જીવનમાં આવી પડેલા ભવરોનો સામનો એજ વ્યક્તિ કરી શકે છે. જે સંકલ્પ ધોરણે રસ્તો કાઢી લે છે. કુદરતનો આઘાત જો સાંસારીક જીવનમાં આવી જાય ત્યારે માણસ નાસીપાસ થઈ જતો હોય છે. જોકે બનાસકાંઠા જિલ્લાથી જે અહેવાલ સામે આવ્યો છે. તેને જોઈ તમને પણ પ્રેરણા મળી શકે છે.
એક વૃદ્ધાની કાર્યશૈલી જોઈ હિન્દી ભાષામાં લખાયેલી એક કહેવત યાદ આવી જાય કે 'તુ ખુદ કી ખોઝ મે નિકલ તુ કિસ લીયે હતાશ હૈ. તુ ચલ તેરે વઝૂદ કી સમય કો ભી તેરી તલાશ હૈ.. સમય કો ભી તેરી તલાશ હૈ.. આ વૃદ્ધ દાદીનું નામ દેવા બેન છે. દેવા બેનના મોઢે હાસ્યની હૈલી છલકાય છે જોકે આ હાસ્યની હૈલી પાછળ કેટલું દર્દ કેટલો આઘાત છુપાએલો છે તેની પીડા માત્ર તેઓ જ જાણે છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના દેવાબેને પોતાના પતિ અને બે યુવાન પુત્રોને આજ સ્મશાનમાં અગ્નિસંસ્કાર આપ્યા બાદ આજ મુક્તિધામમાં કરૂણારૂપી સેવા આપવાનો નિર્ધાર કર્યો છે અને તેઓ તેમના સંકલ્પમાં આજે પણ અવિરત સેવા આપી રહ્યા છે. કર્મને જ સેવાયજ્ઞ દેવાબેન માને છે અને સ્મશાન ભૂમીને નંદનવન બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
એવું નથી કે આર્થિક રિતે દેવાબેન દુ:ખી છે સુખ-સંપન્ન ખોરડાના દેવાબેન પોતે માલિક છે પરંતુ 25 વર્ષ અગાઉ પતિને ગુમાવ્યા બાદ અને બે પુત્રોના થયેલા મોત બાદ તેઓ માટે આ દુનિયા નકામી થઈ ગઈ હોવાનું તેઓ માની રહ્યા છે. હાલ દેવાબેન 70 વર્ષની વયના છે. વર્ષ 2000ની સાલથી તેઓ અવિરત સેવા અહી આપી રહ્યા છે.
પોતાનો વૈભવી બંગલો છોડી સ્મશાનમાં એક નાની ઝૂંપડી બનાવીને રહે છે. આવતા જતા વટે-માર્ગુઓને બોલાવી નિસ્વાર્થ તેઓ ચા પાણી આપી તેમની સાથે ભક્તિની બેવાતો પણ કરે છે. હાલ તેઓ સ્મશાનને તેમનું ઘર માને છે. સ્મશાનમાં રહેવું દેવામાંને ખુબજ ગમે છે. ૭૦ વર્ષની ઉંમરે પણ દેવા બેન એકલા હાથે ભગીરથ કાર્ય કરતા સમગ્ર પંથકમાં ચર્ચાય છે.