1984ના શિખ રમખાણના આરોપી અને આજીવન કારાવાસની સજા મેળવનાર સજ્જન કુમારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. આજીવન કારાવાસની સજા મળ્યા બાદ સજ્જનકુમારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે.
પાર્ટી સુત્રો મુજબ સજ્જનકુમારે રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યું કે મારી વિરૂદ્ધમાં દિલ્લી હાઈકોર્ટના આવેલા નિર્ણય બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યો છું.
દિલ્લી હાઈકોર્ટની ડબલ બેંચના જસ્ટીસે સજ્જન કુમારને શિખ રમખાણમાં ગુનેગાર સાબિત કર્યા છે અને આજીવન જેલની સજા ફટકારી છે. તેમના પર રમખાણનું ષડયંત્ર રચવાનું અને હિંસા ભડકાવવાનો આરોપ હતો. તો 1984માં થયેલા શિખ રમખાણનો 34 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.
આ પહેલા સજ્જનકુમાર સજાનું એલાન થયા બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ હાજર થયા ત્યારે સવાલોનો જવાબ આપતાં બચતા જોવા મળ્યા હતા. સજ્જન કુમાર એક જગ્યાએથી નિકળી શાંતિથી પોતાની ગાડીમાં બેસી ગયા હતા.
તેમણે આ અંગે કોઇ પણ પ્રકારનું નિવેદન પણ ન આપ્યું અને રિએકશન પણ ન આપ્યું. તેમની કારમાં બેસીને રવાના થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે હજી તેમની મુશ્કેલી ઓછી થઇ નથી.