને વક્તાઓએ પોતાનાં સંસ્મરણો વાગોળ્યા હતા. રાષ્ટ્રીય સંત મોરારી બાપુ અને BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ ભૂપત વડોદરિયાને વિડીયો સંદેશથી યાદ કર્યા હતા. રાષ્ટ્રીય સંત મોરારી બાપુએ ભૂપત વડોદરિયાને યાદ કર્યા અને પત્રકારત્વના એ સમયને યાદ કર્યા કે અભિયાનમાં ભૂપતભાઈના વિચારો એ સમયે પણ વાંચવા મળતા જે આજે પણ યાદ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ. શ્રી ભ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે ભૂપતભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય માટે પરિવાર સમાન હતા. વધુમાં ભ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે ભૂપતભાઈને પોતાના માની પ્રેમ આપ્યો પ્રમુખ સ્વામીએ અનેક વખત ભૂપતભાઈને યાદ કર્યા હતા.
દિગ્ગજ પત્રકારો અને વક્તાઓએ પોતાનાં સંસ્મરણો વાગોળ્યા
સમભાવ પરિવારના સભ્યો ભૂપતભાઈના અનોખો ચીલો ચાતરનાર પત્રકારત્વને જાણવા, સમજવા અને માણવા ઈચ્છતા હોય તેઓ આ કાર્યક્રમમાં યોજાયો હતો. ત્યારે ભૂપત વડોદરિયાના વિચારો ચાર ખાસ વક્તાઓએ મુક્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ, અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટ અને વરિષ્ઠ લેખક કાજલ ઓઝા વૈધએ ભૂપત વડોદરિયાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. આ ચારેય વક્તાઓએ ભૂપતભાઈ વડોદરિયા પર વક્તવ્ય આપી એ દિવસોને યાદ કર્યા.
ભૂપતભાઇ વડોદરિયા (19 ફેબ્રુઆરી 1929 - 4 ઓક્ટોબર 2011) ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમણે પોતાનું પ્રકાશન શરૂ કરતા પહેલાં ગુજરાતના વિવિધ સમાચારપત્રો અને ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું હતું. તેમણે પચાસ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે.
તેમનો જન્મ ધ્રાંગધ્રા, ગુજરાતમાં 19 ફેબ્રુઆરી 1929ના રોજ થયો હતો. તેમના પિતા છોટાલાલનું મૃત્યુ તેઓ જ્યારે 3 વર્ષના હતા, ત્યારે જ થયું હતું અને તેમનો ઉછેર તેમની માતા ચતુરાબેન દ્વારા થયો હતો. 1946માં તેમણે વિજ્ઞાન સ્નાતકની પદવી મેળવી.
લોકશક્તિ દૈનિકમાં થોડો સમય કામ કર્યા બાદ 26 વર્ષની વયે તેઓ ફૂલછાબ દૈનિકમાં 1955માં જોડાયા ત્યારે તેના સૌથી જુવાન સંપાદક હતા. 1962માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે લોકમાન્યના સંપાદક, સંદેશના સમાચાર સંપાદક અને ગુજરાત સમાચારમાં સહ-સંપાદક તરીકે કામ કર્યું. 1982 થી 1986 સુધી તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું. 1986માં તેમણે સમભાવ ગ્રુપની સ્થાપના કરી જે વિવિધ દૈનિકો અને સામયિકોનું પ્રકાશન કાર્ય કરે છે.
તેમણે પચાસ કરતા વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે અભિયાન અઠવાડિકમાં પંચામૃત અને ગુજરાત સમાચારમાં ઘર બાહિરે જેવી કટારો લખી હતી. કસુંબીનો રંગ (1952), જીવન જીવવાનું બળ (1955), અંતરના રૂપ (1958) તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. તેમના નિબંધો અને કટાર લેખનના સંગ્રહો ઘર બાહિરે ભાગ 1 થી 5 (1958-1982) અને આઝાદીની આબોહવા (1987)માં પ્રકાશિત થયા છે. તેમની નવલકથા પ્રેમ એક પૂજાને 1978માં ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.