દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ દરિયાપુરના લીમડીચોકને પણ શાહીનબાગ બનાવવા માટે પોસ્ટર ગઇ કાલે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. દરમ્યાન અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં તોફાન થાય નહીં તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. દરિયાપુર જેવા વિસ્તારમાં જ્યાં ઘણાં વર્ષોથી કોમી એક્તાનું પ્રતીક રહ્યું છે ત્યાં કોમી શાંતિ ડોહળવામાં માટે કેટલાંક તત્ત્વોએ આ કૃત્ય કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે પોસ્ટ વાઈરલ કરનારની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે રાતે દરિયાપુરમાં પેટ્રોલિંગ કર્યું
ધરણાં પર બેઠેલા કેટલાક લોકોને ઉઠાડી મુકાયા
શહેરની શાંતિ ડહોળવા કોઈએ કૃત્ય કર્યું હોવાની આશંકા
દરિયાપુર વિસ્તારને શહેરનો અતિસંવેદનશશીલ વિસ્તારમાં ગણવામાં આવે છે. જો આ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તો તેના પડઘા માત્ર અમદાવાદમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં પડે તેવી શક્યતા છે. શહેરમાં શાંતિનું વાતાવરણ ડોહળાય તે માટે કેટલાંક તત્ત્વો સર્કિય થયાં છે અને અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવા માટેનાં પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યાં હતાં.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “ચલો હમ દરિયાપુર કો શાહીનબાગ બના દેં” મહોલ્લે કી તમામ મા ઓર બહેનો સે ગુઝારિશ હે NRC, NPR, CAA કે વિરોધ મેં આજ સે એક મહિને (૧ એપ્રિલ તક) દરિયાપુર (લીમડી ચોક) બન્ને કી મસ્જિદ કે પાસ રોજાના ૩ સે ૬ બજે તક ધરણાં પ્રદર્શન રખા ગયા, બે લિહાઝા તમામ મસ્તુરાત સે ગુજારિશ હે કે ઝિયાદહ લે ઝિયાદહ તાદાદ મેં હાં પર પહુંચને કી ફિક્ર ઓર કોશિશ કરેં પોસ્ટરમાં છેલ્લે ઉલ્લેખ કર્યો છે કે “હમ સબ કો મિલ કર અપને વજુદ ઓર ઇસ્લામ કો બચાને કી ફિક્ર ઓર કોશિશ કરની ચાહિએ”
શહેરમાં શાહીનબાગ જેવી ઘટના ઘટે નહીં તે માટે તરત જ કાર્યવાહી કરી હતી. ગઇ કાલે એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત ૧પ૦થી વધુ પોલીસકર્મીઓએ દરિયાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. અને સીએએનો વિરોધ કરવા માટે બેઠેલા ૧પ જેટલા મહિલા તેમજ પુરુષોને હટાવી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ પોસ્ટ કોણે વાઈરલ કરી છે તે હજુ સુધી સામે આવ્યું નથી. સાયબર પોલીસે તેની તપાસ શરૂ કરી છે. વિરોધ પ્રદર્શનનું એલાન કરનાર કોણ છે તે પોસ્ટમાં લખ્યું નહીં હોવાના કારણે કોઇ અસમાજિક તત્ત્વોએ શહેરની શાંતિ ડોહળવા માટે કૃત્ય આચર્યું હોય તેવી શક્યતા છે.
એક સમય હતો જ્યારે દરિયાપુર વિસ્તારમાં નાની નાની વાતોમાં કોમી જૂથ અથડામણ થતી હતી પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી દરિયાપુર વિસ્તાર કોમી એક્તાનું પ્રતીક બની ગયું છે. આ મામલે ઝોન ચારના ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું છે કે પોસ્ટના મામલે નહીં પરંતુ આ રૂટિન ફૂટ પેટ્રોલિંગ હતું.
જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે પોસ્ટ વાઈરલ થયા બાદ વીસેક મહિલાઓ લીમડી ચોક ધરણાં પર બેઠી હતી જેમને હટાવી દેવામાં આવી છે, જ્યારે પોસ્ટને વાઈરલ કરનાર કોણ છે તેની પણ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાનાં મોટાં મુસ્લિમ સંગઠનો CAAના વિરોધમાં દેખાવો કરી રહ્યાં છે અને શહેરના લધુમતી વિસ્તાર ધરાવતા દરિયાપુર, શાહપુર, સરસપુર, ગોમતીપુર, સરખેજ, જુહાપુરાની સોસાયટીઓ અને મોહલ્લામાં જઇને લોકોને વિરોધ કરવા માટે સમજાવી રહ્યા છે. ગઇ કાલે અલ્પસંખ્યક અધિકાર મંચ ૩૩ મોહલ્લામાં જઇને વિરોધ કર્યો હતો અને જુહાપુરામાં NPRના સ્વૈચ્છિક બહિષ્કારનાં પોસ્ટરો જાહેર કર્યાં હતાં.