સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયાથી લઈને ઈન્ટરવ્યૂમાં પણ સેલેબ્સ ખુલીને નેપોટિઝ્મ પર વાત કરી રહ્યાં છે. ત્યારે હવે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને નેપોટિઝ્મને લઈને કેટલાક ખુલાસા કર્યાં છે. હાલમાં જ તેણે કહ્યું કે, તે પોતે પણ તેનો શિકાર થઈ ચૂક્યો છે, પણ કોઈ આ અંગે વાત કરતું નથી.
સુશાંતની મોત બાદથી નેપોટિઝ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે
સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા
તો હવે સૈફ અલી ખાને આ અંગે જણાવી ચોંકાવનારી વાતો
સુશાંતના નિધન બાદ કંગના રનૌતે નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવ્યો. સોશિયલ મીડિયા પર છેડાયેલા વિવાદ પર બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને પોતાની વાત જણાવી અને કહ્યું-નેપોટિઝ્મ, ફેવરેટિઝ્મ અને ગેંગિઝ્મ પર લોકો પોતાના વિચાર રાખી રહ્યાં છે. આ સારી વાત છે. આ બધાંને સામે લાવવાની જરૂર છે. એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યું- હું ખુશ છું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણાં લોકો આ વાતને લઈને આગળ આવી રહ્યાં છે. સૈફએ કહ્યું- હું પણણ નેપોટિઝ્મનો શિકાર થઈ ચૂક્યો છું પરંતુ તેના વિશે કોઈ વાત નથી કરતું.
સૈફએ આગળ કહ્યું કે, હું કોઈનું નામ નહીં લઉં પરંતુ એવું ઘણીવાર થયું છે કે, ફિલ્મમેકર્સને એક્ટરના પિતાનો ફોન આવતો કે આને ફિલ્મમાં ન લેતા. આવું બધું ચાલતું હોય છે અને મારી સાથે પણ થયું છે. સૈફ પોતે પણ આ નેપોટિઝ્મ કલ્ચરથી નાખુશ છે. તે કહે છે કે, કોઈ ખાસ વર્ગને વધુ તક આપવી અને ટેલેન્ટેડ લોકોને છોડી દેવા ઠીક નથી. નેપોટિઝ્મની સૌથી ખરાબ વાત એ છે કે, ઘણીવખત ટેલેન્ટેડ લોકોને છોડીને જે ટેલેન્ટેડ નથી તેમને લેવામાં આવે છે. આવું ઘણીવખત થાય છે.
સૈફએ સુશાંતના નિધન પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે અને કહ્યું-સુશાંત પોતે પણ માનતો હતો કે ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ થાય છે. સૈફએ કહ્યું- ઈન્ડસ્ટ્રીમાં આ સંઘર્ષ ચાલ્યા કરે છે. પણ બધાંને સમાન અવસર મળવા જોઈએ. સૈફએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે પંકજ ત્રિપાઠી અને નવાઝુદ્દિન સિદ્દીકી જેવા ઘણાં આઉટસાઈડર્સે પોતાના દમ પર બોલિવૂડમાં એક ખાસ જગ્યા બનાવી છે.