સ્વામિનારાયણ સંપ્રદાયની શૈક્ષણિક સંસ્થા માટે આ ખૂબ જ શરમજનક બાબત છે કે આ ઘટના હવે આખા ગુજરાતમાં પવનવેગે પ્રસરી જતા નેશનલ લેવલ પર કામ કરતી મહિલા આયોગની ટીમે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. માસિક ધર્મ અંગે તપાસ અને વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તાવ થતાં, ગુજરાતભરમાં હલ્લો મચી રહ્યો છે. ત્યારે મહિલા આયોગની ટીમ તપાસ માટે ભુજ પહોંચી ગઈ છે.
ભુજ સહજાનંદ કોલેજ વિવાદ
છોકરીઓ સાથે ગેરવર્તન થયું હતું
રાજ્ય મહિલા આયોગ દ્વારા તપાસનો અહેવાલ સરકારને સુપ્રત કરાશે
આ કારણસર આયોગ હરકતમાં આવ્યું
ભુજના સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓની આવી રીતે તપાસ કરાતા તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે. આયોગની ટીમ દ્વારા વિદ્યાર્થિની પાસેથી નિવેદન લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ટીમ કરેલી તપાસનો અહેવાલ સરકાર સામે રજૂ કરશે.
એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ સંચાલકોએ હોસ્ટેલમાંથી કાઢી મુકાવની પણ ધમકી આપી હોવાની ચર્ચા છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓની માંગણી છે કે, ગેરવર્તણૂંક કરનારા સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
માસિક ધર્મ આવે ત્યારે રજીસ્ટર કરવાની ધૃણાસ્પદ પ્રથા
કોલેજની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું છે કે કોલેજની સિસ્ટમ છે કે જે છોકરીઓનું માસિક આવ્યું હોય એણે રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવાની હોય છે જેથી તેઓ માસિક ધર્મ સમયની પરેજીઓ પાળી શકે. આ નોંધ કોલેજના મેનેજમેન્ટ દ્વારા યાદી સ્વરૂપે રજીસ્ટ્રેશનમાં રાખવામાં આવે છે.
આ વિદ્યાર્થીનીએ એમ પણ જણાવ્યું કે કોલેજની છોકરીઓ છેલ્લા કેટલાક સમયથી રજીસ્ટ્રેશન નહોતી કરાવતી આથી મેનેજમેન્ટને જાણ થતા તેમણે આ અંગે વિદ્યાર્થીનીઓને પૂછપરછ કરતા કેટલીક વિદ્યાર્થીનીઓએ સામે ચાલીને તેઓ માસિક ધર્મમાં નથી એમ સાબિત કરવા માટે આ પ્રકારની શારીરિક તપાસ કરવાની મંજૂરી આપી હતી જયારે કેટલીક વિદ્યાર્થીનીઓએ આ તપાસનો સજ્જડ વિરોધ કર્યો હતો.
આ ઘટના અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. યુવાવયની દીકરીઓ ઉપર માસિક ધર્મ વખતે જુના જમાનાના વિચારોની ગુલામી કરીને આ પ્રકારની રૂઢીચુસ્ત પરંપરાઓનું પાલન કરાવવું કેટલું યોગ્ય છે તે વિચારવાનો પ્રશ્ન છે. આ ઉપરાંત દીકરીઓએ પોતાના વસ્ત્રો ઉતારીને પોતે માસિક ધર્મમાં છે કે નહિ તેની સાબિતી આપવી પડે તે આ સભ્ય સમાજ માટે એક કલંક સમાન છે તેવું નિષ્ણાતોનું માનવું છે.