ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદી એલર્ટ છે ત્યારે, ગુલાબ બાદ શાહીનનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ છે.આ વચ્ચે મંગળવાર મધરાતથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદે બધડાટી બોલાવી છે.
ગ્રામીણ વિસ્તાર ઠપ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના કારણે જામકંડોરણા-ગોંડલ હાઇવે પરનો પૂલ ધોવાતા હાઇવે ફરી બંધ કરવામાં આવ્યો છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂલ ધોવાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.રસ્તો બંધ થવાના કારણે રંગપર, ધોડીધાર, સાજડિયારી સહિતના ગામોને મુશ્કેલી પડી રહી છે.તો સાથે જ ધોધમાર વરસાદના કારણે કપાસ, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે,તો જેતપુર નજીક પણ ભારે વરસાદના પરિણામે સ્થિતિ વિષમ બની છે.જેતપુરથી દેરડીના બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યાં હતા અને પુલ ઉપર પાણી ફરી વળતા 10 ગામોનો વાહન વ્યવહાર બંધ થી જવા પામ્યો છે.પૂલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે
જિલ્લાના ડેમની સ્થિતિ
રાજકોટમાં ધોધમાર વરસાદથી આજી નદી તોફાની બની છે.નદીમાં પાણીનો પ્રવાહ વધતા આજી નદી બે કાંઠે વહી રહી છે. રામનાથપરા પાસે આજી નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. રામનાથ મહાદેવના મંદિર પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. તો ઉપલેટાનો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોજ ડેમ ઓવરફ્લો થતા ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા,જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી પણ બે કાંઠે વહી રહી છે.નદી બે કાંઠે વહેતા ગઢળાના કોઝ-વે પરથી પાણી વહી રહ્યું છે.કોઝ-વે પરથી પાણી વહેતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
જેતપુરમાં અને આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદપડતા ભાદર-1 ડેમ 3 ફૂટ જેટલો ઓવરફ્લો થતા ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે ડેમનું પાણી જેતપુરના સામાકાંઠે ઘૂસવાની શરૂઆત થઇ છે. કાંઠે આવેલ મકાનોની અંદર પાણી ઘૂસવાની શરુઆત થઇ છે. અને સ્થાનિક લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડેમમાંથી વધુ પાણી છોડાઇ રહ્યું છે. દેરડી, મોણપર, ભંડારીયા સહિતના ગામોમાં જવાના રસ્તા પણ બંધ થઇ ગયા છે.
રાજકોટ શહેર
મંગળવાર મધરાતે લગભગ 1.30 વાગ્યાથી રચાયેલા મેઘાડમ્બર બાદ મૂશળધાર વરસાદે સવાર સુધીમાં રાજકોટને પાણી-પાણી કરી દીધું હતું.પછાત અને સાંકડા વિસ્તારોમાં જળ જમાવની સ્થિતિ સર્જાઈ હતી તો રાજમાર્ગો પર નદીના પાણી ફરી વળ્યાં હોય તેવી સ્થિતિ થઇ હતી. તો કેટલાય અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા.
ચોમાસમાં પોપટ પરાનો ઉલ્લેખ ના થાય તો એમ કહી શકાય કે, રાજકોટમાં વરસાદ વરસ્યો જ નથી. રાત્રીના ભારે વરસાદથી પોપટપરા નાળામાં 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ નાળામાં પાણી ભરાવાના કારણે એક મીની બસ પણ ફસાઈ જવા પામી હતી.