"હોસ્ટેલના ભોંયરામાં કચરાનો ઢગ પડેલો હોય છે અને અહીં અમે અમાનવીય પરિસ્થિતિમાં રહીએ છીએ. બધી છોકરીઓ ત્યાં જતા ગભરાય છે કેમ કે ત્યાં બિલકુલ અંધકારમાં સાવ એકલા રહેવું પડે છે જે મુશ્કેલની સાથે ભયાનક પણ છે." આ શબ્દો છે સહજાનંદ કોલેજમાં માસિક ધર્મ મુદ્દે પીડિત એક વિદ્યાર્થીનીના!
સહજાનંદ કોલેજની એક પીડિત વિદ્યાર્થિનીએ એક જાણીતા મીડિયા ગ્રુપ સાથે વાત કરતાં જણાવેલ માહિતી અનુસાર માસિક ધર્મમાં હોય આવેલી છોકરીઓ સાથે કેવું ઘૃણાસ્પદ વર્તન કરવામાં આવે છે.
જે છોકરી પીરિયડ્સમાં હોય તેની સાથે તે અસ્પૃશ્ય હોય તેમ વર્તન કરવામાં આવે છે. તેની બીજા કોઈને ‘આભડછેટ’ ન લાગે તે માટે તેને ચાર દિવસ હોસ્ટેલના ભોંયરામાં રહેવું પડે છે અને ત્યાં જતા પહેલા માસિક ધર્મ શરુ થઇ ગયો છે તેવું કોલેજના મેનેજમેન્ટને નોંધાવીને રજિસ્ટરમાં સહી પણ કરવી પડે છે.
"હોસ્ટેલના ભોંયરામાં કચરાનો ઢગ પડેલો હોય છે અને અહીં અમે અમાનવીય પરિસ્થિતિમાં રહીએ છીએ. બધી છોકરીઓ ત્યાં જતા ગભરાય છે કેમ કે ત્યાં બિલકુલ અંધકારમાં સાવ એકલા રહેવું પડે છે જે મુશ્કેલની સાથે ભયાનક પણ છે. અમારે આ દિવસના સમયે સીમેન્ટના પથ્થર પર સુઈ જવું પડે છે. પથારી અને વાસણ પણ સાથે લઈ જવા પડે છે. અમે અમારા આ ઓરડાની બહાર જઈ શકતા નથી તેમજ ભોજન માટે કોમન એરિયામાં મિત્રોને પણ મળી શકતા નથી.
જે છોકરીઓ પીરિયડ્સ માં હોય તેમને રસોડું, જમવાનો વિસ્તાર કે પ્રાર્થના કક્ષમાં પ્રવેશ મળતો નથી, જેના કારણે ઘણી છોકરીઓ ખૂબ નિરાશ થઈ જાય છે." તેણે કહ્યું કે આ માનસિકે તણાવ અને ભયના ઓથાર નીચે સતત રહેવાથી તેમની માનસિક તબિયત પણ કથળી છે.
આ ઉપરાંત માસિક દરમિયાન છોકરીઓને સામાન્ય દિવસોની જેમ આ દિવસોમાં જનરલ એસેમ્બલીમાં કે પછી વર્ગખંડમાં બેસવા દેવાતી નથી. સ્નાતક થયા બાદ જ્યાં સુધી આ સંસ્થા ન છોડે ત્યાં સુધી છોકરીઓએ દર મહિને આ ત્રાસ સહન કરવો પડે છે.
છોકરીએ એમ પણ કહ્યું હતું કે બેઝમેન્ટ એરિયાના રજિસ્ટરમાં લાંબા સમય બાદ પણ અમુક છોકરીઓના નામ જોવા ન મળતા સત્તાધીશો રોષે ભરાયા હતા અને સોમવારે આ છોકરીઓના આંતરવસ્ત્રો ઉતારીને તેઓ માસિકમાં છે કે નહિ તેવું ચકાસવાની બેહૂદી હરકત કરી હતી.