મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવવાનું ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોંઘુ પડ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોષીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને રક્ષા મંત્રાલયની સંસદીય સમિતિમાંથી નિકાળી દીધા છે. આ સાથે જ સંસદના સત્ર દરમિયાન યોજાનારી ભાજપ સંસદીય દળની બેઠકમાં સાધ્વી પ્રજ્ઞાને ઉપસ્થિત નહીં રહેવા જણાવાયું છે.
ભાજપ શિસ્ત સમિતિ કરી શકે છે કાર્યવાહી
લોકસભામાં ગોડસેને બતાવ્યો હતો દેશભકત
સૂત્રોને મળતી જાણકારી મુજબ સાધ્વી પ્રજ્ઞા વિરુધ્ધ પાર્ટીની શિસ્ત સમિતિ પણ કાર્યવાહી કરી શકે છે. પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીમાંથી પણ બરતરફ કરવામાં આવી શકે છે. ભાજપના કાર્યવાહક અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું છે કે સંસદમાં ગઇકાલનું નિવેદન નિંદનીય છે. ભાજપ ક્યારેય આ પ્રકારના નિવેદન અથવા વિચારધારને સમર્થન કરતું નથી.
શું છે મામલો
લોકસભામાં જ્યારે SPG બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે ડીએમકેના સંસદ એ. રાજાએ ગોડસેના એક નિવેદન અંગે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કહ્યું કે મહાત્મા ગાંધીને કેમ માર્યા તો સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેમને વચ્ચે ટોકી દીધા. સાધ્વીએ કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ આપી ન શકો. જો કે પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
સાધ્વી પ્રજ્ઞા પર લોકસભામાં રાજનાથસિંહનું નિવેદન
સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને લોકસભામાં દેશભક્ત ગણાવ્યા હતા. જે મામલે લોકસભામાં વિપક્ષી પાર્ટીઓએ હોબાળો કર્યો હતો. કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ નથુરામ ગોડસેનો મુદ્દો ઉઠાવીને પ્રજ્ઞા ઠાકુરનો વિરોધ કર્યો હતો અને સરકારનો જવાબ માગ્યો હતો. આ મામલે રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગોડસે કોઈ દેશભક્ત ન હતા અને જો કોઈ તેમને દેશભક્ત કહે તો અમે એવા નિવેદનનની નિંદા કરીએ છીએ. મહાત્મા ગાંધી અમારા આદર્શ છે અને હંમેશા રહેશે.