સંબધો બંધાય એના કરતા એની માવજતમાં વધારે કાળજીની જરૂર હોય છે અને સંબધો તુટી ત્યારે પોતાની જાતની માવજતમાં એના કરતા પણ વધુ કાળજીની જરૂરત હોય છે. સામાન્ય પ્રેમભંગ એટલે કે બ્રેકઅપમાં દર્દ માત્ર બે વ્યક્તિને ફાળે આવે છે પણ જ્યારે સગાઈ તુટે ત્યારે બે વ્યક્તિ સહિત પરિવારોને ભોગવવાનું આવે છે. પણ આજના ફાસ્ટ ફોરવડ જમાનામાં તમારે અમુક વાતો સ્વીકારી તેને આસાન બનાવવી જ રહી. વાત પ્રીતીની છે. પ્રીતી દેખાવે ખુબ સુંદર અને ચંચળ. પણ તેની સગાઈ જે પાત્ર સાથે થઈ હતી તે પ્રેમ એટલો દેખાવડો નહીં પણ તેના માતા-પિતા અમેરિકા હતા એટલે પ્રીતીના પરિવારે તેની સગાઈ પ્રેમ સાથે કરી દીધી હતી.
પહેલા પ્રેમ-પ્રીતી મળ્યા અને વાત વૈવિશાળ સુધી પહોંચી. સગાઈના 3 મહિનાતો સપનાની જેમ પસાર થઈ ગયા પણ એક દિવસ અચાનક પ્રેમનો ફોન આવ્યો અને પ્રીતીને કહ્યું કે આપણા વૈવિશાળ ફોક હું સગાઈ તોડું છું તું તારે બીજી પાત્ર પસંદ કરવા સ્વતંત્ર છે. પ્રીતીને પહેલા તો પોતાના કાન પર જ વિશ્વાસ ન થયો પણ જેમ તેમ તેણે પોતાની જાતને સંભાળી. તેણે ધીરેથી આ વાત પોતાની માંને કહી. મા તો તરત જ પ્રીતી પર ગુસ્સો કરતા બોલી. કેમ શું થયું. પ્રેમે સગાઈ તોડી છે કે તે? તે કંઈ આડુ અવળુ કર્યુ હતુ? તને બીજો કોઈ છોકરો પસંદ છે? તે પ્રેમ સાથે ઝઘડો કર્યો હતો? તે પ્રેમના પરિવાર વિશે કોઈ વાત કહી હતી? આમ પ્રીતીની મમ્મી સરોજબેન તો તેની પર પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. પણ એટલામાં તેના ભાઈ અને પપ્પા આવી ગયા અને તેમણે મામલો સંભાળી લીધો.
પ્રીતીના પપ્પા પહેલા તો માહોલને હળવો કરવા ટીખળ કરી કે, લે પ્રીતી આમે તું અને પ્રેમ એક ફ્રેમમાં સારા નહોતા લાગતા. ક્યાં મારી પરી જેવી પ્રીતીને ક્યાં એ કાગડા જેવો પ્રેમ?
પપ્પાની આટલી વાત સાંભળીને પ્રીતી ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. સરોજબેનને પણ હવે ભાન થયું કે સગાઈ તુટયાનું સૌથી વધુ દર્દ તો પ્રીતીને થયું છે. વાત હવે શરૂ થાય છે. કે સગાઈ તુટે એટલે એક માણસ નહીં એનો આખો પરિવાર દુખી થાય છે. પણ જો તમે ચાહો તો આ દુખથી બચી શકો છો. બસ જરૂરત છે થોડી સમજદારીની.
જો સગાઈ સામેવાળાએ તોડી હોય અને કારણ ન આપે તો?
છોકરો કે છોકરી જે પણ પક્ષેથી સગાઈ તોડવામાં આવી હોય અને એ કોઈ કારણ ન આપે તો લાંબી માથાકૂટમાં ન પડો. વાત અહીંથી જ પડતી મૂકો. કારણ કે, લગ્ન પછી આ વાત સામે આવી હોત તો તમારા માટે પ્રશ્નો વધી જતા. એટલે કારણ ન જણાવે તો જાણવાની કોશિશ પણ ન કરો. અને પરિવારને સ્પષ્ટ સમજાવી દો કે કારણ નથી જાણવું અને આ સંબધ અહીંથી જ પડતો મૂકો. એકવાર તીરાડ બાદ તેને સાંધવાનો પ્રયાસ ન કરો કેમ કે, સગાઈમાં આવેલા પ્રશ્નો લગ્નમાં ફરીથી આવી શકે છે.
ઘરમાં પુરાઈ ન રહો
સગાઈ તુટી જવાથી દુનિયા નથી રોકાઈ જવાની. એટલે તમારા રોજબરોજના કામ, નોકરી, કે બહાર આવવા જવાના તમામ કામ બને ત્યાં સુધી રાબેતા મુજબ કરો. જો રજા લો તો ઘરમાં પુરાઈ રહેવાને બદલે સિનેમા, કોફી કે શોપીંગ કરી આવો. તમારી મનગમતી વ્યક્તિને મળો.
નસીબને વાંક ન આપો
હંમેશા મારા નસીબમાં સુખ જ નથી એ પંકિત ન બોલો. ઉલટું એમ આભાર માનો કે સગાઈ થઈને તુટી સારુ થયું વાત લગ્ન સુધી ન પહોંચી. પરિવારને પણ સમજાવો. રડવાથી કે સામા પક્ષને વારંવાર મનાવવાથી કોઈ ફાયદો નથી થવાનો.
નવી શરૂઆત માટે તૈયાર રહો
સગાઈ તુટે એટલે ફરીથી લગ્ન કે વૈવિશાળમાં રસ જ ન લો એવું ન કરો. બધા એક સરખાં નથી હોતા. તમારા જીવનમાં નવી આવનાર વ્યક્તિ માટે હંમેશા આશાવાન રહો. ગમતી પ્રવૃત્તિ કરો. ટ્રેકિંગ, આઉટીંગ કોઈ નવા ક્લાસિસ જોઈન કરો. કંઈક નવું શીખો. ડિપ્રેશનને આવતું રોકવા માટે ક્રિએટીવીટી બેસ્ટ ઓપ્શન છે.
એક વાત સમજી લો સંબધો બંને બાજુથી હોય. એક તરફી સંબધો દુખ દાયક જ બની રહે છે. અને તમે તમારી જાને ટ્રીટ આપશો તો જ તમારી જાત પણ તમને પ્રાઉડ ફીલ કરાવશે.
- Gayatri Joshi (સત્યઘટના પરથી આધારિત, પાત્રોના નામ બદલ્યાં છે)