રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ભાગોળે જ્યાં ખેડૂતો હજુ બોર્ડરનો કબજો ત્યાં સુધી છોડવા માટે તૈયાર નથી કે જ્યાં સુધી મોદી સરકાર એ પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદાને સરકાર રદ્દ કરવા માટે તૈયાર ન થઈ જાય અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારી ન લે ત્યારે આજે એક હરિયાણાના શીખ નેતાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી નાખવાનો બનાવ આ આંદોલનની આગને વધુ તેજ બનાવી શકે છે.
સંત બાબા રામ સિંહ એ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તેમણે ખેડૂતોના દુ:ખ જોયા છે. તેઓ તેમના હક લેવા રસ્તાઓ પર ઉતર્યા છે. તે ખૂબ જ દુ:ખદ છે. સરકાર ન્યાય નથી આપી રહી. તે જુલમ છે. દુ: ખ સહન કરવું તે પાપ છે. રામસિંહ વધુમાં લખે છે કે કોઈએ પણ ખેડૂતોની તરફેણમાં અને જુલમ વિરુદ્ધ કંઇ કર્યું નથી. ઘણાએ સન્માન પાછા આપ્યા. આ જુલમ સામે અવાજ છે અને કીર્તિ-ખેડૂતોની તરફેણમાં અવાજ છે. વાહેગુરુ જીદા ખાલસા, વાહેગુરુ જીદી ફતેહ.
કુંડલી બોર્ડર પર હજુ પાંચ દિવસ પહેલા જ આવ્યા હતા બાબા રામ સિંહ
એકબાજુ જ્યાં દિલ્હીની હાડ ગાળતી ઠંડીમાં પણ દેશનો અન્નદાતા છેલ્લા 21 દિવસથી તેના હથિયાર પડીયાર સજાવીને બેઠો છે અને અડગ મને વિચલિત થયા વગર સરકારને લડત આપી રહ્યો છે ત્યારે સામે પક્ષે સરકાર પણ તેના કૃષિ કાયદાઓના મુદ્દે પાછીપાની કરવા તૈયાર નથી, ત્યારે હરિયાણા શીખ ગુરુદ્વારા પ્રબંધક કમેટીના નેતા સંત બાબા રામ સિંહ એ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે, પ્રાપ્ત માહિતી મુજબ જે સ્યુસાઇડ નોટ મળી છે તેમાં લખેલું છે કે બાબા ખેડૂત આંદોલનના મુદ્દે ખેડૂતોને થયેલા અન્યાયથી દુ:ખી હતા.
આત્મહત્યા કરનારા આ ખેડૂત નેતા ની ઓળખ કરનાલના સિંગરા ગામના રહેવાસી બાબા રામસિંહ તરીકે સામે આવી છે. આ સંત બાબા રામ સિંહ ગુરુદ્વારા નાનકસરમાં ગ્રંથી તરીકે સન્માનીય સ્થાન શોભાવતા હતા, તેઓ ખેડૂતોના ધરણામાં સામેલ થવા માટે કરનાલથી સતત આવતા જતા હતા. હજુ પાંચ દિવસ પહેલા જ તેઓ કુંડલી બોર્ડર પર ધરણાંમાં સામેલ થવા માટે આવ્યા હતા.
આંદોલન બની શકે છે વધુ ઉગ્ર
આ દ્રશ્ય નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા મુજબ તેમણે મંચની પાછળના ભાગમાં રોડની બીજી તરફ જઈને પોતાની લાઈસન્સવાળી પિસ્તોલથી પોતાને ગોળી મારી હતી, જેના પછી કેટલાક ખેડૂતોએ તેમને તરત જ પાણીપત પાર્ક હોસ્પિટલમાં પહોંચાડ્યા પરંતુ ડોક્ટર્સની ટીમ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને કરનાલ લાવવામાં આવ્યો ત્યારે પરિવારજનો અને સંબંધીઓના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
નોંધનીય છે કે છેલ્લા 21 દિવસથી ચાલતું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બનવાના એંધાણ છે, આ ખેડૂત નેતાની આત્મહત્યાને સમર્થકો શહીદી ગણાવી રહ્યા છે. ખેડૂત આંદોલનકારીઓ માટે આ એક ભાવનાશીલ મુદ્દા તરીકે ઉપસી શકે છે. જેનાથી ખેડૂત આંદોલન આવનારા દિવસોમાં વધુ વેગવાન બની શકે છે.